‘સ્કૅમ 1992’, ‘આપકી નઝરોં ને સમઝા’, ‘દિલ મિલ ગયે’ ફેમ ઍક્ટર પંકિત ઠક્કર પોતાને નસીબદાર માને છે કે તે ટાઇપકાસ્ટ નથી થયો
પંકિત ઠક્કર
સ્ટાર પ્લસના શો ‘આપકી નઝરોં ને સમઝા’માં ચેતન રાવલનો રોલ કરતા પંકિત ઠક્કરનું કહેવું છે કે આ શોમાં તેનો રોલ બહુ બારીકાઈથી લખાયેલો છે. ચેતન ઘરના વડીલ તરીકે બધું સંભાળી લે છે તો તે દર્શ અને નંદિનીને નજીક લાવવામાં પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. રિયલ લાઇફમાં પણ પંકિત દરેક વયની વ્યક્તિ સાથે કનેક્ટ થઈ શકે છે, લોકો તેની સાથે સીક્રેટ શૅર કરી શકે છે. ફિલ્મ અને અઢળક ટીવી-શો કરી ચૂકેલો પંકિત ઠક્કર છેલ્લે ‘સ્કૅમ 1992’ વેબ-સિરીઝમાં જોવા મળ્યો હતો. પંકિત પોતાને નસીબદાર માને છે કે તેણે પોતાની ઍક્ટિંગ કરીઅરમાં જુદા-જુદા રોલ ભજવ્યા છે અને ટાઇપકાસ્ટ નથી થયો.
પંકિત કહે છે, ‘ઍક્ટર્સ પર રોમૅન્ટિક, માચો ગાય, ઇન્ટેન્સ ઍક્ટર વગેરે લેબલ લાગી જાય છે, પણ મેં ઍક્શન, રોમૅન્સ, કૉમેડી વગેરે રોલ કર્યા છે. હું પહેલાં કૉન્શિયસ થઈને રોલ પસંદ કરતો, પણ હવે પ્રોડ્યુસર્સને પણ ખ્યાલ છે કે હું કોઈ પણ કૅરૅક્ટર ભજવી શકું છું.’ મોટા ભાગના ઍક્ટર્સ ટાઈઇપકાસ્ટ થવાની ફરિયાદ કરતા હોય છે, પણ પંકિત એનાથી ઊલટું કહે છે કે ‘ફિલ્મ હોય કે ટીવી, ઍક્ટર તો ઍક્ટર જ હોય છે. મેં ફિલ્મ, ટીવી અને ઓટીટીમાં પણ કામ કર્યું છે અને હું હજી સુધી સ્ટિરિયોટાઇપ નથી થયો. જે લોકો આળસુ હોય છે અને મહેનત કરવા નથી માગતા તેઓ જ આવી ફરિયાદ કરતા હોય છે.’