આવું કહેનાર રણધીર કપૂરે ‘ઇન્ડિયન આઇડલ 12’ના સ્ટેજ પર દરેકને લસ્સીની લહાણી કરાવી હતી
‘ફૂડ સારું અને ટેસ્ટી હોય તો હું કંઈ પણ ખાઈ શકું છું’
રણધીર કપૂરે કહ્યું હતું કે જો ફૂડ સારું અને ટેસ્ટી હોય તો હું કંઈ પણ ખાઈ શકું છું. કપૂર-ફૅમિલીની દરેક વ્યક્તિ ફૂડી છે એ વાત જગજાહેર છે. રણધીર કપૂરે હાલમાં ‘ઇન્ડિયન આઇડલ 12’ના સેટ પર હાજરી આપી હતી. એ દરમ્યાન કન્ટેસ્ટન્ટ સાયલી કાંબળેએ ‘રમૈયા વસ્તાવૈયા’ અને ‘યે ગલિયાં યે ચૌબારા’ ગીત પર પર્ફોર્મ કર્યું હતું. ગીત બાદ સાયલીએ તેમને પૂછ્યું હતું કે તેઓ કેટલા ફૂડી છે. એનો જવાબ આપતાં રબધીર કપૂરે કહ્યું હતું કે ‘આ અદ્ભુત ગીતો પર સાયલીના પર્ફોર્મન્સ બાદ હું એ વિશે વાત કરવા માગતો હતો, પરંતુ સાયલીએ મારી બાજુ જોઈને ફૂડ વિશે પૂછ્યું. કોઈ પણ કપૂર્સને જોઈને તમે કહી શકો છો કે અમે કેટલા ફૂડી છીએ. અમે જ્યારે બ્રેકફાસ્ટ કરવા ટેબલ પર બેસીએ ત્યારે લંચમાં શું હશે એ વિશે વાત કરીએ છીએ. ખાવાની વસ્તુ કોઈ પણ હોય ત્યાં સુધી અમે એ ખાઈ લઈએ છીએ. હું હમણાં કંઈ પણ ખાઈ શકું છું. બસ ખાવાનું સારું અને ટેસ્ટી હોવું જોઈએ.’ તેમની ખાવાની પસંદીદા વાનગી વિશે પૂછતાં રણધીર કપૂરે કહ્યું હતું કે ‘મારી સાઇઝ પર નજર કરો એટલે તમને સમજાઈ જશે. મારા દાદાથી લઈને મારા પિતા, મારા કાકા શમ્મી કપૂર, શશી કપૂર અને ત્યાર બાદ મારા ભાઈઓ રિશી, રાજીવ અને મને જોઈ લો, શું અમે ફૂડી નથી લાગતા?’ આટલું કહ્યા બાદ તેમણે સ્ટેજ પર દરેક માટે પંજાબી લસ્સી મગાવી હતી.