‘શહઝાદા’ના પ્રોડ્યુસર ભૂષણ કુમારે તેનો બચાવ કરતાં કહ્યું કે તે ખૂબ જ પ્રોફેશનલ ઍક્ટર છે
કાર્તિક આર્યન
કરણ જોહરની ફિલ્મ ‘દોસ્તાના’માંથી જ્યારથી કાર્તિક આર્યનને કાઢવામાં આવ્યો છે ત્યારથી તેની ઇમેજ બગાડવાની કોશિશ કરવામાં આવી રહી છે. હાલમાં જ ‘શહઝાદા’ને લઈને ફરી તેના પર કાદવ ઉછાળવામાં આવ્યો છે. અલ્લુ અર્જુનની ‘અલા વૈકુંઠપુરમુલૂ’ની આ હિન્દી રીમેક છે. ‘પુષ્પા’ની સફળતાને જોઈને પ્રોડ્યુસર મનીષ શાહ દ્વારા ‘અલા વૈકુંઠપુરમુલૂ’ને ૨૬ જાન્યુઆરીએ થિયેટરમાં રિલીઝ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જોકે ભૂષણ કુમારની વિનંતી બાદ એની રિલીઝને ટાળવામાં આવી હતી. જોકે આ પાછળ એવું કારણ જણાવવામાં આવી રહ્યું છે કે કાર્તિક આર્યને ધમકી આપી હતી કે આ રિલીઝને ટાળવામાં નહીં આવે તો તે ફિલ્મ છોડી દેશે. જો તે આમ કરે તો પ્રોડ્યુસર્સને ૪૦ કરોડ રૂપિયાનું નુકસાન થાય છે. આથી તેના આ વ્યવહારને અનપ્રોફેશનલ ગણાવવામાં આવી રહ્યો છે. જોકે આ તમામ અફવા છે. આ વિશે કાર્તિકનો બચાવ કરતાં ભૂષણ કુમારે કહ્યું હતું કે ‘અમે પ્રોડ્યુસરોએ નક્કી કર્યું હતું કે પહેલાં ‘શહઝાદા’ થિયેટરમાં રિલીઝ થવી જોઈએ નહીં કે ‘અલા વૈકુંઠપુરમુલૂ’ અને એથી અમે ગોલ્ડમાઇન્સને વિનંતી કરી હતી કે તેઓ આ ફિલ્મને રિલીઝ નહીં કરે. ફિલ્મને ક્યારે અને ક્યાં રિલીઝ કરવી એ હંમેશાં પ્રોડ્યુસરનો નિર્ણય હોય છે નહીં કે ઍક્ટરનો. કાર્તિકે કરીઅરની શરૂઆત કરી ત્યારથી હું તેને ઓળખું છું. અમે ઘણી ફિલ્મો સાથે કરી છે. તે ખૂબ જ પ્રોફેશનલ ઍક્ટર છે.’