Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > યુવાન દીકરીના જીવનમાં પુરુષ હોય એનો નહીં, તે આફતાબ હોય તો એનો વિરોધ છે

યુવાન દીકરીના જીવનમાં પુરુષ હોય એનો નહીં, તે આફતાબ હોય તો એનો વિરોધ છે

26 November, 2022 06:29 PM IST | Mumbai
Manoj Joshi | manoj.joshi@mid-day.com

એક વાત યાદ રાખજો, જીવનમાં દરેક તબક્કે તમારો ભય રહે એવું નથી હોતું. ખોટું થતું હોય એ સમયે તમારો કે તમારા નામનો, તમારા ચહેરાનો ભય આંખ સામે આવી જાય તો પણ ઘણું છે.

પ્રતીકાત્મક તસવીર

મેરે દિલ મેં આજ ક્યા હૈ?

પ્રતીકાત્મક તસવીર


ગઈ કાલની વાત વાંચીને એક વાચકમિત્રએ મોબાઇલ મેસેજ કરીને પૂછ્યું કે એનાથી શું ફરક પડવાનો કે તમે દીકરીની દુનિયા પર નજર રાખો. ખોટું કરનારી વ્યક્તિ ક્યારેય અટકતી નથી.
એકદમ સાચી વાત. ખોટું કરનારી વ્યક્તિ અટકતી નથી, પણ સાહેબ, એ કેમ ભૂલો છો કે પોતાના પર નજર છે એ વાતથી ખોટું કરનારી વ્યક્તિ અલર્ટ તો થઈ જ જાય. જો શ્રદ્ધાનાં માબાપ દીકરીના સતત કૉન્ટૅક્ટમાં હોત, તેને મળતાં રહેતાં હોત અને તેને ત્યાં નિયમિત અવરજવર કરતાં હોત તો નક્કી આફતાબ પણ ગભરાયો હોત અને દીકરી પણ કોઈ નબળી ક્ષણે માબાપને સાચી વાત કહેવાની હિંમત કરી બેઠી હોત. જ્યારે આફતાબે હાથ ઉપાડ્યો ત્યારે પણ બનવાજોગ છે કે દીકરી પર થઈ રહેલા એ અત્યાચારની જાણ માબાપને થઈ હોત. એક વાત યાદ રાખજો, જીવનમાં દરેક તબક્કે તમારો ભય રહે એવું નથી હોતું. ખોટું થતું હોય એ સમયે તમારો કે તમારા નામનો, તમારા ચહેરાનો ભય આંખ સામે આવી જાય તો પણ ઘણું છે.
જો માબાપ સંપર્કમાં હશે તો દીકરીને ફસાવતી વ્યક્તિના મનમાં પણ એક ફડક રહેશે કે કદાચ મારી વાત જો પરિવારજનો સામે થશે તો હું ઉઘાડો પડી જાઈશ. ઉઘાડા પડવાની બીકે તે પોતાના આ કહેવાતા પ્રિયજન સાથે અમુકથી વધારે પ્રકારની છૂટ લેતો નથી અને એ જ આપણને જોઈએ છે. ધારો કે કોઈ તમારી દીકરી સાથે બે પ્રકારની છૂટછાટ લે છે. એક તો તેના ધનથી ઐયાશી કરે છે અને બીજી, તે તમારી દીકરી પર જોરજુલમ કરે છે તો તમે કઈ છૂટછાટને સહજ રીતે સ્વીકારી લેવા તૈયાર થાઓ?
જો પરિવારજનની નજર હશે તો બનશે એવું કે આફતાબો તેના પૈસે ઐયાશી કરશે, પણ દીકરીને હાથ લગાડતાં પહેલાં વિચારશે. બીજું એ કે જો ઉશ્કેરાટમાં કંઈ બનશે તો એની તમને જલદી ખબર પડશે અને ઘા પડવા કરતાં ઘસરકો પડવો વધારે હિતાવહ છે એ તો આપણા વડવાઓ પણ કહી ગયા છે.
આ અને આ સિવાયનાં પણ અનેક કારણ એવાં છે જેના આધારે તમે ખુશ રહી શકો અને તમને દીકરી પર નજર રાખવાનો સુખમય ફાયદો થાય. ગઈ કાલે અને આજે પણ, મારું કહેવું એટલું જ છે કે બધું સહન કરી શકાશે, સિવાય કે અફસોસ. જો તમે તમારા જીવનમાં કોઈ જાતનો અફસોસ ન ઇચ્છતા હો તો આજે શેહશરમ અને સંકોચ છોડીને એ કામ પણ કરો જે કામ કરવાનું તમને ફાવતું નથી. સંતાનો માટે એ અને સંતાનોના હિતમાં જ એ કરવાનું છે. તમારા મનમાં કોઈ જુગુપ્સા નથી, તમારા મનમાં કોઈ ગેરવાજબી ભાવ પણ નથી અને તમે જાસૂસ પણ નથી એટલે તમારે વધારે કશું વિચારવાનું જ નથી. દીકરી કોઈ વાત છુપાવતી હોય તો એ તમને ખબર પડે અને દીકરીના સર્કલ પર તમારી નજર રહે એટલું જ આપણે કરવાનું છે અને એ જ આપણો હેતુ છે. એ સર્કલમાં રહેલા આફતાબોને શોધવાના છે અને શોધીને તેને દીકરીથી દૂર ધકેલી દેવાના છે અને ધારો કે એવું કોઈ આસપાસ નથી તો તમારે ચેનની ઊંઘ ખેંચવાની છે.
મોરલ ઑફ ધ સ્ટોરી, દીકરી ઉંમરલાયક હોય તો સ્વાભાવિક રીતે તેના જીવનમાં પુરુષ હોવાનો જ, પણ તે પુરુષ આફતાબ ન હોય એ જ વાત પર આપણે નજર રાખવાની છે. બસ, વાત પૂરી.


Whatsapp-channel Whatsapp-channel

26 November, 2022 06:29 PM IST | Mumbai | Manoj Joshi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK