રિચા ચઢ્ઢાએ આ કારણને લીધે બોમ્બે હાઈ કોર્ટનો આભાર માન્યો...
ફાઈલ તસવીર
બૉલીવુડ અભિનેત્રી પાયલ ઘોષે (Payal Gosh) ફિલ્મનિર્માતા અનુરાગ કશ્યપ (Anurag Kashyap) પર યૌન શોષણનો આક્ષેપ મૂક્યો હતો અને એક ઈન્ટરવ્યૂમાં તેણે રિચા ચઢ્ઢા(Richa Chadha) નું પણ નામ ખેંચ્યુ હતુ જે પછી રિચાએ બદનક્ષીનો કેસ કર્યો હતો. બોમ્બે હાઈ કોર્ટે પાયલ ઘોષને કહ્યું હતું કે શું તે પોતાનું નિવેદન પાછવુ ખેચવા માગે છે કે નહીં. આ સામે પાયલ ઘોષે રિચાની બિનશરતી માફી માગતા કહ્યું કે તે ટ્વીટર અને અન્ય સોશ્યલ મીડિયામાં રિચા વિરુદ્ધ જે પોસ્ટ અને નિવેદન કર્યા છે તે ડિલીટ કરશે.
ADVERTISEMENT
આ સામે રિચાની ટીમે એક નિવેદન જાહેર કર્યું હતું, જેમાં જણાવવામાં આવ્યું કે, રિચા ચઢ્ઢા બોમ્બે હાઈ કોર્ટના ચુકાદાની આભારી છે. કોર્ટે એ વાતની ખાતરી કરી કે પાયલ ઘોષ બિનશરતી માફી માગે અને રિચા ચઢ્ઢા વિરુદ્ધના દરેક વિવાદિત નિવેદનો અને વીડિયો ડિલીટ કરે. જોકે કમાલ આર ખાન (KRK) વિરુદ્ધ કેસ ચાલુ રહેશે કારણ કે તે સતત રિચા ચઢ્ઢાની છબીને હાનિ પહોંચાડવાના પ્રયાસો કરી રહ્યો છે. ન્યૂઝ ચેનલ પણ સંમત થઈ છે કે તે તેના દરેક પ્લેટફોર્મમાંથી આ બાબતના વીડિયોઝ અને અન્ય માહિતીને ડિલીટ કરશે અને ફરી આવી રીતે કંઈ પબ્લિશ કરશે નહીં. જોકે ન્યૂઝ ચેનલ અને કમાલ આર ખાન વિરુદ્ધ કેસ ચાલુ રહેશે.
અગાઉ રિચા ચઢ્ઢાએ માનહાનીનો કેસ કર્યા બાદ પાયલ ઘોષે ન્યુઝ એજન્સી એએનઆઈ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, 'રિચા ચઢ્ઢા સાથે મારે કંઈ લેવા દેવા નથી. મેં તેણીને બદનામ કરી નથી. એટલે હું સમજી નથી શકતી કે તેનો કેસ શું છે. મેં ફક્ત એટલું જ કહ્યું છે, જે મને અનુરાગ કશ્યપે કહ્યું હતું. તે મારો અંગત મત નથી. તેથી આ માનહાનિનો કેસ માન્ય નથી. પણ જો તેણીએ એવું કહ્યું છે તો હું તેનો સામનો કરીશ અને આ બાબતનો ખુલાસો કરીશ.'