‘શાનદાર શુક્રવાર’ના સેલિબ્રિટી એપિસોડમાં ફારાહ અને દીપિકા પાદુકોણે હાજરી આપી હતી
ફારાહ ખાન કુન્દર
ફારાહ ખાન કુન્દરે ‘કૌન બનેગા કરોડપતિ’ની ૧૩મી સીઝનનો આભાર માન્યો છે જેના માધ્યમ થકી અયાંશ મદનની સારવાર માટે ૧૬ કરોડ રૂપિયા જમા થઈ શક્યા છે. ‘શાનદાર શુક્રવાર’ના સેલિબ્રિટી એપિસોડમાં ફારાહ અને દીપિકા પાદુકોણે હાજરી આપી હતી. ૧૦ સપ્ટેમ્બરે તેઓ આ એપિસોડમાં ૨૫ લાખ રૂપિયા જીત્યાં હતાં. એ દરમ્યાન તેણે અયાંશની દુર્લભ બીમારી વિશે પણ લોકોને યથાશક્તિ ડોનેટ કરવાની વિનંતી કરી હતી. તેને જે દવાની જરૂર છે એ દવા વિશ્વની સૌથી મોંઘી દવા છે અને એની કિંમત ૧૬ કરોડ છે. ફારાહે અયાંશ વિશેની માહિતી ઇન્સ્ટાગ્રામ પર આપી હતી. ૧૭ મહિનાના આ છોકરાનો જન્મ હરિયાણામાં થયો છે. ૧૨ વર્ષ બાદ તેના પેરન્ટ્સને બાળકનું સુખ મળ્યું છે. તેની બીમારીનું નામ સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી (SMA) છે. એને કારણે તેનો વિકાસ રૂંધાઈ જાય છે. તે બેસી નથી શકતો, ઘૂંટણિયે ચાલી નથી શકતો કે ઊભો પણ નથી રહી શકતો. તેનું ગળું અને લન્ગ્સ નબળાં પડી ગયાં છે. આ બાબત લોકોના ધ્યાનમાં આવતાં લોકોએ આ નાનકડા બાળક માટે દિલ ખોલીને મદદ કરી છે. એથી ફારાહે એ સૌનો દિલથી આભાર માન્યો છે.