શાસન કરવું અને શાસક બનવું એ બન્ને વચ્ચેનો ફરક સૌકોઈએ સમજવો જોઈએ

શાસન કરવું અને શાસક બનવું એ બન્ને વચ્ચેનો ફરક સૌકોઈએ સમજવો જોઈએ
કોઈનો પણ વાંક કાઢવાની આપણને આદત પડી ગઈ છે. થોડા દિવસ પહેલાં કહ્યું હતું એમ જસ્ટિસ ચૌધરી આપણી અંદર જાગતો જ રહે છે, જે તમામેતમામ શાસનકર્તાઓને ગાળો ભાંડવાની પ્રક્રિયા એકધારો કર્યા કરે છે અને વાત જ્યારે શાસનની હોય, વાત જ્યારે દૂર બેઠેલા સત્તાધીશોની હોય ત્યારે તો આ કામ કરવાની જાણે ફૅશન બની ગઈ છે, કારણ પણ સ્પષ્ટ છે. કોઈ આવીને કાંઠલો પકડવાનું નથી, કોઈ આવીને સામે જવાબ આપવાનું નથી કે પછી કોઈ આવીને બેચાર શબ્દો સંભળાવી જવાનું નથી કે પછી સ્પષ્ટતા કરવા પણ કોઈ આવવાનું નથી.
વડાપાંઉની લારી અને ચાની ટપરીએ ઊભા રહીને સરકારના શાસનની નુક્તેચીની કરનારાઓ કેમ સમજતા નથી કે પોતાનાથી એક ઘર સરખું સચવાતું નથી એવા સમયે તે કેવી રીતે એક આખા દેશ કે રાજ્યનો શાસક બનીને વિચારી શકે. એક વાર, માત્ર એક વાર દેશની શાસન વ્યવસ્થાને સમજવાની કોશિશ કરશો તો તમને દેખાશે કે તમે તમારા વિચારોમાં કેટલા ખોટા અને વાહિયાત છો. બહુ લાંબે સુધી જવાની જરૂર નથી. માત્ર ને માત્ર તમારી સોસાયટીના વહીવટને જોવાનું શરૂ કરી દેશો તો પણ તમને સમજાશે કે જો સોસાયટીના વહીવટમાં આટલી તકલીફો, મુશ્કેલી અને લાચારીઓ આવતી હોય તો એક દેશના, રાજ્યના વહીવટમાં કેટલી અને કેવી તીવ્ર માત્રામાં તકલીફ આવતી હશે.
મેઇન્ટેન્સ માટે લાચારી સાથે ફરતો સેક્રેટરી જુઓ, પાર્કિંગ વ્યવસ્થિત થાય એ માટે તેણે મહેનત કરવાની, બિલ્ડિંગની સફાઈ માટે કમિટી હેરાન થાય અને એ પછી પણ આપણે પૂરા હકથી કચરો ગમે ત્યાં નાખી દઈએ અને કચરો નાખી દીધા પછી પણ આપણે ભૂલ સ્વીકારવાને બદલે કાં તો ખોટું બોલીએ છીએ અને કાં તો આપણે એવી રીતે સૉરી કહી દઈએ છીએ જાણે આપણું સૉરી પણ એ લોકો માટે જીવનદાન સમાન હોય. સોસાયટીના વહીવટ સાથે અત્યારે કોઈ નિસ્બત નથી, અત્યારે તો વાત માત્ર એટલી જ છે કે જો નાનાઅમસ્તા ૨૫-૫૦ કે ૧૦૦-૨૦૦ ફ્લૅટના વહીવટમાં આવી કફોડી હાલત થતી હોય તો દેશ અને રાજ્ય કેવાં વિશાળ છે. સવા અબજની વસ્તી દેશમાં છે અને સવા કરોડનું પૉપ્યુલેશન એકલા મુંબઈમાં છે. આ લોકો પાસેથી એવું જ કામ લેવાનું છે જેવું કામ પેલા સેક્રેટરી અને પ્રેસિડન્ટ બિચારા લઈ રહ્યા છે. ડસ્ટબીન એવી જ રીતે લિફ્ટની સામે મૂકીએ છીએ જાણે એ ફ્લાવરવાઝ હોય અને શોભામાં અભિવૃદ્ધિ કરવાનું કામ કરતું હોય. આવા ડસ્ટબીન જેવા લોકો પણ સંસદભવન અને વિધાનસભામાં બેઠાં છે અને તેમને ફ્લાવરવાઝની જેમ જ દેખાડવામાં આવી રહ્યા છે. આપણી સોસાયટીમાં પણ વાણીવિલાસમાં રાચનારાઓનો તોટો નથી હોતો. બધું તેમને પૂછીને થવું જોઈએ એવી ધારણા તે બાંધે છે અને જ્યારે પૂછવામાં આવે ત્યારે બધી વાતમાં તેમને તકલીફ દેખાતી હોય છે. ભવનમાં માઇનૉરિટીમાં હોવા છતાં આવું ઇચ્છનારાઓ પણ બેઠા જ છેને. જે રીતે એક નાનકડી સોસાયટીનો વહીવટ કરનારાઓ જ તેમની હાલત સમજી શકે એવું જ ભારતવર્ષનું, એવું જ મહારાષ્ટ્ર રાજ્યનું છે. શિખામણ આપવા સૌ આવે છે, પણ શિૈૈખામણનો એક શબ્દ પાળવા માટે એક વ્યક્તિ પણ રાજી નથી.