દેશની રક્ષામાં પ્રાણની આહુતિ આપનારા સૈનિકોને બૉલીવુડની શ્રદ્ધાંજલિ
શહીદ થયેલા જવાનો
ચીનની નાપાક હરકતોથી દેશની સુરક્ષામાં પોતાના પ્રાણની પણ પરવા કર્યા વગર આપણા દેશના જવાનો શહીદ થયા છે. એ સૌને બૉલીવુડે શ્રદ્ધાંજલિ આપી છે. લદ્દાખમાં આવેલી ગલવાન વૅલીમાં ચીનના સૈનિકોએ ઘૂસણખોરી કરી હતી. તેમને અટકાવતાં થયેલી અથડામણમાં આપણા 20 જાંબાઝ સૈનિકોએ જીવ ગુમાવ્યા છે. તેમના પ્રતિ બૉલીવુડે સંવેદના વ્યક્ત કરી છે.
ઝરા આંખ મેં ભર લો પાની, જો શહીદ હુએ હૈં ઉનકી, ઝરા યાદ કરો કુરબાની... આપણા દેશની રક્ષામાં, આપણને સલામત રાખવા માટે તેમણે પોતાના પ્રાણનું બલિદાન આપ્યું છે. ઇન્ડિયન આર્મી ઑફિસર્સ અને જવાનોને નમન. જય હિન્દ. - અમિતાભ બચ્ચન
ADVERTISEMENT
સીમા પર શહીદ થયેલા સૈનિકોને મારી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અને તેમના પરિવારને નત મસ્તક નમન. સાથે જ હું એ તમામ લોકોને એક જોરદાર લાત મારવા માગું છું જે દેશમાં રહીને દેશના દુશ્મન છે. દેશ તેમને કદી પણ માફ નહીં કરે. સૈનિકો માટે ભારત માતાની જય. જય હિન્દ. - અનુપમ ખેર
ગલવાન વેલીમાં આપણા બહાદુર સૈનિકોનાં મોતથી દુઃખી છું. દેશ માટે તેમણે કરેલી સેવા માટે આપણે હંમેશાં તેમના ઋણી રહીશું. શહીદોના પરિવાર પ્રતિ મારી દિલથી સંવેદના વ્યક્ત કરું છું. - અક્ષયકુમાર
સંતોષ બાબુ તમે હંમેશાં અમારા દિલમાં જીવંત રહેશો. તમારું સમર્પણ કદી પણ ભુલાશે નહીં. દેશ માટે તમે જે યોગદાન આપ્યું છે એને જોતાં તમને અને તમારા પરિવારને વંદન. - સોનુ સૂદ
એક સૈનિકની દીકરી હોવાથી સૈનિકનાં નિધન થવાથી હંમેશાં મને દુઃખ થાય છે. તેમનાં જીવનનું બલિદાન અને તેમના પરિવારનો ત્યાગ હંમેશાં યાદ કરવામાં આવશે. તેમના આ બાહોશ પરિવાર માટે હું શાંતિ અને તેમને તાકાત મળી રહે એવી પ્રાર્થના કરું છું. - અનુષ્કા શર્મા
લદ્દાખમાં જે ઘટના ઘટી છે એનાથી ખૂબ દુઃખી છું. આપણા સૈનિકો દિવસ-રાત ખડેપગે ફરજ બજાવે છે. શહીદ જવાનો પ્રતિ સન્માન વ્યક્ત કરું છું. મારી સંવેદના અને પ્રાર્થના શહીદોના પરિવાર પ્રતિ છે. શહીદોને અને તેમના કુટુંબીઓને શાંતિ મળે. - હૃતિક રોશન
દેશની સીમાની સુરક્ષામાં ફરજ બજાવતા તમામ સૈનિકોને સલામ અને સન્માન. જય ભારત. બહાદુર જવાનોના આત્માને શાંતિ મળે. દુઃખની આ ઘડીમાં તેમના પરિવાર સાથે મારી સંવેદના છે. - અજય દેવગન
સીમાની રક્ષામાં શહીદ થયેલા સૈનિકોને તેમના બલિદાન માટે સલામ છે. તેમના પરિવારને દિલથી સાંત્વના વ્યક્ત કરું છું. - ફરહાન અખ્તર
કોરોના સાથેની લડાઈ પૂરતી નહોતી કે હવે આપણને આપણા બહાદુર સૈનિકોને ગુમાવવા પડી રહ્યા છે. શહીદોના બલિદાનનું વળતર તો કોઈ ન આપી શકે. એ સૈનિકોના પરિવારોની તો લાંબા સમય સુધીની શાંતિ છીનવાઈ ગઈ છે જેથી આપણે નિરાંતે ઊંઘી શકીએ. તેમનું ઋણ કદી પણ ચૂકવી શકીશું નહીં. - તાપસી પન્નુ