અહીંથી તારે જાતે જ આગળ વધવાનું છે, કારણ કે આજે જો તારી ફિલ્મ નહીં ચાલે તો સવાર સુધીમાં બધાને જાણ થશે અને કોઈ ફિલ્મ જોવા નહીં જાય. તને મારી આ વાત ગમે કે ન ગમે, પરંતુ આ જ હકીકત છે.
અભિષેક બચ્ચન
અભિષેક બચ્ચનની પહેલી ફિલ્મ ‘રેફ્યુજી’ જ્યારે રિલીઝ થઈ ત્યારે તેને એક ખાસ સલાહ યશ ચોપડાએ આપી હતી. ૨૦૦૦માં આ ફિલ્મ રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં તેની સાથે કરીના કપૂર ખાન પણ જોવા મળી હતી. જે. પી. દત્તાએ આ ફિલ્મને બનાવી હતી. ફિલ્મના પ્રીમિયર વખતે તેને જે સલાહ મળી હતી એ વિશે અભિષેક બચ્ચને કહ્યું હતું કે ‘મારી પહેલી ફિલ્મ ‘રેફ્યુજી’ના પ્રીમિયર વખતે હું સાઉથ મુંબઈના લિબર્ટી થિયેટરમાં પહોંચ્યો હતો. આ શો માટે આખી ઇન્ડસ્ટ્રીને બોલાવવામાં આવી હતી. હું મેઇન ગેટમાંથી પસાર થઈ રહ્યો હતો અને મને યાદ છે કે યશ ચોપડા ત્યાં જ ઊભા હતા. મેં તેમના આશીર્વાદ લીધા. તેમણે મને ગળે લગાવીને મારા કાનમાં જે કહ્યું હતું એને હું કદી પણ નહીં ભૂલું. તેમણે કહ્યું હતું કે ‘તારા પિતા તને અહીં સુધી લઈ આવ્યા છે. એ વાત યાદ રાખજે, તેમને માન આપજે. અહીંથી તારે જાતે જ આગળ વધવાનું છે, કારણ કે આજે જો તારી ફિલ્મ નહીં ચાલે તો સવાર સુધીમાં બધાને જાણ થશે અને કોઈ ફિલ્મ જોવા નહીં જાય. તને મારી આ વાત ગમે કે ન ગમે, પરંતુ આ જ હકીકત છે.’’
આ ફિલ્મે કંઈ ખાસ કમાલ ન દેખાડી. એથી તેને કેટલીક ફિલ્મોથી હાથ ધોવા પડ્યા હતા. તેને કોઈ ફિલ્મમાં કામ નહોતું આપતું. એ કડવા અનુભવને યાદ કરતાં અભિષેક બચ્ચને કહ્યું હતું કે ‘આ એક બિઝનેસ છે. એ હું મારા વ્યક્તિગત અનુભવથી કહી શકું છું. મને અનેક ફિલ્મોમાં રિપ્લેસ કરવામાં આવતાં મારી કરીઅર ખતમ થવાને આરે હતી જ્યારે મને કોઈ કામ નહોતું આપતું. મને કેટલાક ફિલ્મમેકર્સના કૉલ્સ આવતા હતા અને છ મહિના બાદ જ્યારે મારી ફિલ્મો સારી નહોતી ચાલતી તો તેઓ મારો ફોન પણ રિસીવ નહોતા કરતા અને કૉલબૅક પણ નહોતા કરતા. એ જાણવું જરૂરી છે કે આ કંઈ પર્સનલ નથી. જો તમે લાયક હશો તો તેઓ તમને કૉલ કરશે.’