Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > સપનામાં આવી ત્રણ દેવી અને બંધાઈ ગયું મહાલક્ષ્મીનું મંદિર

સપનામાં આવી ત્રણ દેવી અને બંધાઈ ગયું મહાલક્ષ્મીનું મંદિર

06 March, 2021 12:34 PM IST | Mumbai
Deepak Mehta | deepakbmehta@gmail.com

સપનામાં આવી ત્રણ દેવી અને બંધાઈ ગયું મહાલક્ષ્મીનું મંદિર

૧૮૫૫નું મહાલક્ષ્મી મંદિર

૧૮૫૫નું મહાલક્ષ્મી મંદિર


સંસ્કૃતમાં કહ્યું છે કે જે ચાલે છે તેનું નસીબ પણ ચાલે છે. એટલે મુંબઈ મ્યુનિસિપાલિટીના મકાનથી આજે આગળ ચાલીએ. અગાઉ ક્યારેક ‘રોડ’ને બદલે ‘રો’ (Row) શબ્દ પણ વપરાતો. બન્નેનો અર્થ તો એક જ, રસ્તો, માર્ગ. ટ્રેનના ડબ્બા જેમ કપાય અને જોડાય એમ રસ્તા પણ ક્યારેક કપાતા હોય છે, તો ક્યારેક જોડાતા હોય છે. મૂળ તો બોરીબંદરથી ચર્ચગેટ સ્ટ્રીટ સુધીના રસ્તાને જ હૉર્નબી રો નામ અપાયેલું. બોરીબંદરથી ક્રૉફર્ડ માર્કેટ સુધીના રસ્તાનું નામ હતું ‘માર્કેટ રોડ,’ પણ પછીથી ક્રૉફર્ડ માર્કેટથી ચર્ચગેટ સ્ટ્રીટ સુધીનો આખો રસ્તો ‘હૉર્નબી રો’ તરીકે ઓળખાયો. ‘રો’ શબ્દ ઓછો જાણીતો એટલે એને બદલે પછી ‘રોડ’ શબ્દ પ્રચલિત થયો. આ વાત મ્યુનિસિપલ કમિશનર પી. આર. કેડલના ધ્યાનમાં આવી અને તેમણે ભૂલ સુધારવાનો પ્રયત્ન કર્યો, પણ એમાં તેમને સફળતા મળી નહીં. આજે હવે ક્રૉફર્ડ માર્કેટથી ફ્લોરા ફાઉન્ટન સુધીનો આખો રસ્તો ડૉ. દાદાભાઈ નવરોજી રોડ તરીકે ઓળખાય છે.

મુંબઈના ૨૩મા ગવર્નર



કંપની સરકારે આ રસ્તાનું નામ જેના પરથી પાડેલું એ વિલિયમ હૉર્નબી મુંબઈના ૨૩મા ગવર્નર. આજથી બરાબર ૨૫૦ વર્ષ પહેલાં ૧૭૭૧ની ૨૬ ફેબ્રુઆરીએ તેઓ મુંબઈના ગવર્નર બનેલા. પૂરાં ૧૩ વર્ષ સુધી એ હોદ્દા પર રહીને ૧૭૮૪ની ૧૩ જાન્યુઆરીએ નિવૃત્ત થયા પછી સ્વદેશ ગયા. તેમના જીવન વિશે ભાગ્યે જ કશી માહિતી મળે છે. જન્મનું તો વર્ષ પણ નથી મળતું. અવસાન થયેલું ૧૮૦૩માં એટલું જાણવા મળે છે. શરૂઆતમાં મુંબઈના ગવર્નરો બૉમ્બે ગ્રીન ખાતેના ‘ગવર્નમેન્ટ હાઉસ’માં રહેતા. પછી એ જગ્યા નાની પડતાં પરેલમાં નવું ગવર્નર હાઉસ બંધાયું. હૉર્નબી એમાં રહેવા જનારા પહેલા ગવર્નર. એ મકાન તેમને એટલું તો ગમી ગયું હતું કે સ્વદેશ પાછા ગયા પછી સરકારે આપેલી જમીન પર તેમણે પરેલના મકાન જેવું જ મકાન ૧૭૯૦માં ૧૨,૦૦૦ પાઉન્ડના ખર્ચે બંધાવ્યું હતું!


પરળી વૈજનાથ મંદિર પરથી પરેલ

‘પરેલ’ એ તો અંગ્રેજોએ આપેલું નામ. મૂળ નામ ‘પરળ’ જે આજે પણ મરાઠીમાં વપરાય છે. અને આ પરળ નામ પડ્યું ત્યાં આવેલા પરળી વૈજનાથ મહાદેવના મંદિર પરથી. એ મંદિર ક્યારે બંધાયું, કોણે બાંધ્યું એ તો જાણવા મળતું નથી, પણ મુંબઈ અને એની આસપાસનો પ્રદેશ પોર્ટુગીઝોના હાથમાં આવ્યા પછી તેમણે ઘણાં મંદિરોનો નાશ કર્યો હતો એમાં આ પરળી વૈજનાથ મહાદેવ મંદિરનો પણ સમાવેશ હતો, એટલું જ નહીં, એ જગ્યાએ તેમણે પછી ખ્રિસ્તી દેવાલય અને એના પાદરીઓને રહેવા માટેનો મઠ બાંધ્યો. આ ક્યારે બન્યું એની ચોક્કસ માહિતી તો નથી મળતી, પણ ઈ. સ. ૧૫૯૬ અને ૧૬૯૩ની વચ્ચે ક્યારેક આમ બન્યું હતું. પોર્ટુગીઝો ગયા અને અંગ્રેજો આવ્યા ત્યારે મુંબઈના રજિસ્ટ્રાર એ જગ્યાએ રહેવા લાગ્યા હતા. ૧૮૬૫માં મુંબઈનો કિલ્લો તોડી પાડ્યો એ પછી મુંબઈના ગવર્નરનું રહેઠાણ અહીં ખસેડાયું હતું. એ વખતે પરેલ કે પરળની ગણના મુંબઈના ‘પૉશ’ વિસ્તારોમાં થતી હતી, પણ પછી ધીમે-ધીમે અહીં નાના-મોટા ઉદ્યોગ શરૂ થતા ગયા એટલે ગવર્નર સર રિચર્ડ ટેમ્પલ આ જગ્યા છોડીને મલબાર હિલ રહેવા ગયા, પણ ત્યારેય ગવર્નરનું સત્તાવાર રહેઠાણ તો પરળ જ હતું. જોકે ૧૮૮૩માં લેડી ફર્ગ્યુસન (મુંબઈના ગવર્નર સર જેમ્સ ફર્ગ્યુસનનાં બીજાં પત્ની)નું કોલેરાને કારણે અહીં મૃત્યુ થતાં ગવર્નરનું રહેઠાણ મલબાર હિલ ખસેડાયું, જે આજે રાજભવન તરીકે ઓળખાય છે. ૧૯મી સદીનાં છેલ્લાં વર્ષોમાં મુંબઈમાં ભયંકર પ્લેગ ફાટી નીકળ્યો હતો ત્યારે લગભગ રાતોરાત એની રસી શોધી કાઢનાર ડૉ. હાફકિનને ૧૮૯૯માં સરકારે આ જગ્યા પ્રયોગશાળા માટે સોંપી દીધી હતી. આજે પણ ત્યાં હાફકિન ઇન્સ્ટિટ્યૂટ ચાલે છે.


આપણે તો ક્યાંના ક્યાં નીકળી ગયા! ફરતા હતા કોટ વિસ્તારના હૉર્નબી રો પર, પણ હૉર્નબીની આંગળી પકડીને પહોંચી ગયા છેક પરેલ! સૉરી, પરળ! પણ હવે પાછા જતાં રસ્તામાં હૉર્નબીના નામ સાથે સંકળાયેલી બીજી એક જગ્યા આવે છે ત્યાં પણ જતા જઈએ. એનું નામ હૉર્નબી વેલાર્ડ.

દરિયામાંથી નીકળી ત્રણ મૂર્તિ

વેલાર્ડ એટલે પાળ, નાનો બંધ. આપણે જાણીએ છીએ કે મૂળ તો મુંબઈ ૭ ટાપુઓમાં વહેંચાયેલું હતું અને એ સાતેસાત દરિયાનાં પાણીથી અલગ-અલગ હતા. વરલીની ખાડીનું પાણી ભરતી દરમ્યાન ઠેઠ પાયધુની સુધી પહોંચતું. આ પાણીને રોકવા માટે ગવર્નર હૉર્નબીએ ૧૭૮૨માં દરિયા આડે પાળ કે નાનો બંધ બાંધવાની યોજના ઘડી. દૂર-દૂરથી મોટા પથરા હોડીઓમાં ભરી-ભરીને અહીં ઠલવાવા લાગ્યા. દિવસ દરમ્યાન રોજ થોડું-થોડું કામ આગળ વધે, પણ રાત પડે ને એ કરેલું કામ ધોવાઈ જાય! જે બ્રિટિશ ઇજનેરો કામ કરતા હતા તેઓ વિમાસણમાં પડી ગયા કે આમ કેમ થાય છે?

અને આ સવાલનો જવાબ મળે છે એક દંતકથામાંથી. આ બંધ બાંધવાના કામમાં જોડાયેલા એક એન્જિનિયર એ રામજી શિવજી પ્રભુ. એક રાતે તેમને ત્રણ દેવીઓએ સપનામાં દર્શન દીધાં અને કહ્યું કે જ્યાં તમારું આ કામ ચાલે છે ત્યાં નીચે દરિયામાં અમારું રહેઠાણ છે એટલે તમારો આ બંધ ક્યારેય બાંધી શકાશે નહીં. ત્યારે એ રામજીએ દેવીઓને વીનવ્યાં કે કંઈક તો રસ્તો હશે, કંઈક તો ઉપાય હશે. દેવીઓએ કહ્યું કે હા, એક ઉપાય છે. અમને દરિયામાંથી બહાર કાઢીને નજીકની ટેકરી પર અમારી સ્થાપના કરીને મંદિર બંધાવો તો તમારું કામ થાય, પણ પથ્થરની ભારેખમ ત્રણ-ત્રણ મૂર્તિઓને દરિયામાંથી બહાર કાઢવી શી રીતે? છતાં રામજીએ એક નુસખો અજમાવ્યો. નજીકના માછીમારો પાસેથી મોટી જાળ લઈને દરિયામાં નાખી અને સૌના આશ્ચર્ય વચ્ચે ત્રણેત્રણ મૂર્તિઓ જાળમાં આવી ગઈ. આ ત્રણ દેવીઓ એ મહાલક્ષ્મી, મહાકાળી અને મહાસરસ્વતી. રામજી તો રાજીનો રેડ. સરકારને જણાવ્યું કે હવે આ બંધ બાંધવાનું કામ પૂરું કરવાની હું ખાતરી આપું છુ, પણ એક સરતે કે બાજુની ટેકરી પર મને એક મંદિર બાંધવા દેવું અને એ બાંધવા માટેની ટેકરી પરની જગ્યા સરકારે મને આપવી. સરકારે આ દરખાસ્ત સ્વીકારી અને જોતજોતામાં બંધ બાંધવાનું કામ પૂરું થઈ ગયું! પછી રામજીએ પેલી ટેકરી પર ૮૦,૦૦૦ રૂપિયાના ખર્ચે મંદિર બંધાવીને એમાં પેલી ત્રણ મૂર્તિઓની સ્થાપના કરી. આ મંદિર એ મહાલક્ષ્મી મંદિર.

પણ આ ત્રણ મૂર્તિ દરિયામાં ગઈ કઈ રીતે? તો કહે છે કે જ્યારે મૂર્તિભંજક વિધર્મીઓએ મુંબઈ પર આક્રમણ કર્યું ત્યારે તેઓ આ મૂર્તિને ભાંગી ન નાખે એટલા ખાતર પૂજારીએ એને દરિયામાં પધરાવી દીધી હતી. બાંધકામમાં ઢીલ થવાને કારણે બંધનો ખર્ચ ધાર્યા કરતાં ઘણો વધી ગયો અને લંડનમાં બેઠેલા કંપની સરકારના હાકેમોની મંજૂરી લીધા વગર જ ગવર્નર હૉર્નબીએ આ કામ પૂરું કરાવેલું. વધારાના ખર્ચના સમાચાર જ્યારે લંડન પહોંચ્યા ત્યારે કંપની સરકારના ડિરેક્ટરોએ પરવાનગી વગર વધારે ખર્ચ કરવા બદલ ઠપકો આપ્યો. આ પાળને અડીને જે રસ્તો બંધાયો એ બન્યો હૉર્નબી વેલાર્ડ. એનું આજનું નામ લાલા લજપતરાય માર્ગ.  

ઇવાન્સ ફ્રેઝરનો પુસ્તકોનો ખજાનો

હૉર્નબીસાહેબની આંગળી પકડીને ચાલો, પાછા જઈએ હૉર્નબી રો. વીટીથી ફાઉન્ટન. આજે તો ઑફિસો, દુકાનો અને વાહનોથી ભરચક રસ્તો; પણ એક જમાનામાં શાંત, સુંદર રસ્તો. એ રસ્તા પરના બે સ્ટોર ખૂબ જાણીતા. જોકે મારા-તમારા જેવા ‘દેશી’ઓ તો બહાર ફુટપાથ પર ઊભા રહીને અંદર ડોકિયાં કરીને જ સંતોષ માની લે. આજની ભાષામાં જેને ડિપાર્ટમેન્ટલ સ્ટોર

કહીએ એવી આ મોટી દુકાનો. મોટા ભાગે ગોરાઓ જ એમાં ખરીદી કરવા જાય. એકનું નામ ઇવાન્સ ફ્રેઝર. આજથી લગભગ ૧૦૦ વર્ષ પહેલાં ઇવાન્સ ફ્રેઝરે પોતાનો આ સ્ટોર શરૂ કરેલો. મુંબઈ રહેતા કે એની મુલાકાતે આવતા અંગ્રેજોની નાની-મોટી બધી જરૂરિયાતોની અસલ બ્રિટિશ ચીજો અહીં વેચાતી. હૉર્નબી રો પર આવેલા ફોર્ટ હાઉસમાં આ સ્ટોર હતો. આઝાદી પછી ત્યાં હૅન્ડલૂમ હાઉસ આવ્યું જે પણ એટલું જ જાણીતું થયું, પણ પછી આખું મકાન આગમાં બળીને ખાખ થઈ ગયું. આ ઇવાન્સ ફ્રેઝર પાછા હતા જબરા પુસ્તકપ્રેમી. હિન્દુસ્તાનનાં પશુ-પક્ષી, વનસ્પતિ, મુંબઈનો ઇતિહાસ વગેરેને લગતાં પુસ્તકોનો ખજાનો તેમની પાસે. પોતે પણ

પુસ્તકો લખેલાં. ૧૯૨૫માં મુંબઈ કાયમ માટે છોડીને સ્વદેશ જતાં પહેલાં તેમણે પોતાનો આ ખજાનો બૉમ્બે નૅચરલ હિસ્ટરી સોસાયટીને સોંપી દીધો હતો.

ઇવાન્સ ફ્રેઝરથી થોડે દૂર રસ્તાની સામી બાજુએ વાઇટ વે લડલોનો મોટો સ્ટોર.

મોટા-મોટા પારદર્શક કાચ મઢેલા, એમાંથી અંદર નજર કરો તો જાતભાતની વસ્તુઓ દેખાય. આપણી ઘણી નાની દુકાનોમાં પહેલાં એક બોર્ડ મારેલું જોવા મળતું, ‘આજે રોકડા ને ઉધાર કાલે.’ આ વાઇટ વેની પણ એ જ નીતિ હતી. ગમે તેવા ચમરબંધીની પણ ઉધારી નહીં રાખવાની. ૧૮૮૨માં એની સ્થાપના બે સ્કૉટિશ વેપારીઓએ કલકત્તામાં કરી હતી. પછી મુંબઈ ઉપરાંત મદ્રાસ, લાહોર, શિમલા અને કોલંબોમાં પણ શાખા શરૂ કરેલી. જોકે આ સ્ટોર ‘મધ્યમ વર્ગ’ના અંગ્રેજો માટે હતો. પૈસાદાર અંગ્રેજો ખરીદી માટે કાં ઇવાન્સ ફ્રેઝરમાં જતા કે પછી કાળા ઘોડા પાસે આવેલા આર્મી ઍન્ડ નેવી સ્ટોરમાં જતા. આઝાદી પછી આ સ્ટોર પણ બંધ થઈ ગયો અને એની જગ્યાએ આવ્યો ખાદી ગ્રામોદ્યોગ ભંડાર. શરૂઆતમાં એનું ઘણું આકર્ષણ મુંબઈગરાઓને અને સહેલાણીઓને રહેલું, પણ પછી ધીમે-ધીમે એ આકર્ષણ ઘસાતું ગયું.

Whatsapp-channel Whatsapp-channel

06 March, 2021 12:34 PM IST | Mumbai | Deepak Mehta

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK