નવાઝુદ્દીન સાથે હવે ડિવૉર્સ લેવા નથી માગતી તેની પત્ની આલિયા
નવાઝુદ્દીન અને પત્ની આલિયા
નવાઝુદ્દીન સિદ્દીકીની વાઇફ આલિયાની ઇચ્છા છે કે તેઓ બન્ને પરસ્પર મતભેદોને સમજદારીપૂર્વક ઉકેલવા માગે છે. આલિયાએ તેના પર અનેક ગંભીર આરોપો મૂક્યા હતા. તે ઘરેલુ હિંસાનો શિકાર બની હોવાનો પણ આરોપ કર્યો હતો. જોકે હવે તે કોરોના પૉઝિટિવ થઈ છે અને સેલ્ફ-ક્વૉરન્ટીન છે. તેમનાં બાળકોની દેખરેખ હવે નવાઝુદ્દીન રાખી રહ્યો છે. ડિવૉર્સ લેવાનો વિચાર પડતો મૂકીને નવાઝુદ્દીનથી ઇમ્પ્રેસ થઈ છે એવું જણાવતાં આલિયાએ કહ્યું હતું કે ‘છેલ્લા ૧૦ દિવસથી હું કોરોનાનો શિકાર બની છું. આ જ કારણ છે કે હું મુંબઈના મારા ઘરમાં એકલી રહું છું. નવાઝ હાલમાં લખનઉમાં શૂટિંગમાં બિઝી છે. આમ છતાં તે અમારાં બાળકો યાના અને શોરાની ખૂબ કાળજી રાખી રહ્યો છે. અતિશય વ્યસ્ત હોવા છતાં પણ નવાઝ બાળકોના એજ્યુકેશનની અને અન્ય વસ્તુઓની ખૂબ સંભાળ રાખી રહ્યો છે. સાથે જ મારી હેલ્થ વિશે જાણવા માટે પણ તે સતત મને કૉલ કરે છે. નવાઝના આ વર્તનથી હું ખૂબ પ્રભાવિત થઈ છું. તેણે તો મારા દિલને સ્પર્શ કર્યો છે. અગાઉ તે બાળકો પર ધ્યાન નહોતો આપતો. જોકે હવે તેનું આવું વર્તન જોઈને હું પોતે ચોંકી ગઈ છું. હું અને નવાઝ સાથે મળીને તમામ મતભેદોને ઉકેલીશું. ભવિષ્યનો વિચાર કરતાં બધી અડચણો અને ગેરસમજ દૂર કરીશું. એ વિશે અમે ચર્ચા કરી રહ્યા છીએ.’