Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > હર ઘર તિરંગા : રાષ્ટ્રવાદની ભાવના જગાવવાનો જે ભાવ હતો એનું પરિણામ સુંદર અને સુદૃઢ મળ્યું

હર ઘર તિરંગા : રાષ્ટ્રવાદની ભાવના જગાવવાનો જે ભાવ હતો એનું પરિણામ સુંદર અને સુદૃઢ મળ્યું

16 August, 2022 05:05 PM IST | Mumbai
Manoj Joshi | manoj.joshi@mid-day.com

રાષ્ટ્રવાદ એ રોજબરોજ જોવા મળતી લાગણી નથી, પણ એ લાગણી લાંબા ગાળે અને અસરકારક રીતે જીવનમાં જોવા મળતી હોય છે

હર ઘર તિરંગા

મેરે દિલ મેં આજ ક્યા હૈ?

હર ઘર તિરંગા


આઝાદી પર્વ નિમિત્તે આ વર્ષે દરેક વ્યક્તિ પોતાના ઘર પર તિરંગો લહેરાવે એવી જે ભાવના વ્યક્ત કરવામાં આવી હતી એનો સૌથી મોટો ફાયદો એ થયો કે લોકોના મનમાંથી એ જૂની વાત નીકળી ગઈ કે તિરંગો ઘર કે ઑફિસના કૅમ્પસ પર ન લહેરાવી શકાય. હા, આ જે વાત હતી એ છેલ્લા ૭ દાયકા દરમ્યાન એવી રીતે લોકોના મનમાં ઘૂસી ગઈ હતી કે અનેક જાહેરાતો પછી, અનેક પ્રકારના ચુકાદા આવ્યા પછી અનેક વખત સત્તાવાર રીતે ઘોષિત કર્યા પછી પણ ભણેલાગણેલાઓ સુધી પણ એ મેસેજ પહોંચ્યો નહોતો, પણ આ વખતે એ વાત અસરકારક રીતે લોકો સુધી પહોંચી ગઈ અને એને માટે આપણે સૌએ સોશ્યલ મીડિયાનો આભાર માનવો રહ્યો.

સોશ્યલ મીડિયામાં ઝીલી લેવામાં આવેલી આ વાત સામાન્ય લોકો સુધી પહોંચી અને એને લીધે ઘર-ઘર અને વ્યક્તિ-વ્યક્તિ સુધી આ સંદેશો પહોંચ્યો. જરા વિચાર તો કરો સાહેબ, કેટલી સરસ વાત અને કેવો સરસ પ્રતિસાદ. ‘હર ઘર તિરંગા’ અને ખરેખર એવું બન્યું પણ ખરું. આઝાદી પર્વ નિમિત્તે અમુક શહેરોમાં તિરંગા-રૅલી નીકળી તો અમુક શહેરોમાં તિરંગા સાથે પ્રભાતફેરી થઈ. અપાર્ટમેન્ટ તેમ જ સ્કૂલ-કૉલેજથી લઈને પ્રાઇવેટ ઑફિસના કૅમ્પસમાં પણ તિરંગો લહેરાતો જોવા મળ્યો. તિરંગાને ઘર-ઘર સુધી, જન-જન સુધી પહોંચાડીને રાષ્ટ્રવાદની ભાવના જગાડવાનો આ જે પ્રયાસ થયો એને એવો અદ્ભુત પ્રતિસાદ મળ્યો કે તમે ધારી પણ ન શકો કે કલ્પી પણ ન શકો. 



રાષ્ટ્રવાદ એ રોજબરોજ જોવા મળતી લાગણી નથી, પણ એ લાગણી લાંબા ગાળે અને અસરકારક રીતે જીવનમાં જોવા મળતી હોય છે. ટૅક્સ ભરવા જેવી નાનામાં નાની વાતથી લઈને પર દુઃખભંજન બનવાની ભાવના જન્મવી એ પણ રાષ્ટ્રવાદ છે અને રાષ્ટ્રને નુકસાન કરનારાઓને સાથ ન આપવાની લાગણી મનમાં બળવત્તર બનવી એ પણ રાષ્ટ્રવાદ છે. રાષ્ટ્રવાદની અસર મક્કમ હોય અને એટલે જ એ ક્યાંય નરી આંખે જોઈ શકાતી નથી. હર ઘર તિરંગા દ્વારા એ કામમાં મક્કમતા ઉમેરવાનું ઉત્તમ કાર્ય થયું છે અને એ કાર્યની અસર આપણને આવતાં વર્ષોમાં જોવા મળવાની છે.


ભારત જે પ્રકારે પોતાનો રંગ બદલી રહ્યું છે એ જોતાં કહેવું જ પડે કે હવે આપણો દેશ સર્વાંગી વિકાસના રસ્તે છે અને આ રસ્તા પર સૌકોઈ સુધી સુખ પહોંચાડવાની ભાવના સ્પષ્ટપણે દેખાઈ રહી છે. કોઈ પણ રાષ્ટ્ર માટે સર્વાંગી વિકાસ જ એનું જમા પાસું હોઈ શકે. આજે પશ્ચિમના જે દેશો છે એ દેશમાં આ સર્વાંગી વિકાસનો જ ભાવ જાળવી રાખવામાં આવ્યો છે. તમે રાષ્ટ્રને ભૂલીને વિકાસ ન કરી શકો કે પછી તમે વિકાસની આંગળી પકડીને ક્યારેય રાષ્ટ્રને વીસરી ન શકો. ન ગમતા ચીને પણ આ જ વાતને સર્વોત્તમ રીતે અમલીય બનાવી છે અને અમેરિકામાં પણ તમને આ જ ભાવ જોવા મળે છે. કબૂલવું જ રહ્યું કે આપણે જે દિશામાં આગળ વધીએ છીએ એ દિશા ભારતને મહાસત્તા તરફ ખેંચી જશે એમાં કોઈ મીનમેખ નથી.


Whatsapp-channel Whatsapp-channel

16 August, 2022 05:05 PM IST | Mumbai | Manoj Joshi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK