સંજુ યોદ્ધા છે, આ કપરા સમયમાંથી પણ પસાર થઈ જશે: માન્યતા દત્ત
માન્યતા દત્ત અને સંજય દત્ત (ફાઈલ તસવીર)
8 ઑગસ્ટે શ્વાસ લેવામાં તકલીફ પડતાં સંજય દત્તને (Sanjay Dutt) લીલાવતી હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા. લોકોને ડર હતો કે તેમને ક્યાંક કોરોના સંક્રમણ હશે. તે હૉસ્પિટલ ભેગા થયા અને ઘરે પાછા પણ ફર્યા. જો કે ઘરે પાછા આવીને એક જ દિવસમાં તેમણે પોસ્ટ શેર કરી કે તે કામમાંથી થોડો સમય બ્રેક લેવાના છે, આ સાથે તેમણે ચાહકોને કહ્યું કે તેઓએ ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ ગઈકાલે રાત્રે ખબર પડી કે સંજુ બાબાને ફેફસાંનું ત્રીજા સ્ટેજનું કેન્સર છે અને સારવાર માટે અમેરિકા લઈ જવાની તૈયારીઓ ચાલી રહી છે. બાબાની તબિયની ચિંતા કરતા ફૅન્સનો પત્ની માન્યતા દત્ત (Manyata Dutt)એ આભાર માન્યો છે. સાથે જ અફવાઓ પર ધ્યાન ન આપવાનું પણ કહ્યું છે.
સંજય દત્તની તબિયત વિશે માન્યતા દત્તે એક નિવેદનમાં કહ્યું છે કે, સંજુની ઝડપથી રિકવરી થાય તે માટે શુભેચ્છાઓ મોકલનાર દરેક વ્યક્તિનો હું આભાર માનું છું. આ પરિસ્થિતિનો સામનો કરવા માટે શક્તિ અને પ્રાર્થનાની જરૂર છે. પહેલાં પણ કુટુંબ આવા કપરા સમયમાંથી પસાર થયું છે અને મને વિશ્વાસ છે કે આ વખતે પણ પસાર થઈ જશે. ફૅન્સને વિનંતી કરું છું કે, ખોટી અફવાઓ પર ધ્યાન નહીં આપતા. પણ આ સમયે અમને હૂંફ અને પ્રેમ આપજો.
ADVERTISEMENT
માન્યતા દત્તએ વધુમાં કહ્યું હતું કે, સંજુ યોદ્ધા છે અને અમારું કુટુંબ પણ. જીવનમાં આવતા પડકારોનો સામનો અમે કઈ રીતે કરીએ છીએ તેનું ભગવાન પરીક્ષણ કરી રહ્યો છે. અમને તમારી પ્રાર્થનાઓ અને આર્શીવાદની જરૂર છે. જો એ સાથે હશે તો ચોક્કસ વિજેતા બનીશું. આપણે આ તકનો ઉપયોગ પ્રકાશ અને હકારાત્મકતા ફેલાવવા માટે કરીએ.