‘મિલે જબ હમ તુમ’ની ગુંજન શેરગિલ કેમ ‘ખતરોં કે ખિલાડી’ અને ‘બિગ બૉસ’થી દૂર ભાગે છે
સનાયા ઇરાની
સ્ટન્ટ રિયલિટી શો ‘ખતરાં કેં ખિલાડી’ની ૧૧મી સીઝનમાં રાહુલ વૈદ્ય, નિક્કી તમ્બોલી, દિવ્યાંકા ત્રિપાઠી, અભિનવ શુક્લા, અનુષ્કા સેન, વરુણ સૂદ, વિશાલ આદિત્ય સિંહ, સાના મકબૂલ, સૌરભ રાજ જૈન, મહેક ચહલ અને અર્જુન બિજલાની સહિતના કલાકારો સાઉથ આફ્રિકાના કેપ ટાઉનમાં ટૂંક સમયમાં શરૂ કરવાના છે. આ નામમાં ‘મિલે જબ હમ તુમ’ અને ‘રંગરસિયા’ સહિતની અઢળક સિરિયલો તથા ‘ફના’, ‘પિહુ’ અને ‘ઘોસ્ટ’ સહિતની ફિલ્મો કરી ચૂકેલી ઍક્ટ્રેસ સનાયા ઈરાનીનું પણ નામ હોત. સનાયાએ છેલ્લી ઘડીએ ‘ખતરોં કે ખિલાડી’માં ભાગ ન લેવાનો નિર્ણય લીધો.વાત એમ છે કે સનાયા મેકર્સ સાથે વાતચીત કરી રહી હતી, પરંતુ તે શોનો ભાગ ન બની, કેમ કે તેને વર્ટિગોનો પ્રૉબ્લેમ છે. સનાયાએ કહ્યું કે ‘ખતરોં કે ખિલાડી’માં ભાગ લઉં એ માટે મેકર્સ પ્રયત્ન કરી રહ્યા હતા, પરંતુ હું સ્પષ્ટ હતી કે મારાથી એ નહીં થઈ શકે, કેમ કે હું પર્ટિક્યુલર ટાસ્ક નથી કરી શકતી.’ સનાયા ઈરાનીનું એટલે સુધી કહેવું છે કે તેને આ શો માટે દર વર્ષે કહેણ આવે છે, પરંતુ તેને દર વખતે ના પાડવી પડે છે. સનાયા અન્ય રિયલિટી શો ‘બિગ બૉસ’માં પણ હાલમાં જવા નથી ઇચ્છતી. તેનું માનવું છે કે બિગ બૉસમાં જનારા લોકો જેવી તે દંભી નહીં થઈ શકે.