‘જબ તક હૈ જાન’ કે ‘સન ઑફ સરદાર’ વચ્ચે કોણ સફળ થશે એ તો સમય કહેશે, પણ...
ADVERTISEMENT
યશરાજ ફિલ્મ્સ અને ‘સન ઑફ સરદાર’ના પ્રોડ્યુસર્સ વચ્ચે ચાલી રહેલી બબાલને કારણે અત્યારે બૉલીવુડમાં લોકોનાં મંતવ્યો વહેંચાઈ ગયાં છે. એ સમયે ટ્રેડ નિષ્ણાતોના કહેવા મુજબ કદાચ બન્ને ફિલ્મો લગભગ સરખી જાય એવી સંભાવનાઓ જતાવાઈ રહી છે.
લોકોનું માનવું છે કે બૉક્સ-ઑફિસ પર ફુલ ફૉર્મમાં દિવાળી આવશે. આ જબરજસ્ત કૉમ્બિનેશન છે. એક તરફ સ્વર્ગીય યશ ચોપડા અને શાહરુખ ખાન છે ને બીજી તરફ બૅક-ટુ-બૅક હિટ આપનાર અજય દેવગન છે. ટ્રેડ પંડિતોનું કહેવું છે કે ૧૪મી નવેમ્બર એટલે કે દિવાળી પછીનો બીજો અને નવા વરસનો પહેલો દિવસ ઐતિહાસિક હશે, કેમ કે બન્ને ફિલ્મો આ એક જ દિવસના કલેક્શનના તમામ રેકૉર્ડ તોડે એવી શક્યતાઓ છે.
નાગપુર-સ્થિત ડિસ્ટ્રિબ્યુટર અશોક રાઠી કહે છે, ‘૧૪મી નવેમ્બર ખરાખરીનો દિવસ છે. ‘જબ તક હૈ જાન’ અને ‘સન ઑફ સરદાર’નો ભેગો વકરો બીજા જ દિવસે ૪૦ કરોડને આંબે એવી શક્યતા છે. બેમાંથી કઈ ફિલ્મ બૉક્સ-ઑફિસ પર ટંકશાળ પાડશે એના પર સૌની નજર મંડાયેલી છે, પણ ખરેખર આ એક દિવસ બૉક્સ-ઑફિસ માટે ઐતિહાસિક બની શકે એમ છે.’
સિનેમૅક્સના ગિરીશ વાનખેડે કહે છે, ‘આ દિવસોમાં કોઈ પોતાના ઘરે બેસી રહેવાનું નથી. દર ૩૦ કે ૪૫ મિનિટના અંતરે શો શરૂ થશે. મને લાગે છે કે બન્ને ફિલ્મોનું ભેગું કલેક્શન ૪૦થી ૪૫ કરોડ જેટલું થઈ જશે.’