રક્ષાબંધન જોઈને ‘દો રાસ્તે’માં બલરાજ સાહનીની ભૂમિકાની તમને યાદ આવી જશે
આનંદ એલ. રાય
અક્ષયકુમારની આજે રિલીઝ થયેલી ‘રક્ષાબંધન’ લોકોનાં દિલોને સ્પર્શી જશે એવો વિશ્વાસ ડિરેક્ટર આનંદ એલ. રાયને છે. આ ફિલ્મમાં તેની સાથે ભૂમિ પેડણેકર પણ છે. અક્ષયકુમાર ફિલ્મમાં ચાર બહેનોના જવાબદાર ભાઈની ભૂમિકામાં દેખાઈ રહ્યો છે. તેની બહેનો માટે તે એક પિતા સમાન છે. ફિલ્મને લઈને આનંદ એલ. રાયે કહ્યું કે ‘મને જાણ નથી કે લોકોને એ કેટલી ગમશે, પરંતુ મને એ વાતની ખાતરી છે કે કોઈને ન ગમે એવું તો શક્ય જ નથી. ‘રક્ષાબંધન’ દરેક ભારતીયના દિલને સ્પર્શી જશે. મેં આ જે ફિલ્મ બનાવી છે એ વર્તમાન સમયમાં સુસંગત છે. એને જોઈને ‘દો રાસ્તે’માં બલરાજ સાહનીની ભૂમિકાની તમને યાદ આવી જશે. ‘રક્ષાબંધન’માં અક્ષયકુમાર તેની બહેનો માટે એક ભાઈ કરતાં પણ વિશેષ એક પિતા સમાન છે. વર્તમાનમાં જ્યારે પરિવારનાં મૂલ્યો વિસરાતાં જાય છે એવામાં ‘રક્ષાબંધન’ પારિવારિક ફિલ્મોની તમને યાદ અપાવશે કે જેમાં કહેવામાં આવ્યું હતું કે સંબંધોને જાળવી રાખવા કેટલા મહત્ત્વપૂર્ણ છે.’