તેનું કહેવું છે કે સતત ૧૨ કલાક કામ કરવા છતાં પણ તેને અનપ્રોફેશનલ કહેવામાં આવતી હતી
નિયા શર્મા
નિયા શર્મા તેનું પેમેન્ટ મેળવવા માટે મેકર્સ સામે જીદે ચડી હતી. તેનું કહેવું છે કે સતત ૧૨ કલાક કામ કરવા છતાં પણ તેને અનપ્રોફેશનલ કહેવામાં આવતી હતી. નિયાએ ‘એક અગ્નિપરિક્ષા’ દ્વારા ઍક્ટિંગમાં એન્ટ્રી કરી હતી. ત્યાર બાદ તેણે ‘એક હઝારોં મેં મેરી બહના હૈ’, ‘જમાઈ રાજા’, ‘ઇશ્ક મેં મરજાવાં’ અને ‘નાગિન 4’માં કામ કર્યું હતું. બાદમાં તેણે ‘ખતરોં કે ખિલાડી’ રિયલિટી શોમાં પણ ભાગ લીધો હતો. પેમેન્ટ માટે કેટલી સ્ટ્રગલ કરવી પડી હતી એ વિશે નિયા શર્માએ કહ્યું કે ‘તમે સખત મહેનત કરો છો અને તમારા જ મહેનતના પૈસા માટે ભીખ માગવી પડે છે. એ સ્થિતિમાંથી હું પસાર થઈ છું અને એના માટે મેં લડત કરી હતી. એને મારું બચપણ કહો કે બીજું કંઈ. હું સ્ટુડિયોની બહાર ઊભી રહેતી હતી. મારું પેમેન્ટ જ્યાં સુધી ન મળે ત્યાં સુધી હું કામ નહીં કરું. હા એવી ચેતવણી પણ આપી હતી, કેમ કે પૈસા મેળવવા માટે આના સિવાય બીજો કોઈ ઉપાય નહોતો. અમારા જ પૈસા માટે ભીખ માગવી પડતી, રડવું પડતું અને ઘણીબધી આજીજી કરવી પડતી હતી. મને પૈસા આપવાની ના પાડવામાં આવી હતી, પરંતુ મેં એ પૈસા કઢાવવાની જીદ પકડી હતી. એના માટે મને ભલે બ્લૅક લિસ્ટ કરવામાં આવે અથવા તો ભલે કામ ન આપવામાં આવે. એ બધી બાબતોની મને કોઈ પરવા નહોતી. મારા પૈસા મેળવવા માટે મેં એક રાણીની જેમ લડત આપી હતી.’