એના તમામ ઍક્ટર્સ દ્વારા શો છોડવામાં આવ્યો હોવાથી હવે એને નવી ફ્લેવર સાથે લઈને આવશે ગૌરાંગ દોશી
‘7th સેન્સ’ની નવી શરૂઆત
ક્રાઇમ-થ્રિલર વેબ-સિરીઝ ‘7th સેન્સ’ને પ્રોડ્યુસર ગૌરાંગ દોશી નવા કલાકારો સાથે બનાવશે. આ સિરીઝના કાસ્ટ મેમ્બર્સે આ શો છોડી દીધો હતો. આ સિરીઝમાં અમીષા પટેલ, રૉનિત રૉય અને ચન્કી પાન્ડે હતાં. તેમના દ્વારા આ શો છોડવાથી એ ચર્ચાનો વિષય બન્યો હતો. જોકે નવા કલાકારોની પસંદગી કરવામાં આવી છે અને આગામી ૩ મહિનામાં એનું શૂટિંગ શરૂ કરવાની વાત ગૌરાંગે કહી છે. એ વિશે ગૌરાંગે કહ્યું હતું કે ‘હું ત્રીજી પેઢીનો પ્રોડ્યુસર છું. એવું કોઈ નથી જે આ બિઝનેસમાં આટલા લાંબા સમયથી હોય. પ્રોડ્યુસરના નામની આગળ કાળો ધબ્બો ન હોઈ શકે. આ સિરીઝ પર ધમધોકાર કામ ચાલી રહ્યું છે. ફાઇનલ કાસ્ટ પણ તૈયાર છે. તેમનાં નામો અને શૂટિંગની તારીખનો ખુલાસો અમે જલદી જ કરીશું. છેલ્લાં બે વર્ષથી લૉકડાઉન છે. વસ્તુઓને સમય લાગે છે. હું આ પ્રોજેક્ટને ભવ્ય અને સારી કાસ્ટ સાથે રિવાઇવ કરી રહ્યો છું. આ મલ્ટિસ્ટારર પ્રોજેક્ટ હોવાથી એનું બજેટ પણ મોટું છે અને અમે દુબઈમાં શૂટિંગ કરવાના છીએ.’
પ્રોજેક્ટ અટકવાનું કારણ મહામારીને જણાવતાં ગૌરાંગે કહ્યું હતું કે ‘મહામારીને કારણે દરેક વસ્તુ પર બ્રેક લાગી ગઈ છે. સૌની સલામતીને ધ્યાનમાં રાખતાં મેં શૂટિંગની શરૂઆત નહોતી કરી. હવે બધું ફરીથી ગોઠવવું પડશે અને વ્યવસ્થા કરવી પડશે. વહેલાસર અમે એની જાહેરાત પણ કરીશું. હું બમણા જોશ, તાકાત અને ઊર્જા સાથે ફરીથી મેદાનમાં ઊતરીશ.’