રાજુ શ્રીવાસ્તવ હવે તેનો નવો સોલો શો લઈને આવ્યો છે
રાજુ શ્રીવાસ્તવ
રાજુ શ્રીવાસ્તવ હવે ફરી સ્ક્રીન પર કમબૅક કરી રહ્યો છે અને તે ‘હસતે રહો વિથ રાજુ શ્રીવાસ્તવ’ લઈને આવ્યો છે. આ શો ટીવી પર રજૂ કરવામાં આવે કે ઓટીટી પર એ હજી સુધી નક્કી કરવામાં નથી આવ્યું, પરંતુ ઑનલાઇન રિલીઝ કરવામાં આવે એવા ચાન્સ ઘણા છે. આ વિશે વાત કરતાં રાજુ શ્રીવાસ્તવે કહ્યું કે ‘આજે કૉમેડીની ડિમાન્ડ ખૂબ છે, કારણ કે લોકોને એ ખૂબ ગમે છે. આપણી પાસે હાલમાં બેરોજગાર લોકો અથવા તો કોરોનાને કારણે અસરગ્રસ્ત બનેલા ઘણા લોકો છે, જેઓ હસવા માગે છે. હાસ્ય ખૂબ સારી દવા છે. છેલ્લાં થોડાં વર્ષોમાં ઘણો વિકાસ થયો છે. આપણે પણ સમયની સાથે બદલાવું પડે છે. પરિવર્તન એ સંસારનો નિયમ છે.
ફિલ્મ અને ટીવી સુધી તો અમે પહોંચી ગયા હતા અને હવે ઓટીટી પર પણ પહોંચી જઈશું. આપણી પાસે એવા ઘણા લોકો છે જેઓ તેમની લાઇફથી ખુશ નથી અને તેમને હસાવનાર લોકો ખૂબ ઓછા છે. ૧૩૫ કરોડ લોકોને હસાવવા માટે કોઈએ તો મહેનત કરવી પડશે.’