Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > આવો મળીએ અને જાણીએ...

આવો મળીએ અને જાણીએ...

18 July, 2020 08:57 PM IST | Mumbai
Deepak Mehta | deepakbmehta@gmail.com

આવો મળીએ અને જાણીએ...

આવો મળીએ અને જાણીએ...


‘એ તો લંગોટી વિનાના સાધુ છે, મુંબઈનું અણમોલ રતન છે.’ ખુદ ગાંધીજીએ જેમને માટે આ શબ્દો કહ્યા હતા તેવા એક અનોખા માણસની અને જે સંસ્થાને તેમણે પોતાની આખી જિંદગી આપી દીધી એ સંસ્થાની થોડી વાત. જેમને ખીજતાં વાર નહીં, પણ રીઝતાં ખાસ્સી વાર લાગે એવા, બાંયો ચડાવેલી ચેતના જેવા, સ્વામી આનંદે લખ્યું છે : ‘એમને માટે તો આ ઇસ્પિતાલ જ ચોવીસ કલાકની ઉપાસના ને તમામ સેવા-પૂજા, ભજનભક્તિનું ઠેકાણું છે. દરેક રોગી એમનો ઠાકોરજી છે.’ એક વાર એક જાણીતા શેઠ હૉસ્પિટલમાં દાખલ થયા. ઑપરેશન કરાવ્યું. એ વખતે શ્રાવણ મહિનો ચાલતો હતો. શેઠને તારીખ-વારનો ખ્યાલ નહોતો રહ્યો. પૂછ્યું: ‘જન્માષ્ટમી ક્યારે છે, આજે કે કાલે?’ જવાબ મળ્યો : ‘મારે તો રોજ જન્માષ્ટમી. મારા આ મંદિરમાં રોજ ઘણા નવા આવે. એ મારા દેવ ને આવે તે દિવસ મારી જન્માષ્ટમી.’

તેમનું નામ ગોરધનદાસ ભગવાનદાસ નરોત્તમદાસ. પણ એ નામે તો તેઓ પોતેય પોતાને ન ઓળખે. બધા તેમને ગોરધનબાપા તરીકે જ ઓળખે. ધોતિયા ઉપર ધોળો લૉન્ગ કોટ, માથે કાળી ટોપી. જુઓ તો તમને વહેમ પણ ન જાય કે આ માણસ ડૉક્ટર હશે. એ જમાનાના શૅરબ્રોકર જેવા દેખાય. ૧૯૬૩માં માતાની માંદગી વખતે આ લખનારે નજરોનજર જોયું છે. રોજ સવારે અને સાંજે, બે વખત, ગોરધનબાપા હૉસ્પિટલના એકેએક દરદી પાસે જઈને તેના ખબરઅંતર પૂછે, ફરિયાદ હોય તો સાંભળે. હૉસ્પિટલના સ્ટાફને સ્પષ્ટ સૂચના એટલે ગોરધનબાપા દરદી કે તેનાં સગાંવહાલાં સાથે વાત કરતા હોય ત્યારે ડૉક્ટર, નર્સ વગેરે થોડે દૂર જ ઊભાં રહે જેથી કાંઈ ફરિયાદ હોય તો દરદી કે સ્વજન વિના સંકોચ વાત કરી શકે. દરદીની કોઈ ઇચ્છા સંતોષી શકાય એવી હોય તો તરત એ વિશે સ્ટાફને સૂચના આપે. દર વર્ષે દિવાળીમાં દરેક રૂમ અને વૉર્ડને તોરણ, દીવા, સાથિયા વગેરેથી શણગારાય જેથી દિવાળીમાં ઘરે ન હોવાનો દરદીઓનો વસવસો ઓછો થાય.



૧૮૮૭માં જન્મ. પિતા વિઠ્ઠલદસ ડૉક્ટર. સુખી, સંપન્ન કુટુંબ; પણ ગોરધનભાઈ ચાર વરસના થયા ને માતા ગુમાવ્યાં. થોડાં વરસ પછી પિતાનું પણ અવસાન. પછી મોસાળમાં ઊછર્યા. મામા ભગવાનદાસ નરોત્તમદાસનું ૧૯૦૯માં અવસાન થયું ત્યારે ગોરધનદાસ મુંબઈની ગ્રાન્ટ મેડિકલ કૉલેજમાં ભણતા હતા. ૧૯૧૩માં ડૉક્ટર થયા. એ પહેલાં લગ્ન થઈ ગયેલાં. પણ ૧૯૩૦માં પત્ની મદનબહેનનું પ્રસૂતિ દરમ્યાન અવસાન. બન્નેનું દામ્પત્ય જીવન ટૂંકું, પણ ખૂબ સુખી. નિકટના મિત્ર અને પ્રખર ગાંધીવાદી કિશોરલાલ મશરૂવાળાએ તેમના લગ્નજીવનને પંડિત જગન્નાથ અને તેમનાં પત્નીની દંતકથા સાથે સરખાવ્યું છે. પત્નીના અવસાન વખતે ગોરધનભાઈની ઉંમર ૪૩ વરસની. એ જમાનામાં આ ઉંમરે બીજું લગ્ન સામાન્ય ગણાતું. સગાંવહાલાંના આગ્રહ છતાં બીજાં લગ્ન ન જ કર્યાં. બસ, હવે તો હૉસ્પિટલ એ જ ઘર અને દરદીઓ એ જ સગાંવહાલાં. કશી હાયવોય નહીં, કોઈ ફરિયાદ નહીં, કોઈ વાતે અસંતોષ નહીં. ઊલટાના કહેતા કે ઈશ્વરનો મારા પર કેટલો અસીમ ઉપકાર ને પ્રેમ છે કે દુનિયાની માયાજાળમાંથી છોડાવી મને આ માનવસેવાના પવિત્ર કામમાં જોડ્યો છે. હૉસ્પિટલ મારું વિશ્રામસ્થાન બની છે. બસ, બાયોડેટામાં લખાય એવું બીજું કશું નહીં. વર્ષો સુધી એ જ હૉસ્પિટલ, એ જ સેવા. ૧૯૭૫ના માર્ચની ૧૩મી તારીખે અવસાન. પણ તેમની અખંડ સેવાની સુવાસ દિલ્હી સુધી પહોંચી અને ભારત સરકારે ૧૯૬૫માં તેમને પદ્મશ્રીથી નવાજ્યા. અવસાન પછી મુંબઈની મ્યુનિસિપાલિટીએ હૉસ્પિટલ નજીક, સરદાર વલ્લભભાઈ પટેલ રોડ અને રાજા રામમોહન રોય રોડના ક્રૉસિંગને પદ્મશ્રી ગોરધનબાપા ચોક નામ આપ્યું. હૉસ્પિટલમાં પણ તેમનું બાવલું મૂકવામાં આવ્યું.


પણ આ હૉસ્પિટલ કઈ? આ હૉસ્પિટલ એટલે ગિરગામ વિસ્તારની પ્રખ્યાત સર હરકિસનદાસ નરોત્તમદાસ હૉસ્પિટલ. મૂળ તો બાળકો અને સ્ત્રીઓ માટેની હૉસ્પિટલ શરૂ કરવા માટે સર હરકિસનદાસે મુંબઈ સરકારને એક લાખ રૂપિયાનું દાન આપેલું, પણ કોણ જાણે કેમ એવી હૉસ્પિટલ બંધાઈ નહીં. એને બદલે થાણેમાં મેન્ટલ હૉસ્પિટલ બાંધીને સરકારે એની સાથે હરકિસનદાસના પિતા નરોત્તમદાસનું નામ જોડ્યું. પછીથી રોજિંદી જરૂરિયાતો ત્યાંના દરદીઓને પૂરી પાડવા માટે તેમણે બીજા ત્રીસ હજાર આપ્યા, પણ એટલેથી સંતોષ ન થયો એટલે વિલમાં પોતાનો નરોત્તમદાસ મૅન્શન નામનો પેડર રોડ પરનો આલિશાન બંગલો હૉસ્પિટલ માટે દાનમાં આપતા ગયા અને એ માટે કેટલીક રકમ પણ અલગ રાખતા ગયા. પણ એટલી રકમમાંથી હૉસ્પિટલ શરૂ કરવાનું શક્ય નહોતું. એટલે સર હરકિસનદાસનાં પત્ની લેડી માનકોરબાઈએ પણ પોતાના વિલમાં આ કામ માટે પોણાચાર લાખ રૂપિયાની જોગવાઈ કરી. વખત જતાં સર હરકિસનદાસના પેડર રોડ પરના બંગલોમાં હૉસ્પિટલ શરૂ કરવાની હિલચાલ શરૂ થઈ. પણ અમારા વિસ્તારમાં હૉસ્પિટલ નહીં જોઈએ એવો વિરોધ એ વિસ્તારના લોકોએ કર્યો એટલે મ્યુનિસિપલ કમિશનરે હૉસ્પિટલ માટે પરવાનગી ન આપી. એ બંગલો એટલે આજના ડી. જી. દેશમુખ માર્ગ પર આવેલી વિલા થેરેસા હાઈ સ્કૂલની મૂળ ઇમારત! પછી કેટલાંક કારણોસર એ વખતે જેની કિંમત ચાર લાખ રૂપિયા જેટલી હતી એ બંગલો માત્ર અઢી લાખમાં વેચી નાખવો પડ્યો. હૉસ્પિટલ માટે પ્રાર્થના સમાજ નજીક ચર્ની રોડ (આજનો રાજા રામમોહન રૉય માર્ગ) પર યોગ્ય જમીન મળતાં ૧૯૧૮ના એપ્રિલની ૨૯મી તારીખે ઇમારતની શિલારોપણ વિધિ થઈ. જાહેર પ્રજા પાસેથી પણ લગભગ બે લાખ રૂપિયા દાનમાં મળ્યા. ભોંયતળિયું અને પહેલો માળ બંધાઈ રહેતાં ૧૯૨૫ના જાન્યુઆરીની છઠ્ઠી તારીખે ઉદ્ઘાટન થયું. એ વખતે એમાં માત્ર ૪૦ દરદીઓ માટેની સગવડ હતી. એમાંથી ૨૦ બિછાનાં તદ્દન મફત સારવાર માટે અનામત રાખ્યાં હતાં, છ બિછાનાં અડધા દરે સારવાર માટે રાખ્યાં હતાં અને ૧૪ પૂરા દરે સારવાર માટે રાખ્યાં હતાં. અને છતાં શરૂઆતમાં ફક્ત ત્રણ દરદી જ દાખલ થયા, કારણ કે એ વખતે લોકો માનતા કે હૉસ્પિટલમાં જવું એટલે મોતને ભેટવા જવું! પણ પછી લોકોને ભરોસો બેઠો અને બિછાનાં ઓછાં પડવા લાગ્યાં. હૉસ્પિટલનો વિકાસ થતો ગયો, નવા-નવા વિભાગ ઉમેરાતા ગયા. માત્ર મુંબઈની જ નહીં, દેશની અગ્રણી સખાવતી હૉસ્પિટલોમાં સર હરકિસનદાસ નરોત્તમદાસ હૉસ્પિટલની ગણના થવા લાગી (આ હૉસ્પિટલના જુદા-જુદા પ્રસંગે પ્રગટ થયેલાં સુવેનિરની નકલ સુલભ કરી આપવા માટે હિમાંશુ મુનિનો આભારી છું).

ઓગણીસમી અને વીસમી સદીનાં પહેલાં પચાસ-સાઠ વરસ સુધી આપણે ત્યાં ‘સામાજિક કાર્યકર’નો અલગ વર્ગ અસ્તિત્વમાં આવ્યો નહોતો. મહાજન સંસ્કૃતિની પરંપરા પ્રમાણે ઉદ્યોગપતિઓ, વેપારીઓ, શ્રેષ્ઠીઓ પોતાની ફરજ સમજીને શક્તિ પ્રમાણે સમાજને ઉપયોગી થાય એવાં કામ કરતા, એવી સંસ્થાઓ ઊભી કરતા કે કરવામાં મદદ કરતા. સર હરકિસનદાસ નરોત્તમદાસ પણ વ્યવસાયે વેપારી. સોરાબજી શાપુરજી બંગાળીના ભાગીદાર. દેશ-વિદેશની મોટી-મોટી ઑફિસના ગૅરન્ટેડ બ્રોકર. પડછંદ કાયા, ગોરો વાન, સ્વભાવ ગુલાબી. મુંબઈમાં આવીને વસવાની પહેલ કરનાર ગુજરાતીઓમાંના એક શેઠ રૂપજી ધનજીના વંશજ. ઈ. સ. ૧૬૯૨માં દીવ બંદરેથી આવીને રૂપજી શેઠ મુંબઈમાં વસ્યા હતા. તો કેટલાક કહે છે કે તેમનું વતન ઘોઘા હતું અને તેઓ ત્યાંથી મુંબઈ આવ્યા હતા. એક જમાનામાં પાયધુનીથી ધોબી તળાવ સુધીની બધી જમીન તેમની માલિકીની હતી એમ કહેવાય છે. પિતા નરોત્તમદાસ અને કાકા વરજીવનદાસ વચ્ચે ભારે સુમેળ. વેપારમાં, સામાજિક કાર્યોમાં, ધરમ-દાનમાં બન્ને સાથે.૧૮૭૪માં પ્રગટ થયેલા મુંબઈનો બહાર નામના પુસ્તકમાં રતનજી ફરામજી વાછા લખે છે : ‘આ બેઉ ભાઈઓ સ્વભાવે જોકે ઘણા જ એકમાર્ગી દેખાય છે તો પણ પ્રજા ઉપયોગી જાહેર કામોમાં આગેવાની લેવાની પોતાથી બનતી કોશિશ કરવાનું ચૂકતા નથી અને એ વિશે ઝાઝો ઘોંઘાટ મચાવ્યા વિના પોતાના તરફથી થોડી કે ઘણી જે પણ સખાવત આપે છે એને જેમ બને એમ છૂપી રાખવા ચાહે છે અને તેથી આલમની જાણમાં તે સાહેબોએ ખર્ચેલો પૈસો આવી શકતો નથી, માટે છૂપા ધરમનું જેટલું પુણ્ય તેઓને હાંસલ થાય છે એ ઉપર જ તેઓ સંતોષ પામતા માલૂમ પડે છે.” (સરળતા ખાતર ભાષા-જોડણી મૂળનાં ન રાખતાં આજની રીતે કરી લીધાં છે.)


કહેવાય છે કે હરકિસનદાસ એટલા તો દેખાવડા હતા કેશેફર્ડ નામના અંગ્રેજ મ્યુનિસિપલ કમિશનરે તેમને કહ્યું હતું કે હું જો સ્ત્રી હોત તો લંગોટી વિનાના સાધુ હરકિસનદાસનું અવસાન થયું. પણ કહ્યું છેને કે સમય સમય બલવાન હૈ... ધીમે-ધીમે મહાજન સંસ્કૃતિનું સ્થાન કૉર્પોરેટ કલ્ચરે લીધું. લગભગ દરેક કામમાં સેવાને બદલે નફો મુખ્ય હેતુ બન્યો. પરિણામે આપણી આસપાસનું ઘણું બદલાયું, હજી બદલાતું જશે. સર હરકિસનદાસ નરોત્તમદાસ હૉસ્પિટલ આજે હવે ‘સર એચ. એન. હૉસ્પિટલ બની ગઈ છે અને વચમાં ‘રિલાયન્સ ફાઉન્ડેશન’ શબ્દો ઉમેરાઈ ગયા છે. ૨૦૦૬માં આ હૉસ્પિટલ રિલાયન્સ ફાઉન્ડેશને હસ્તગત કરી. સાત માળની અસલ ઇમારત જેમની તેમ રાખીને પાછળ નવી ઇમારત ઊભી કરી. અનેક અદ્યતન સગવડો પણ ઉમેરી. ૨૦૧૪ના ઑક્ટોબરની ૨૫મી તારીખે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ નવી હૉસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું. ૩૪૫ ખાટલા સાથે આજે એ મુંબઈની એક અગ્રણી ‘મલ્ટિ-સ્પેશ્યલિટી’ હૉસ્પિટલ બની રહી છે.

સર હરકિસનદાસ નરોત્તમદાસ હૉસ્પિટલ અંગેનો એક પ્રસંગ કાયમ માટે યાદ રહી ગયો છે. ત્રીસેક વરસ પહેલાંની વાત છે. દિલ્હીથી એક મિત્રે તેમનું નવું પુસ્તક ભેટ મોકલ્યું.,પણ મુંબઈમાં પાંચ-સાત મિત્રોને મોકલવાનું હતું એટલે બધી નકલ એક જ વ્યક્તિને મોકલી. બીજાની જેમ મને પણ ફોન કરીને કહ્યું કે ફલાણાં બહેનને નકલો મોકલી છે. ફોન કરીને તમારી નકલ મેળવી લેજો, સરનામું પણ તેમને જ પૂછી લેજો. કર્યો ફોન. બહેન કહે, હા નકલો આવી છે. તમે આવીને લઈ જાઓ. મેં સરનામું પૂછ્યું. તેમણે લખાવ્યું, પણ રોડનું નામ હતું રાજા રામમોહન રૉય રોડ. એટલે મેં કહ્યું કે બહેન, આ તો ઘણો લાંબો રસ્તો છે, કોઈ લૅન્ડમાર્ક કહેશો? બહેને પૂછ્યું : ‘તમે હરકિસનદાસ હૉસ્પિટલ જોઈ છે?’ તરત મારા મોઢામાંથી તીરની જેમ શબ્દો છૂટ્યા : બહેન, આ દુનિયામાં મેં સૌથી પહેલી કોઈ જગ્યા જોઈ હોય તો એ હરકિસનદાસ હૉસ્પિટલ!’ આ સાંભળીને બહેન ગિન્નાયાં, કારણ તેમને લાગ્યું કે હું તેમની મશ્કરી કરું છુ. મને એનો ખ્યાલ આવી ગયો એટલે તરત કહ્યું :‘બહેન, મારો જન્મ જ એ હૉસ્પિટલમાં થયો છે એટલે એમ બોલાઈ ગયું. પછી પુસ્તક લેવા તેમના ઘરે ગયો ત્યારે તેમણે એ હૉસ્પિટલ વિશે ઘણી વાતો કરી, કારણ કે તેઓ એની સામેના એક મકાનમાં વર્ષોથી રહેતાં હતાં.

અને છેલ્લે એક વાત. કેટલાંક અઠવાડિયાંથી આપણે હિન્દુસ્તાનની પહેલી ફિલ્મ, એના બનાવનાર, એ જ્યાં રિલીઝ થઈ એ કોરોનેશન થિયેટર વિશે અને તેમના ગિરગામ સાથેના સંબંધ વિશે વાતો કરી. તો આ સર હરકિસનદાસ નરોત્તમદાસ હૉસ્પિટલ પણ એ જ ગિરગામ વિસ્તારનું, મુંબઈનું એક ઘરેણું. આવતા અઠવાડિયે હજી ગિરગામ‍ કે બીજે ક્યાંય? ન જાણ્યું જાનકીનાથે...

Whatsapp-channel Whatsapp-channel

18 July, 2020 08:57 PM IST | Mumbai | Deepak Mehta

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK