નિષ્ણાતોના મતે ભારતીય સ્ત્રીઓમાં મોટા ભાગે આયર્ન અને પ્રોટીનની કમીને કારણે એનીમિયાનું પ્રમાણ વધુ જોવા મળે છે. એ માટે ઘરગથ્થુ શું ઉપાયો થઈ શકે એ જાણીએ
રાગીની રાબ અને મગના લાડુ ખાવાનું શરૂ કરી દો
તાજેતરમાં નૅશનલ ફૅમિલી હેલ્થ સર્વેમાં ૫૭ ટકા મહિલાઓમાં હીમોગ્લોબિનનું પ્રમાણ જરૂરિયાત કરતાં ઓછું જોવા મળ્યું છે. નિષ્ણાતોના મતે ભારતીય સ્ત્રીઓમાં મોટા ભાગે આયર્ન અને પ્રોટીનની કમીને કારણે એનીમિયાનું પ્રમાણ વધુ જોવા મળે છે. એ માટે ઘરગથ્થુ શું ઉપાયો થઈ શકે એ જાણીએ
ADVERTISEMENT
હાલમાં શિયાળો છે અને લીલોતરી ખૂબ મળે છે ત્યારે એનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ એમ જણાવતાં ડૉ. નીતિન કહે છે, ‘ભોજનમાં શાકભાજી અને ફળોનો ભરપૂર ઉપયોગ જરૂરી છે. એ ઉપરાંત રોજ સવારે પ્રોટીનયુક્ત ગોળના લાડવા કે રાબ લેવી. મગને શેકીને એના લોટમાંથી ગોળના લાડવા બનાવીને રાખી શકાય. નાચણીની રાબ કે લાડવા પણ લઈ શકાય. આનાથી પ્રોટીન, કૅલ્શિયમ અને આયર્ન ત્રણેય સુધરશે. બપોરના ભોજનમાં પ્રોટીન માટે પનીરનો ઉપયોગ કરી શકાય. ફણગાવેલાં કઠોળ નિયમિત ખાવા એનાથી વિટામિન્સની પૂર્તિ થશે. બપોરના ભોજનમાં ટમેટાં, ગાજર, બીટનું સૅલડ પણ કમ્પલ્સરી લેવાનું. આમળાંની ચટણી લઈ શકાય. પુનર્નવાનાં ફ્રેશ પાન અને બીલીનાં પાનની ચટણી ખાવાથી મજ્જા ધાતુ પર ખૂબ સારું કામ થાય છે. ખજૂર પણ લઈ શકાય. તમારું વજન નિયંત્રણમાં રહે એ રીતે આ પૌષ્ટિક ચીજોનો ભોજનમાં સમાવેશ કરવો.’
લોઢાની તવી પાછી લાવો...
હવે આપણે ત્યાં રાંધવાનું નૉન-સ્ટિક વાસણોમાં થઈ ગયું છે એને બદલે લોઢાની કડાઈ અને તવાને પાછાં લાવવાનો સમય આવી ગયો છે એમ જણાવતાં ડૉ. વિનય સિંહ કહે છે, ‘રોટલી અને ભાખરી જેવી ચીજો હંમેશાં લોખંડની તવી પર જ બનાવો. ખીર બનાવવાની હોય કે છોલે, રાજમા જેવાં કઠોળ એ લોઢાની કડાઈમાં જ બનાવવાનું રાખો. હા, બનાવ્યા પછી એને તરત બીજા સ્ટીલના વાસણમાં કાઢી લો, પણ બનાવવાની પ્રક્રિયા દરમ્યાન જે આયર્ન ખોરાકમાં ભળશે એ પૂરતું હશે. ગળ્યું ખાવાનું મન થાય તો કાળા તલની ગોળમાં બનાવેલી ચિક્કી લેવી. બપોરે ભૂખ લાગે ત્યારે ગોળ-ચણા બેસ્ટ ઉપાય છે. લીંબુ પાણી બનાવો તો એ પણ ગોળમાં બનાવવું. પોષણયુક્ત ખોરાકની સાથે રોજની ૪૦થી ૪૫ મિનિટનો વ્યાયામ પણ દિનચર્યામાં સમાવવો બહુ જ જરૂરી છે.’
મગને શેકીને એના લોટમાંથી ગોળના લાડવા બનાવીને રાખી શકાય. નાચણીની રાબ કે લાડવા પણ લઈ શકાય. આનાથી પ્રોટીન, કૅલ્શિયમ અને આયર્ન ત્રણેય સુધરશે
ડૉ. નીતિન કોચર,
આયુર્વેદ નિષ્ણાત