આટલો સમય લાગતો હતો લગ્નના દૃશ્ય માટે તૈયાર થવામાં માનુષીને
આટલો સમય લાગતો હતો લગ્નના દૃશ્ય માટે તૈયાર થવામાં માનુષીને
માનુષી છિલ્લરને લગ્નના દૃશ્ય માટે તૈયાર થવા માટે લોકોની એક પૂરી ફોજ લાગતી હતી. ‘સમ્રાટ પૃથ્વીરાજ’માં અક્ષયકુમાર સાથેના લગ્ન દૃશ્ય માટે તેને ૨૫ લોકો તૈયાર કરતા હતા અને ત્રણ કલાકનો સમય લાગ્યો હતો. આ ફિલ્મમાં સંયોગિતાના પાત્ર દ્વારા માનુષી બૉલીવુડમાં એન્ટ્રી કરી રહી છે જેને યશરાજ ફિલ્મ્સ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. ડૉક્ટર ચંદ્રપ્રકાશ દ્વિવેદી દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મને હિન્દી, તામિલ અને તેલુગુમાં ત્રણ જૂને રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મમાં તેનું સમ્રાટ પૃથ્વીરાજ સાથેનું એક લગ્નનું દૃશ્ય છે. આ દૃશ્યમાં કૉસ્ચ્યુમ, જ્વેલરી, હેર, મેકઅપ અને ડ્રેસિંગ વગેરે માટે તેને ૨૫ માણસો તૈયાર કરતા હતા અને ત્રણ કલાકનો સમય લાગતો હતો. આ વિશે વાત કરતાં માનુષીએ કહ્યું હતું કે ‘મારા ડિરેક્ટર સંયોગિતાના પાત્રને એકદમ નૅચરલ દેખાડવા માગતા હોવાથી મેકઅપ માટે ૨૦ મિનિટનો સમય લાગતો હતો. જોકે હેર અને કૉસ્ચ્યુમ માટે કલાકો લાગતા હતા. સેટ પર એન્ટર થનારી હું પહેલી વ્યક્તિ હતી. હું અંધારું હોય ત્યારે સેટ પર આવતી હતી. લગ્નનું એક દૃશ્ય છે. એને નાનું જ દેખાડવામાં આવ્યું છે, પરંતુ એના શૂટિંગ માટે ઘણો સમય લાગતો હતો. આ માટે તૈયાર થવામાં મને ખૂબ જ સમય લાગતો હતો. મને તૈયાર કરવા માટે અને સ્ક્રીન પર સારી દેખાડવા માટે લોકોની એક ફોજ તૈયાર રહેતી હતી. કેટલાક લોકો મારા હાથ સાથે કંઈ કરતા અને કેટલાક પગ સાથે કંઈ કરતા. કોઈ મારા કૉસ્ચ્યુમને સ્ટિચ કરી રહ્યું હતું. કોઈ મારા હેર બનાવી રહ્યું હતું. કોઈ મારો મેકઅપ કરી રહ્યું હોય છે તો કોઈ જ્વેલરી પહેરાવી રહ્યું હોય છે. મારા પર એક પછી એક લેયર્સનાં ઘણાં કપડાં અને જ્વેલરી માટે ઘણા લોકો સેટ પર હાજર રહેતા હતા. આ માટે ઘણો સમય લાગી જતો હતો. આ ફિલ્મના કૉસ્ચ્યુમની એક વાત મને ખૂબ જ પસંદ પડી છે કે એને એકદમ ઑથેન્ટિક રાખવામાં આવ્યો છે. જોકે ડ્રેસ અને જ્વેલરીનું ખૂબ જ વજન હતું. સ્વયંવર માટે એક દુપટ્ટો આપ્યો હતો એ પણ ખૂબ જ વજનદાર હતો. અમે જ્યારે શૂટિંગ માટે અટકતા કે બે જણ આવીને મારો દુપટ્ટો કાઢતા હતા જેથી મારા પર એનું વજન વધુ સમય માટે ન રહે.’
રાજપૂત કરણી સેનાની લાગણીને ધ્યાનમાં રાખીને ‘પૃથ્વીરાજ’નું નામ બદલીને હવે ‘સમ્રાટ પૃથ્વીરાજ’ કરવામાં આવ્યું છે.