ઉદ્ધવ ઠાકરેની શિવસેના પર કટાક્ષ મારતાં તેણે આવું કહ્યું
લોકોનો ઘમંડ એક દિવસ જરૂર તૂટે છે : કંગના રનોટ
મહારાષ્ટ્રમાં જે પ્રકારે શિવસેનાને સત્તા પરથી હટવું પડ્યું એને જોતાં કંગના રનોટે કટાક્ષ કર્યો છે. તેણે જણાવ્યું છે કે લોકોનો ઘમંડ એક દિવસ જરૂર તૂટે છે. તેનું એવું પણ કહેવું છે કે શિવસેનાએ હનુમાન ચાલીસા પર પ્રતિબંધ લગાવ્યો હતો અને એવું માનવામાં આવે છે કે હનુમાનજી ભગવાન શિવના બારમા અવતાર છે. એવામાં શિવ પણ શિવસેનાને બચાવી ન શક્યા. પોતાના વિચાર માંડતાં એક વિડિયો કંગનાએ ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો. એ વિડિયોમાં કંગના કહી રહી છે કે ‘૨૦૨૦માં મેં કહ્યું હતું કે લોકશાહી એક વિશ્વાસ છે અને સત્તાના ઘમંડમાં આવીને જે વિશ્વાસ તોડે છે તેમનો ઘમંડ પણ તૂટે છે. આ કોઈ વ્યક્તિવિશેષની શક્તિ નથી. આ શક્તિ છે ખરા ચરિત્રની અને બીજી વાત એ કહેવા માગું છું કે હનુમાનજીને ભગવાન શિવના બારમા અવતાર ગણવામાં આવે છે અને શિવસેનાએ હનુમાન ચાલીસા પર જ બૅન લગાવી દીધો તો પછી તેમને તો શંકર ભગવાન પણ ન બચાવી શકે. હર હર મહાદેવ. જય હિન્દ. જય મહારાષ્ટ્ર.’
આ વિડિયોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કંગનાએ કૅપ્શન આપી હતી, ‘જબ પાપ બઢ જાતા હૈ તો સર્વનાશ હોતા હૈ ઔર ઉસકે બાદ સૃજન હોતા હૈ. આવી રીતે લાઇફનું કમળ ખીલી ઊઠે છે.’