સોની ટીવીના શો ‘ક્રાઇમ પૅટ્રોલ’ની નવી સિરીઝ ‘જસ્ટિસ રીલોડેડ’થી પહેલી વાર હોસ્ટ બનતી સોનાલી કુલકર્ણીનું આવું માનવું છે
સોનાલી કુલકર્ણી
ક્રાઇમ શોને વગોવવાનું કામ અઢળક થયું છે અને થતું રહે છે, પણ સોનાલી કુલકર્ણી માને છે કે ક્રાઇમ શોનું મહત્ત્વ ખૂબ વધારે છે અને નવી જનરેશન માટે તો એ ખૂબ આવશ્યક પણ છે. સોનાલી કુલકર્ણી પહેલી વાર સોની ટીવીના ક્રાઇમ શો ‘ક્રાઇમ પૅટ્રોલ’ની નવી સિરીઝ ‘જસ્ટિસ રીલોડેડ’ની હોસ્ટ બની છે.
સોનાલી કહે છે કે ‘ક્રાઇમને કઈ રીતે રજૂ કરવામાં આવે છે એ મહત્ત્વનું છે. જો એની રજૂઆત યોગ્ય હોય તો ચોક્કસપણે ક્રાઇમથી મનમાં ડર પેસે અને ડર હંમેશાં સૌકોઈને ગભરાવવાનું કામ કરે. ક્રાઇમ શોને લીધે ક્રાઇમ વધતા હશે એવું તો હું દૂર-દૂર સુધી માનતી નથી, પણ મારું દૃઢ માનવું છે કે ક્રાઇમ શોને લીધે ક્રાઇમ ઘટે છે ચોક્કસ. ક્રાઇમ શો પુરવાર કરે છે કે તમે ગમે એટલા શાતિર હો તો પણ કાનૂન તમને છોડતો નથી.’
‘ક્રાઇમ પૅટ્રોલ’માં આ અગાઉ દિવ્યાંકા ત્રિપાઠીએ પણ શો હોસ્ટ કર્યો હતો અને નારી વિરુદ્ધના અત્યાચારનો સામનો કઈ રીતે કરવો એ સિરીઝ તેણે હૅન્ડલ કરી હતી. સોનાલી કુલકર્ણી લાંબા સમય પછી આ શોમાં જોવા મળશે.