Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > મુંબઈ શહેરનાં સૌથી વધુ પ્રખ્યાત પગથિયાં કયાં?

મુંબઈ શહેરનાં સૌથી વધુ પ્રખ્યાત પગથિયાં કયાં?

28 January, 2023 11:58 AM IST | Mumbai
Deepak Mehta | deepakbmehta@gmail.com

૧૮૦૪ના નવેમ્બરની ૨૬મી તારીખ એ એશિયાટિક સોસાયટી ઑફ મુંબઈનો જન્મદિવસ.

ટાઉન હૉલ અને એશિયાટિક સોસાયટી, ૧૯૦૪માં

ટાઉન હૉલ અને એશિયાટિક સોસાયટી, ૧૯૦૪માં


સવાલ : ૧૮૩૫માં શરૂ થયેલી એલ્ફિન્સ્ટન કૉલેજ, ૧૮૫૭માં શરૂ થયેલી યુનિવર્સિટી ઑફ બૉમ્બે, ૧૮૬૨માં શરૂ થયેલી બૉમ્બે હાઈ કોર્ટ, ૧૮૬૫માં શરૂ થયેલી ફાર્બસ ગુજરાતી સભા – આ બધી સંસ્થાઓનો જન્મ એક જ સ્થળે થયો હતો. એ જગ્યા તે કઈ?  જવાબ આજના લેખને અંતે. 

૧૮૦૪ના નવેમ્બરની ૨૬મી તારીખ એ એશિયાટિક સોસાયટી ઑફ મુંબઈનો જન્મદિવસ. સમય સાંજ પહેલાંની સાંજ. સ્થળ : બૉમ્બે પ્રેસિડન્સીના ગવર્નરનો પરળ (પરેલ) ખાતે આવેલો વિશાલ બંગલો. એક પછી એક નામવંત ગોરાઓ આવતા જાય છે. કોઈ પાલખીમાં, કોઈ ઘોડાગાડીમાં, કોઈ ઘોડેસવાર થઈને. સૌથી પહેલાં આવે છે ઓનરેબલ સર જેમ્સ મૅકિન્ટોશ, રેકૉર્ડર્સ કોર્ટના જજ. બીજા આવનારાઓમાંના કેટલાક : મુંબઈ ખાતેના લશ્કરના વડા જનરલ ઓલિવર નિકોલ્સ, મેડિકલ બોર્ડના પહેલા સભ્ય હેલેનસ સ્કૉટ, ચાર્લ્સ ફૉર્બ્સ, સર્જ્યન જનરલ ડૉક્ટર રોબર્ટ ડ્રમન્ડ, મેજર એડ્વર્ડ મૂર, વિલિયમ અર્સકિન અને બીજાઓ. બીજા બધા આવી ગયા પછી પધારે છે ગવર્નર જોનાથન ડંકન. સૌ ઊભા થઈને તેમનું અભિવાદન કરે છે. તેમની અનુમતિ લઈને સર જેમ્સ મૅકિન્ટોશ પોતાનું ભાષણ વાંચવાનું શરૂ કરે છે : ‘આજે આપણે એક સાવ નાની સોસાયટીની શરૂઆત કરી રહ્યા છીએ. પણ એની સ્થાપના પાછળનો હેતુ ઘણો મોટો છે : જ્ઞાન માટેનો પ્રેમ, જ્ઞાન માટેનો આદર. આપણે જે વિશાળ દેશ પર રાજ્ય કરીએ છીએ, જેના વિકાસ અને પ્રગતિ માટે સતત પ્રયત્નો કરીએ છીએ, એ દેશના લોકો, તેમની સંસ્કૃતિ, ભાષાઓ, સાહિત્ય, શિલ્પ-સ્થાપત્ય વગેરેના વારસાનો આપણે અભ્યાસ કરીએ અને એ દ્વારા આપણા દેશના લોકોને હિન્દુસ્તાનથી વધુ સારી રીતે પરિચિત કરીએ એ આપણી ફરજ બની રહે છે. આજે શરૂ થતી ધ લિટરરી સોસાયટી ઑફ બૉમ્બે આ દિશામાંનું પહેલું પગલું છે. સર વિલિયમ જોન્સે એશિયાટિક સોસાયટી ઑફ બેન્ગાલ દ્વારા જે કામ આદર્યું છે એનું અનુસંધાન આપણી સોસાયટી કરી શકશે એવી આશા રાખીએ.’ 



આ સભામાં સોસાયટીના પહેલા પ્રમુખ તરીકે સર્વાનુમતે સર જેમ્સ મૅકિન્ટોશની વરણી કરવામાં આવી. 
આ સોસાયટીએ પહેલું કામ કર્યું લાઇબ્રેરી ઊભી કરવાનું. છેક ૧૭૮૯માં મુંબઈમાં એક લાઇબ્રેરી શરૂ થઈ હતી. એમાં મુખ્યત્ત્વે મેડિકલ અને સાહિત્યનાં પુસ્તકો હતાં. આ આખી લાઇબ્રેરી નવી સોસાયાટીએ ખરીદી લીધી. ૧૮૨૬માં આ સોસાયટી રૉયલ સોસાયટી ઑફ ગ્રેટ બ્રિટન ઍન્ડ આયરલૅન્ડ સાથે ભળી ગઈ અને બની બૉમ્બે બ્રાન્ચ ઑફ ધ રૉયલ એશિયાટિક સોસાયટી. ૧૮૭૩માં ધ જ્યૉગ્રાફિકલ સોસાયટી ઑફ બૉમ્બે અને ૧૮૯૬માં ધ ઍન્થ્રોપોલૉજિકલ સોસાયટી ઑફ બૉમ્બે એમાં ભળી ગઈ. ૧૮૪૧થી ‘જર્નલ ઑફ ધ બૉમ્બે બ્રાન્ચ ઑફ ધ રૉયલ એશિયાટિક સોસાયટી’નું પ્રકાશન શરૂ થયું. ૧૮૪૧ સુધી આ સોસાયટીનું સભ્યપદ ફક્ત અંગ્રેજો જ મેળવી શકતા. ૧૮૪૧થી ‘દેશીઓ’ પણ સભ્ય બની શકે એમ ઠરાવાયું. આઝાદી પછી ૧૯૫૪માં રૉયલ એશિયાટિક સોસાયટીથી અલગ થઈને મુંબઈની સોસાયટી બની ધ એશિયાટી સોસાયટી ઑફ બૉમ્બે. છેવટે બૉમ્બેનું સત્તાવાર નામ મુંબઈ બન્યા પછી એ બની ધ એશિયાટિક સોસાયટી ઑફ મુંબઈ.


આમ લિટરરી સોસાયટી ઑફ બૉમ્બેની શરૂઆત મુંબઈના ગવર્નરના બંગલામાં થઈ. ભલે થોડી આડવાત થાય, પણ મુંબઈના ગવર્નરના રહેઠાણનો ઇતિહાસ પણ જાણવા જેવો છે. પોર્ટુગીઝ શાસન દરમ્યાન લગભગ બધા ગવર્નર બૉમ્બે કાસલમાં રહેતા. આ બૉમ્બે કાસલ આજે આઇ.એન.એસ. આંગ્રેનો એક ભાગ છે. સુરત ઉપરાંત સારો એવો વખત મુંબઈમાં રહેનારા પહેલા અંગ્રેજ ગવર્નર જેરાલ્ડ ઓન્ગીઆર પણ બૉમ્બે કાસલમાં રહ્યા. ૧૭૫૭ સુધી બ્રિટિશ ગવર્નરો ત્યાં રહ્યા. આ કાસલની જમીન પર અગાઉ મનોર હાઉસ નામનું મકાન હતું. 
પછી ૧૭૫૭માં જૉન સ્પેન્સરનું મકાન ખરીદી લઈને સરકારે એને ગવર્નરનું રહેઠાણ બનાવ્યું. પણ પછી લાગ્યું કે આ મકાનની આસપાસ બહુ ગીચ વસ્તી છે એટલે એ ગવર્નરને રહેવા લાયક નથી. એટલે ગવર્નર્સ હાઉસને પરળ (પરેલ) ખસેડવામાં આવ્યું.  ૧૬૭૩માં બંધાયેલું આ મકાન મૂળ તો પોર્ટુગીઝ ફ્રાન્સિસ્કન સંપ્રદાયનું દેવળ હતું પણ ૧૭૧૯માં બ્રિટિશ ગવર્નરે એ મકાન લઈ લીધું અને ઉનાળામાં ત્યાં રહેવા લાગ્યા, કારણ કે ત્યાંની આબોહવા શહેર કરતાં ઘણી સારી હતી! ગવર્નર આવી વસ્યા એ પછી આસપાસનો વિસ્તાર ખૂબ વિકસ્યો અને મુંબઈનો ‘પૉશ એરિયા’ ગણાવા લાગ્યો. ૧૭૭૧માં ગવર્નર વિલિયમ હૉર્નબીએ માત્ર ઉનાળામાં જ નહીં, આખું વરસ અહીં રહેવાનું શરૂ કર્યું. આ ગવર્નર હૉર્નબીના નામ પરથી જ હૉર્નબી વેલાર્ડ અને હૉર્નબી રોડ નામ પડેલાં. તેમણે દેવળના મુખ્ય ભાગને બૅન્ક્વેટ હૉલ અને બૉલરૂમમાં ફેરવી નાખ્યો, પણ પછી એ વિસ્તારમાં એક પછી એક કૉટન મિલ આવતી ગઈ અને હવા પ્રદૂષિત બની ગઈ. એટલે ગવર્નર્સ હાઉસને મલબાર હિલ ખસેડવામાં આવ્યું. ૧૮૯૦ના પ્લેગ વખતે પરળના મકાનમાં હાફકિન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ શરૂ થઈ. 
મલબાર હિલ પર ગવર્નર્સ હાઉસ (આજનું રાજભવન) બંધાયું એ પહેલાં એ જગ્યા ‘મલબાર પૉઇન્ટ’ તરીકે ઓળખાતી. ગવર્નર વિલિયમ મેડોઝ અને સર ઈવાન નેપિયન ઘણી વાર શિકાર કરવા ત્યાં જતા ત્યારે એક રૂમના નાનકડા મકાનમાં રહેતા (મેડોઝ સ્ટ્રીટ અને નેપિયન સી રોડ નામ આ બંને પરથી પડેલાં). પછી એ જગ્યાએ મરીન વિલા નામનો બંગલો બંધાયો. ગવર્નર જેમ્સ ફર્ગ્યુસનનાં પત્નીનું પ્લેગને કારણે પરળના બંગલામાં અવસાન થયું ત્યારે ગવર્નર્સ હાઉસને તાબડતોબ મલબાર પૉઇન્ટ ખસેડવામાં આવ્યું. ત્યારથી આજ સુધી પહેલાં બૉમ્બે પ્રેસિડન્સીના, પછી મુંબઈ રાજ્યના અને હવે મહારાષ્ટ્રના ગવર્નર ત્યાં જ રહે છે. 

ત્રણ બાજુએ દરિયાથી વીંટળાયેલા રાજ ભવનમાં કુલ પાંચ મકાન છે : જલ ભૂષણ, જે માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટને બંધાવ્યું હતું. દેશના વડા પ્રધાન જ્યારે મુંબઈની મુલાકાતે આવે ત્યારે સાધારણ રીતે જલ ચિંતન નામના બંગલામાં રહે છે. તો સર બાર્ટલ ફ્રેરેએ બંધાવેલો બંગલો હવે જલ લક્ષણ તરીકે ઓળખાય છે અને દેશના પ્રમુખ મુંબઈની મુલાકાતે આવે ત્યારે ત્યાં રહે છે. જલ વિહાર બંગલો એ વિશાળ બૅન્ક્વેટ હૉલ છે. જલ સભાગૃહ અથવા દરબાર હૉલ નામની ઇમારતમાં શપથવિધિ અને બીજા મહત્ત્વના સમારંભો થાય છે.


મુંબઈ શહેરનાં સૌથી વધુ પ્રખ્યાત પગથિયાં કયાં એવો સવાલ કોઈ પૂછે તો તરત જવાબ મળે : ટાઉન હૉલનાં પગથિયાં. આ ટાઉન હૉલ અને એશિયાટિક સોસાયટી પણ એકબીજા સાથે જોડાયેલાં છે. સોસાયટીની સ્થાપના થઈ એ પછી સાત વરસે ટાઉન હૉલ બાંધવાની યોજના તૈયાર થઈ. બાંધકામ શરૂ પણ થયું, પણ પછી પૈસાના અભાવે લટકી પડ્યું. પૈસા લાવવા ક્યાંથી? લિટરરી સોસાયટી ઑફ બૉમ્બેએ એ માટે લૉટરી કાઢી. દસ હજાર રૂપિયા ભેગા થયા. એમાંથી ફક્ત લાઇબ્રેરી અને મ્યુઝિયમ પૂરતી ઇમારત બાંધી શકાઈ. હા જી, મુંબઈનું પહેલવહેલું મ્યુઝિયમ પણ આ મકાનમાં હતું. ૧૮૭૨માં વિક્ટોરિયા ઍન્ડ આલ્બર્ટ મ્યુઝિયમ તૈયાર થતાં એની નવી ઇમારતમાં એ ખસેડાયું. આ મ્યુઝિયમ હવે ડૉ. ભાઉ દાજી લાડ મ્યુઝિયમ તરીકે ઓળખાય છે. પછી ધીમે-ધીમે કામ આગળ વધતું ગયું અને ૧૮૩૩માં ટાઉન હૉલનું મકાન બંધાઈ રહ્યું. ગ્રીક અને રોમન સ્થાપત્યની એના પર દેખીતી અસર છે. આ ઇમારત બાંધવા માટેના બધા જ પથ્થર ઇંગ્લૅન્ડથી લવાયા હતા. ૧૯૩૦માં મુંબઈના ગવર્નર સર જૉન માલ્કમે કહ્યું હતું કે આના કરતાં વધુ ભવ્ય બીજી કોઈ ઇમારત હિન્દુસ્તાનમાં તો બંધાઈ નથી. વચમાં ઘણાં વરસ આ ઇમારત બિસમાર હાલતમાં રહી હતી પણ છેલ્લાં કેટલાંક વરસોમાં એને બને એટલી અસલ હાલતમાં લાવવાના પ્રયત્નો થયા છે. 
એશિયાટિક સોસાયટીનું સૌથી મોંઘુ ઘરેણું છે એની લાઇબ્રેરી. એમાં એક લાખ કરતાં વધુ પુસ્તકો છે, જેમાં ઘણાં દુર્લભ પુસ્તકોનો સમાવેશ થાય છે. અંગ્રેજી પુસ્તકો ઘણી મોટી સંખ્યામાં છે, પણ સંસ્કૃત, મરાઠી, ગુજરાતી અને કેટલીક યુરોપિયન ભાષાઓનાં પુસ્તકો પણ અહીં છે. એમાંનાં દુર્લભ પુસ્તકોની જાળવણી માટે અદ્યતન વ્યવસ્થા કરવામાં આવી છે. ઘણા અંગત સંગ્રહો પણ આ લાઇબ્રેરીને ભેટ મળ્યા છે, જેમાં માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટન, જગન્નાથ શંકરશેટ, સર કાવસજી જહાંગીર, ડૉ. ભાઉ દાજી લાડ, ભગવાનલાલ ઇન્દ્રજી, પુ.લ. દેશપાંડે વગેરેના સંગ્રહોનો સમાવેશ થાય છે.  

ગવર્નર્સ હાઉસ, પરળ, ૧૮૬૬માં 

૧૯મી સદીનાં કેટલાંક મહત્ત્વનાં અખબારો અને સામયિકોની ફાઇલો પણ અહીં સચવાઈ છે, જેમાંની ઘણી હવે ડિજિટલ ફૉર્મમાં જોવા મળી શકે છે. ૧૮૪૧થી શરૂ થયેલી આ સોસાયટીના જર્નલને પણ સીડી રોમ પર મૂકવામાં આવ્યું છે. આ ઉપરાંત લગભગ ૩૦૦૦ જેટલી હસ્તપ્રતો પણ અહીં છે. એમાં સંસ્કૃત, અરબી, ફારસી, ઉર્દૂ, પ્રાકૃત, ગુજરાતી, મરાઠી, હિન્દી વગેરે ભાષાઓનો સમાવેશ થાય છે. આ હસ્તપ્રતોની જાળવણી માટે પણ અહીં અદ્યતન સગવડો છે. 

મુંબઈનાં પ્રખ્યાત પગથિયાં

એક જમાનામાં મુંબઈનાં જાહેર સ્થળોએ ઘણા અંગ્રેજોનાં પૂતળાં જોવા મળતાં. હવે એમાંનાં ઘણાંખરાં જીજામાતા ઉદ્યાન (વિક્ટોરિયા ગાર્ડન)ની પછીતે પધરાવાયાં છે. પણ એશિયાટિક સોસાયટીના મકાનમાં હજી અંગ્રેજ વિદ્વાનોનાં પૂતળાં કે તૈલચિત્રો સચવાયાં છે. એમાં સ્થાપક-પ્રમુખ સર જેમ્સ મૅકિન્ટોશ, માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટન, જૉન માલ્કમ, ચાર્લ્સ ફૉર્બ્સ, વિલિયમ અર્સ્કીન વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જગન્નાથ શંકરશેટ, ડૉ. ભાઉ દાજી લાડ, ભગવાનલાલ ઇન્દ્રજી, જસ્ટિસ કે. ટી. તેલંગ, મહામહોપાધ્યાય ડૉ. પી. વી. કાણે વગેરેનાં પૂતળાં કે તૈલચિત્રો અહીં છે. આમાંનાં કેટલાંક તૈલચિત્રોને પછીથી દરબાર હૉલમાં ખસેડાયાં છે. ઉપરાંત કેટલાંક તૈલચિત્રો દરબાર હૉલમાં નવાં મૂકવામાં આવ્યાં છે. એમાં રેવરન્ડ ડૉ. જૉન વિલ્સન, ડૉ. એસ. પી. પંડિત, ડૉ. સર જીવણજી મોદી, અને ડૉ. સર રામકૃષ્ણ ભાંડારકરનો સમાવેશ થાય છે. 
ઓગણીસમી સદીના આરંભે સ્થપાયેલી એશિયાટિક સોસાયટી ઑફ મુંબઈ આજ સુધી અનેક પ્રતિકૂળતા વચ્ચે પણ ટકી રહી છે. તો ઘણી સંસ્થાઓ ઊગ્યા પછી વહેલી કે મોડી આથમી ગઈ. મુંબઈની આવી કેટલીક સંસ્થાઓની વાત હવે પછી. 

જવાબ : એલ્ફિન્સ્ટન કૉલેજ, યુનિવર્સિટી ઑફ બૉમ્બે, બૉમ્બે હાઈ કોર્ટ, ફાર્બસ ગુજરાતી સભા – આ બધી સંસ્થાઓનો જન્મ એશિયાટિક સોસાયટીના મકાનમાંના ટાઉન હૉલમાં થયો હતો.

 

Whatsapp-channel Whatsapp-channel

28 January, 2023 11:58 AM IST | Mumbai | Deepak Mehta

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK