‘મેરે સાંઈ - શ્રદ્ધા ઔર સબૂરી’ના આગામી ટ્રૅકમાં રૂહાનિકા ધવન મહત્ત્વના પાત્રમાં જોવા મળશે
રુહાનિકા ધવન
સોનીના શો ‘મેરે સાંઈ - શ્રદ્ધા ઔર સબૂરી’માં ‘સાંઈબાબા’નું પાત્ર ભજવીને તુષાર દળવીએ દર્શકોનો ઘણો પ્રેમ મેળવ્યો છે. વિવિધ વાર્તાઓના માધ્યમથી બોધપાઠ આપી જતા આ શોમાં અનેક જાણીતા કલાકારોએ કેમિયો તરીકે મહત્ત્વના રોલ કર્યા છે. આ શોનો આગામી ટ્રૅક દીકરો અને દીકરી સમાન છે એ બાબત પર કેન્દ્રિત હશે અને આ એપિસોડમાં ‘યે હૈં મોહબ્બતેં’ ફેમ રૂહાનિકા ધવને મહત્ત્વનો રોલ ભજવ્યો છે. ‘યે હૈં મોહબ્બતેં’ની રૂહી એટલે કે રૂહાનિકા ધવન ‘મેરે સાંઈ’માં રમા તરીકે જોવા મળશે જે એક બહાદુર અને સ્વતંત્ર છોકરી છે અને તે બાળપણમાં તરછોડી ગયેલાં પોતાનાં મા-બાપને શોધે છે! રમાને એક પ્રેમાળ મહિલાએ ઉછેરી હોય છે.
રૂહાનિકા ધવન સાથે કામ કરવાનો અનુભવ શૅર કરતાં તુષાર દળવીએ જણાવ્યું કે ‘હું પહેલી વખત રૂહાનિકા સાથે કામ કરી રહ્યો છું અને રમા તરીકે તેણે સુંદર પર્ફોર્મન્સ આપ્યો છે. મેં રૂહાનિકાના અગાઉના શો જોયા છે. મારા મતે તે અદ્ભુત ઍક્ટર છે.’ તુષાર દળવીએ ઉમેર્યું કે ‘મારા મતે દરેકને રૂહાનિકા જેવી એક મીઠડી અને સમજુ દીકરી હોવી જોઈએ જે પોતાના સ્મિત વડે તમારી બધી ચિંતા દૂર કરી દે.’