એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીના જરૂરતમંદ લોકોની મદદ કરશે
કરણ જોહરે શરૂ કર્યું યશ જોહર ફાઉન્ડેશન
કરણ જોહરે કોરોનાની મહામારી વચ્ચે એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીના જરૂરતમંદ લોકોને મદદ કરવા માટે યશ જોહર ફાઉન્ડેશનની શરૂઆત કરી છે. આ ફાઉન્ડેશનના માધ્યમથી લોકોને આર્થિક રીતે મદદ, તેમને સ્વાસ્થ્ય અને એજ્યુકેશનલ તથા વોકેશનલ ટ્રેઇનિંગ આપવામાં આવશે. મનોરંજન જગતના લોકોનું આર્થિક ધોરણ પણ ઊંચું લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. કેવી રીતે લોકોને મદદ કરવામાં આવશે એ વિશે કરણ જોહરે કહ્યું હતું કે ‘મારા પિતા જાણતા હતા કે મૂવી બિઝનેસ મુશ્કેલ છે. આ જ કારણ છે કે વર્તમાન સ્થિતિને જોતાં અમે ફાઉન્ડેશન લૉન્ચ કર્યું છે. કોવિડ અને ત્યાર બાદ થનારી અસરને ધ્યાનમાં રાખતાં અમે યશ જોહર ફાઉન્ડેશન 2021 કોવિડ પહેલની શરૂઆત કરી છે. આ મહામારીએ એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીના જે લોકો પર માઠી અસર પાડી છે તેમને ભોજન, રહેવાની વ્યવસ્થા અને દવાઓ પૂરી પાડવામાં આવશે.’