તેમને હાઈ બ્લડ પ્રેશર અને હાઈ શુગરની તકલીફ થઈ હતી
સાયરા બાનુ
સાયરા બાનુને ગઈ કાલે હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળી ગયો છે. તેમને ખારની હિન્દુજા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. તેમને હાઈ બ્લડ પ્રેશર અને હાઈ શુગરની તકલીફ થઈ હતી. જુલાઈમાં દિલીપકુમારનું નિધન થયા બાદ સાયરા બાનુ એકલાં પડી ગયાં છે. એને કારણે લોકો એવી અટકળો લગાવતા હતા કે તેઓ કદાચ ડિપ્રેશનનો શિકાર થયાં હશે. તેમની સારવાર કરતા ડૉક્ટર નીતિન ગોખલેએ કહ્યું હતું કે ‘સાયરાજી ડિપ્રેશનનો શિકાર નથી બન્યાં. સાથે જ તેમણે ઍન્જિયોગ્રાફી માટે પણ મનાઈ નથી કરી. મેં પહેલાં પણ કહ્યું હતું કે જ્યારે તેમનો ડાયાબિટીઝ કન્ટ્રોલમાં આવી જશે ત્યારે ઍન્જિયોગ્રાફી કરવામાં આવશે. એથી સવાલ જ નથી થતો કે તેમણે ઍન્જિયોગ્રાફી માટે ના પાડી હોય.’
તેમની તબિયત વિશે સાયરા બાનુના ફૅમિલી ફ્રેન્ડ ફૈઝલ ફારુકીએ કહ્યું હતું કે ‘સાયરાજી સ્વસ્થ છે. તેમને ડિસ્ચાર્જ મળી ગયો છે અને તેઓ ઘરે આવી ગયાં છે. આરામ કરી રહ્યાં છે. તમે કરેલી પ્રાર્થનાઓ માટે આભાર.’