‘જાહ્નવી સાથે મારો સંબંધ અલગ હતો. અમે જ્યારે પણ મળતાં તો અમારી વચ્ચે એક મૌન રહેતું હતું. અમે મળતાં પણ અમારી વચ્ચે કોઈ વાતચીત નહોતી થતી.’
અર્જુન કપૂર
અર્જુન કપૂરે તાજેતરમાં જ જણાવ્યું છે કે શ્રીદેવીનું અવસાન નહોતું થયું એ પહેલાં તે જ્યારે પણ જાહ્નવી કપૂરને મળતો તો તેમની વચ્ચે કોઈ વાતચીત નહોતી થતી. બોની કપૂરની પહેલી વાઇફ મોના શૌરીનાં બાળકો અર્જુન અને અંશુલા છે. તો શ્રીદેવી સાથે લગ્ન બાદ બોની કપૂરને જાહ્નવી અને ખુશી બે દીકરીઓ છે. આ બન્નેએ હાલમાં જ એક મૅગેઝિન માટે ફોટોશૂટ કરાવ્યું છે. એ દરમ્યાન જાહ્નવી સાથેના પહેલાંના સંબંધોને લઈને અર્જુન કપૂરે કહ્યું હતું કે ‘જાહ્નવી સાથે મારો સંબંધ અલગ હતો. અમે જ્યારે પણ મળતાં તો અમારી વચ્ચે એક મૌન રહેતું હતું. અમે મળતાં પણ અમારી વચ્ચે કોઈ વાતચીત નહોતી થતી.’
એ વિશે જાહ્નવીએ કહ્યું હતું કે ‘આ મારી ફૅમિલી છે. મેં મારા પરિવાર પાસેથી ઘણુંબધું શીખ્યું છે. અમારા પિતા એક છે. અમારું લોહી પણ એક છે. આ એક એવી બાબત છે જેને અમારાથી કોઈ અલગ નહીં કરી શકે. એવું નથી કે અમે દરરોજ એકબીજાના ઘરે જઈએ છીએ કે પછી એકબીજાના જીવન વિશે નાની-મોટી વાતો જાણીએ છીએ. જોકે અર્જુન ભૈયા અને અંશુલા સાથે હું સલામતી અનુભવું છું. હું દરરોજ સવારે જાગીને એમ જ વિચારું છું કે કંઈ પણ થાય પરંતુ તેઓ મારી પડખે છે. આ વાત હું પાકા વિશ્વાસ સાથે કહી શકું છું.’