Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > હન્ડ્રેડ ડેઝ:કોવિડની નવી લહેરને પરિપક્વ થવામાં આટલા દિવસ લાગે, પણ આપણી સમજણને?

હન્ડ્રેડ ડેઝ:કોવિડની નવી લહેરને પરિપક્વ થવામાં આટલા દિવસ લાગે, પણ આપણી સમજણને?

20 June, 2021 02:05 PM IST | Mumbai
Manoj Joshi | manoj.joshi@mid-day.com

ત્રીજી લહેર ન આવે એવી આશા સાથે કહેવાનું તો એ જ કે એ આવી ગઈ તો એના દોષનું ઠીકરું આપણે બીજાના માથે ફોડી નથી શકવાના. 

મિડ-ડે લોગો

મિડ-ડે લોગો


૧૦૦ દિવસમાં કોરોના નવી લહેરનો રંગ પકડે છે. પહેલી લહેર પૂરી થયા પછી બીજી લહેરને આવતાં આટલો સમય લાગ્યો હતો અને એ લહેરમાં વચ્ચે લોકો પકડાયા. ટ્રૅપ જેવું કરે છે આ કોરોના વાઇરસ. માણસ જેવો આશ્વત થયો હોય, જેવો નિશ્ફ‌િકર બનીને ફરતો થયો હોય ત્યાં એ આવીને તમને ઝપટમાં લઈ લે. બીજી લહેર ઑલમોસ્ટ પૂરી થવાની તૈયારીમાં છે. એ પૂરી થવાની સંભવિત તારીખ જો માંડીએ તો બની શકે કે એ જૂન-એન્ડમાં પૂરી થાય, પણ વાત અહીંથી જ શરૂ થાય છે. એ પૂરી થશે પછી ત્રીજી લહેરનો સમય આવશે અને ૧૦૦ દિવસના સમયગાળામાં એ પરિપક્વ થઈને ત્રાટકશે. મુદ્દો એ છે કે કોરોના પરિપક્વ થાય છે, પણ આપણે એ પરિપક્વતા હાંસલ કરવા રાજી નથી.
કોરોના પછીના આ અનલૉકમાં તમે જુઓ, કેવી રીતે માનવમહેરામણ ઊમટે છે બજારમાં. એ ચાહે મુંબઈનું બજાર હોય, દિલ્હીની માર્કેટ હોય, લખનઉની મંડી હોય કે પછી અમદાવાદની બજાર હોય. જ્યાં જુઓ ત્યાં માણસો જ માણસો. નિયમો બનાવવામાં આવ્યા છે, ગાઇડલાઇન આપવામાં આવી છે અને એ પછી પણ એનું પાલન થતું નથી. કોઈને એ દરકાર પણ નથી કે થોડા જ સમય પહેલાં કેવા ખરાબ દિવસ જોયા હતા. કોઈને એ બાબતની પણ ફિકર નથી કે વહાલસોયાના જીવ જોખમમાં મુકાઈ શકે છે અને કોઈને એ બાબતની પરવા નથી કે દર વખતે જીવનદાન નથી મળતું.
બહુ શૉર્ટ મેમરી હોય છે આપણી. આપણે ઇચ્છીએ છીએ કે બધું સારું ચાલે, પણ એ સારું ચાલતું રહે એને માટે આપણે ભૂલી જઈએ છીએ કે સુધારો આપણે પણ કરવાનો છે. ૧૦૦ દિવસનો સમયગાળો લઈને કોરોના પણ બદલાય છે, એ પણ પોતાનું રૂપ ચેન્જ કરે છે, પણ આપણે આપણા એક પણ રૂપમાં ફેરફાર લાવવા રાજી નથી. હતા એવા ને એવા જ, બેદરકાર અને બેજવાબદાર. 
જે પ્રકારે અત્યારે ભીડ દેખાય છે એ જોતાં ખરેખર એવું લાગે કે આપણી પ્રજાની આ જે બેદરકારી છે એને માટે સરકાર જવાબદાર કઈ રીતે હોઈ શકે? હોઈ જ ન શકે. સૉરી, પણ આ હકીકત છે. માસ્ક ફરીથી ગળામાં આવી ગયા છે. ફરીથી કપૂરની ગોટીઓ દૂર થઈ ગઈ છે. સૉલ્ટ શાવર ભૂતકાળ બની ગયો અને ઉકાળો હવે દૂર-દૂર સુધી યાદ નથી કરવાનો. કોવિડ ગયો જાણે કે દેશમાંથી. ખબર છે, જાણીએ છીએ કે કોવિડ હવે ક્યારેય જવાનો નથી ત્યારે પણ આ જ માનસિકતા મનમાં અકબંધ છે. મનમાં ઘર કરી ગયેલી આ માનસિકતાને લીધે જ મહામારી મોટી થતી હોય છે. અનિવાર્ય સંજોગોની સામે ટકવાની ક્ષમતા કેળવ્યા વ‌િના જ દોટ મૂકીએ છીએ જીવનની અને એ જીવનના દ્વારના છેડે યમરાજ બેઠો છે.
થોડા સમજદાર થઈએ હવે આપણે. થોડી જવાબદારી સાથે વર્તીએ. કોવિડની ત્રીજી લહેર માટે અત્યારથી જ સરકાર સજ્જ થવા માંડી છે, પણ ભૂલવાનું નથી કે પહેલી લહેર સમયે પણ સજ્જતા લાવવામાં આવી હતી, પણ એ સજ્જતા પણ સેકન્ડ લહેરમાં ટૂંકી પડી છે. ત્રીજી લહેર ન આવે એવી આશા સાથે કહેવાનું તો એ જ કે એ આવી ગઈ તો એના દોષનું ઠીકરું આપણે બીજાના માથે ફોડી નથી શકવાના. 


Whatsapp-channel Whatsapp-channel

20 June, 2021 02:05 PM IST | Mumbai | Manoj Joshi

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK