એકતા કપૂરના આ નવા શોમાં ઐશ્વર્યા ખરે અને રોહિત સુચંતીને પસંદ કરવામાં આવ્યાં છે
ભલમનસાઈ દેખાડવામાં આવશે ‘ભાગ્ય લક્ષ્મી’માં
એકતા કપૂર તેનો નવો શો ‘ભાગ્ય લક્ષ્મી’ લઈને આવી છે જેમાં ઐશ્વર્યા ખરે અને રોહિત સુચંતીને પસંદ કરવામાં આવ્યાં છે. ઝીટીવી પર આ શો સોમથી શનિ રાતે સાડાઆઠ વાગ્યે આવશે. આ શોમાં લોકોની સાથે નેકી કરવા વિશે ફોકસ કરવામાં આવ્યું છે. લવ, લાઇફ અને કર્મા વિશેના આ શો માટે એકતાએ કહ્યું હતું કે ‘અમે છેલ્લા ઘણા સમયથી જેટલાં પણ પાત્રો પર કામ કર્યું છે એમાં લક્ષ્મી એકદમ પ્યૉર છે. એનામાં ઘણી નેકી છુપાયેલી છે. લોકો નેકીને બોલતાં ભૂલી ગયા છે, પરંતુ એ ગાયબ નથી થઈ. માનવી તરીકે આપણે છેલ્લા થોડા સમયથી ખૂબ ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ અને એ દરમ્યાન લોકોએ નેકી કરી છે એ પણ આપણે જોયું છે. લોકો ચાલતા પોતાના વતન ગયા હોવાના સમાચાર સાંભળ્યા છે તો લોકોએ ભલમનસાઈ દેખાડતાં તેમને મદદ પણ કરી છે. લક્ષ્મી પણ તેમના જેવી જ છે. તમે આવી કોઈ વ્યક્તિને જુઓ છો તો તેના પ્રેમમાં પડી જા અને તમે તેના સારા ભાગ્ય વિશે વિચારો છો. લક્ષ્મીના આ પાત્ર માટે ઐશ્વર્યા તેના ઇનોસન્સને કારણે પર્ફેક્ટ છે તેમ જ રોહિત પણ રિશીના પાત્ર માટે એકદમ યોગ્ય છે.’
આ વિશે ઐશ્વર્યાએ કહ્યું કે ‘લક્ષ્મીનું પાત્ર ભજવવા માટે હું ખૂબ ઉત્સાહી છું. મેં જ્યારે સ્ક્રિપ્ટ વાંચી કે તરત જ હું એની સાથે કનેક્ટ થઈ ગઈ હતી. લક્ષ્મી અને હું એકદમ અલગ પર્સનાલિટી છીએ છતાં તેનામાં અને મારામાં એક વસ્તુનું સામ્ય છે કે અમે કર્મામાં વિશ્વાસ કરીએ છીએ. લક્ષ્મીની જેમ હું પણ માનું છું કે તમે જે ડિઝર્વ કરતા હો એ તમને મળીને રહેશે તેમજ ઉદારતા અને પ્રેમને કારણે નિયતિ પણ તમારા પર આશીર્વાદ આપે છે. મેં અત્યાર સુધી ભજવેલા પાત્રમાં લક્ષ્મી એકદમ અલગ પાત્ર છે. દર્શકોને આ પાત્ર કેવું લાગે છે એ જોવા માટે હું ખૂબ આતુર છું.’