આ ફિલ્મમાં તે તેના પિતા ચિરંજીવી સાથે જોવા મળ્યો હતો
રામચરણ
‘આચાર્ય’ બૉક્સ-ઑફિસ પર ખરાબ રીતે પટકાઈ હોવાથી એના નુકસાનની ભરપાઈ રામચરણ કરશે એવું જાણવા મળ્યું છે. આ ફિલ્મમાં તે તેના પિતા ચિરંજીવી સાથે જોવા મળ્યો હતો. ફિલ્મ લોકોને આકર્ષિત તો ન કરી શકી પરંતુ ફિલ્મ સાથે સંકળાયેલા લોકોના પૈસા ડૂબી ગયા. આ જ કારણ છે કે થોડા સમય પહેલાં ડિસ્ટ્રિબ્યુટર્સે વળતરની માગણી કરતો પત્ર ચિરંજીવીને લખ્યો હતો. આથી ફિલ્મના પ્રોડ્યુસર રામચરણે તેમને વળતર આપવાનું નક્કી કર્યું હોવાની ચર્ચા ચાલી રહી છે. આ ફિલ્મ ખૂબ સફળ થશે એવી આશાએ અનેક રોકાણકારોએ ફિલ્મમાં અઢળક પૈસા ઇન્વેસ્ટ કર્યા હતા. પહેલી વખત પિતા-પુત્ર ચિરંજીવી અને રામચરણની જોડી લોકોને આ ફિલ્મ દ્વારા જોવા મળી હતી. એથી તેમને પૂરી ખાતરી હતી કે ફિલ્મ અપાર સફળતા મેળવશે. નુકસાનની ભરપાઈ કરવાની જાહેરાત હજી સુધી રામચરણ તરફથી નથી કરવામાં આવી. એ જોવાનું રહેશે કે કેટલું અને ક્યારે વળતર આપવામાં આવે છે.