આઇપીએલ મૅચો હવે નથી રમાવાની, એ જોતાં રિયલિટી શોના મેકર્સે કર્યો છે મહત્ત્વનો ફેરફાર
ઇન્ડિયન આઇડલના જજ
કોરોના વાઇરસના કારણે આખા દેશમાં ઊથલપાથલ થઈ રહી છે. મનોરંજન સેક્ટરમાં મોટા-મોટા ફેરફારો થઈ રહ્યા છે. આગોતરાં આયોજન કૅન્સલ થઈ રહ્યાં છે. મનોરંજનના જ એક ભાગ જેવી ઇન્ડિયન પ્રીમિયર લીગ, ક્રિકેટરો કોરોના સંક્રમિત થતાં સસ્પેન્ડ થઈ છે. એના કારણે સોનીના રિયલિટી શો ‘ઇન્ડિયન આઇડલ’ની બારમી સીઝનના મેકર્સે પણ આઇડિયા લડાવીને પોતાના શોમાં ફેરફાર કર્યો છે. આ શનિવારે ‘ઇન્ડિયન આઇડલ’ના એપિસોડમાં બૉય્ઝ વર્સસ ગર્લ્સનો અન્ય એક એપિસોડ ઑન ઍર થવાનો હતો એના બદલે હવે લેજન્ડરી ગાયક કિશોરકુમારના પુત્ર અને સિંગર અમિતકુમાર મુખ્ય મહેમાન તરીકે જોવા મળશે. એનું કારણ એ છે કે અત્યાર સુધી આઇપીએલની મૅચો ચાલતી હતી એ દરમ્યાન ઇન્ડિયન આઇડલના એપિસોડ્સની વ્યુઅરશિપ પ્રમાણમાં ઓછી મળતી. હવે આઇપીએલ નહીં આવે માટે એ જોનાર વર્ગ સ્વભાવિક છે અન્ય - રિયલિટી શોઝ તરફ ફંટાશે એ જોઈને ચૅનલે તેમની બૅન્કમાં પડેલો અમિતકુમારવાળો એપિસોડ પહેલાં ઑન ઍર કરવાનું નક્કી કર્યું છે. શનિવારે આવનારા એપિસોડને કિશોરકુમારના ૧૦૦ એપિસોડવાળો સ્પેશ્યલ એપિસોડ તરીકે જાહેર કરાઈ રહ્યો છે. આ એપિસોડમાં જજ તરીકે હિમેશ રેશમિયા, નેહા કક્કર અને અનુ મલિક જોવા મળશે.