‘પૃથ્વીરાજ’ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરનાર માનુષી છિલ્લરની પ્રશંસા કરતાં અક્ષયકુમારે જણાવ્યું કે તે ખૂબ જ પ્રતિભાશાળી અને સહજ ઍક્ટ્રેસ છે.
માનુષી છિલ્લર
‘પૃથ્વીરાજ’ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરનાર માનુષી છિલ્લરની પ્રશંસા કરતાં અક્ષયકુમારે જણાવ્યું કે તે ખૂબ જ પ્રતિભાશાળી અને સહજ ઍક્ટ્રેસ છે. યશરાજ ફિલ્મ્સની ‘પૃથ્વીરાજ’ ૩ જૂને થિયેટર્સમાં હિન્દી, તામિલ અને તેલુગુમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મને ટીવી સિરિયલ ‘ચાણક્ય’ બનાવનાર ડૉ. ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ ડિરેક્ટ કરી છે. પરાક્રમી રાજા સમ્રાટ પૃથ્વીરાજના જીવન અને તેમની વીરતાને આ ફિલ્મમાં દેખાડવામાં આવ્યાં છે. તેમણે ભારતની રક્ષા માટે કઈ રીતે મોહમ્મદ ઘોરી સાથે લડાઈ લડી હતી એ ઐતિહાસિક ઘટનાને અક્ષયકુમારે પૃથ્વીરાજ ચૌહાણના પાત્રને પડદા પર સાકાર કર્યું છે. ફિલ્મમાં રાજકુમારી સંયોગિતાના રોલમાં જોવા મળનારી માનુષી છિલ્લરની પ્રશંસા કરતાં અક્ષયકુમારે કહ્યું કે ‘માનુષી ખૂબ જ પ્રતિભાશાળી અને સહજ અભિનેત્રી છે. ‘પૃથ્વીરાજ’ જેવી ફિલ્મમાં કામ કરવું કોઈના માટે પણ સરળ શરૂઆત ન કહી શકાય. આ એક ઐતિહાસિક ફિલ્મ છે અને એ ઇતિહાસની યાદગાર વ્યક્તિઓમાંનું એક પાત્ર રાજકુમારી સંયોગિતાને શ્રદ્ધાંજલિ આપી રહી છે. એથી તેની પાસેથી શાનદાર અને જબરદસ્ત અભિનયની આશા રાખવામાં આવી રહી છે. તેણે એ રૂપને જીવંત કરવાનું છે જેના માટે રાજકુમારી ઓળખાય છે. હું એ વાતથી ચોંકી ગયો હતો કે તે આ ભૂમિકા માટે કેટલી તૈયાર હતી. તે પહેલેથી જ જાણતી હતી કે એ પાત્ર માટે તેની કેટલી જવાબદારી બને છે અને તેણે સંયોગિતાના પાત્રને ખૂબ જ સુંદરતાથી ભજવ્યું છે. હું આ બધું ન કહેત જો તે પ્રશંસાને પાત્ર ન હોત. તેણે પોતાની પહેલી ફિલ્મમાં એ બાબત શીખી લીધી છે જે હું મારી પચીસમી ફિલ્મમાં શીખ્યો હતો. તમે જ્યારે તેને પડદા પર જોશો તો તમને ખ્યાલ આવી જશે કે હું શું કહેવા માગું છું. તેની પ્રતિભા જોવાલાયક છે. તેના માટે આટલા શાંત રહેવું અને પોતાના અભિનય પ્રતિ એટલા આશ્વસ્ત રહેવું તેના વ્યક્તિત્વ અને સ્ક્રીન પર પર્ફોર્મ કરવાની તેની તીવ્ર ઇચ્છા વિશે ઘણું કહી જાય છે.’