Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ચુકાદો સુપ્રીમ કોર્ટનો : ક્યારેય ભૂલવું નહીં, સત્ય સદીઓ પછી પણ બહાર આવતું હોય છે

ચુકાદો સુપ્રીમ કોર્ટનો : ક્યારેય ભૂલવું નહીં, સત્ય સદીઓ પછી પણ બહાર આવતું હોય છે

28 June, 2022 11:44 AM IST | Mumbai
Manoj Joshi | manoj.joshi@mid-day.com

સુપ્રીમ કોર્ટમાં જાતજાતના અનેક કેસ દાખલ કરવામાં આવ્યા અને એ ગંજાવર કેસને કારણે દુખદ એવી આ ઘટના જીવતી જ રહી.

પ્રતીકાત્મક તસવીર

મેરે દિલ મેં આજ ક્યા હૈ?

પ્રતીકાત્મક તસવીર


વાત કરીએ છીએ ગોધરા ટ્રેન-કાંડ પછી ગુજરાતમાં થયેલાં રમખાણોની. એ મુદ્દે બે દિવસ પહેલાં સુપ્રીમ કોર્ટે બહુ સરસ ટકોર કરી કહ્યું, ગુજરાતમાં એ ઘટના જીવતી રાખવાનું કામ કેટલાક લોકો વર્ષોથી કરતા આવે છે, એ બંધ કરવામાં આવે અને એવું કામ જેણે પણ કર્યું છે તેની સામે ઍક્શન લેવામાં આવે.
ગોધરા ટ્રેન-કાંડ પછી ગુજરાતમાં થયેલાં રમખાણો આજે ગુજરાતની પ્રજા ભૂલી ગઈ છે, પણ ગુજરાતના કેટલાક લોકો એવા છે જેઓ હજી પણ એ ગમખ્વાર ઘટનામાં કેરોસીન નાખવાનું કામ કરી રહ્યા છે. નામ નથી લેવાં એ મહાનુભાવોનાં, પણ આપ સૌ જાણો છો કે આપણે કોની વાત કરીએ છીએ અને શું કામ કરીએ છીએ. એ જૂથે સતત મીડિયાથી માંડીને કોર્ટમાં જઈ-જઈને એક જ કામ કર્યું છે કે એ રમખાણો માટે જવાબદાર છે એવા નરેન્દ્ર મોદી સામે ઍક્શન લો. તમારી જાણ ખાતર, ગુજરાત રમખાણોની ઇન્ક્વાયરી માટે દેશમાં અલગ-અલગ સાત એજન્સીઓએ કામ કર્યું તો આઠ કમિટી બની, જેણે એ રમખાણોના મૂળમાં જવાનું કાર્ય કર્યું. સુપ્રીમ કોર્ટમાં જાતજાતના અનેક કેસ દાખલ કરવામાં આવ્યા અને એ ગંજાવર કેસને કારણે દુખદ એવી આ ઘટના જીવતી જ રહી.
તમે જુઓ તો ખરા, બે દસકા પૂરા થઈ ગયા છે આ આખી વાતને, અને આ બે દસકા દરમ્યાન ઘડવામાં આવેલી કમિટીથી માંડીને એજન્સી અને અલગ-અલગ કોર્ટ દ્વારા સૌકોઈને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા તો પણ આ જ કાંડ, આ જ કામ અને આ જ નીતિ! હદ છે અને આ હદ હવે તો સુપ્રીમ કોર્ટને પણ લાગવા માંડી છે. ગુજરાત રમખાણોને કેટલાક લોકોએ રાજકારણનું પગથિયું બનાવી દીધું અને પોતાના હિતના રોટલા શેકવાનું કામ કર્યું. શરમની વાત એ છે કે એ કામ કરવામાં એ લોકો એ પણ ભૂલી ગયા કે વેદનાને ચીરવાની ન હોય, વેદનામાંથી લોહી વારંવાર ન કાઢવાનું હોય કે પછી ઘા ખોતર્યા ન કરવાનો હોય; પણ ના, એવું થતું રહ્યું અને એ કાર્યએ માત્ર અને માત્ર પીડિતોને જ નહીં, એ ઘટના જેણે અનુભવી પણ નથી એ સૌને દુખી કરવાનું કામ કર્યા કર્યું.
ગુજરાત બીજેપી અને અનેક નેતાઓએ આ વિષચક્ર વચ્ચેથી સતત પસાર થવું પડ્યું. ગોધરા-કાંડને રમકડું બનાવીને રાખનારાઓના હાથે પણ તેમણે પિલાવું પડ્યું અને એ ઘટના પછી થયેલાં રમખાણોના સંચામાં પણ તેમણે પિસાવું પડ્યું. સુપ્રીમ કોર્ટે આદેશ આપીને વધુ એક વાર પુરવાર કર્યું કે સત્ય એક જ હોય અને એ એક જ રહે. સત્યને સમય સાથે પણ કોઈ નિસબત નથી. જો તમે એને અટકાવવાનો, છુપાવવાનો પ્રયાસ કરો તો પણ એ બહાર આવે જ. સદીઓ પછી પણ સત્ય બહાર આવ્યું જ છે. અયોધ્યા મંદિરથી માંડીને દેશભરમાં પથરાયેલી અનેક મસ્જિદ સાથેનું સત્ય જુઓને, સદીઓ પછી બહાર આવ્યું જને. બસ, એવી જ રીતે હવે ગુજરાતનાં રમખાણોનું પણ સત્ય બહાર આવ્યું છે. કહેવાનું માત્ર એટલું જ કે એ સત્યને હવે સત્ય તરીકે સ્વીકારજો અને આગળ વધજો, કારણ કે ઇતિહાસનાં એ પન્નાંઓમાં પીડા સિવાય બીજું કશું નથી.


Whatsapp-channel Whatsapp-channel

28 June, 2022 11:44 AM IST | Mumbai | Manoj Joshi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK