Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > શરીરનું બધું જોર સમાયેલું છે કોરમાં

શરીરનું બધું જોર સમાયેલું છે કોરમાં

11 May, 2022 12:09 PM IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

જો તમારે છેક સુધી ચાલતા-ફરતા રહેવું હોય, પીઠ કે કમરનો દુખાવો ન થાય એવું ઇચ્છતા હો, સંતુલન જળવાયેલું રહે અને દરેક ઍક્ટિવિટી સરળતા સાથે ઇન્જરી વિના કરતા રહેવી હોય તો કોર મસલ્સને સમજી લો અને યોગ દ્વારા એને તાલીમ આપીને મજબૂત કેમ કરી શકાય એ પણ જાણી લો

શરીરનું બધું જોર સમાયેલું છે કોરમાં

રોજેરોજ યોગ

શરીરનું બધું જોર સમાયેલું છે કોરમાં


અંગ્રેજી શબ્દ ‘કોર’નો અર્થ થાય છે હાર્દ, મુખ્ય કેન્દ્ર, મહત્ત્વપૂર્ણ ભાગ. એની ઉપયોગિતા અને એની જરૂરિયાતના આધારે જ પેટ, નિતંબ, કમરના હિસ્સામાં આવેલા કેટલાક સ્નાયુઓના સમૂહનું આ રીતનું નામકરણ થયું હશે. શરીરને સ્ટેબલ રાખવાનું કામ કરે છે આ સ્નાયુઓ, આકસ્મિક ઝાટકાઓને ઍબ્સૉર્બ કરીને તમારાં ઇન્ટર્નલ ઑર્ગન્સને પ્રોટેક્ટ કરવાનું કામ કરે છે આ સ્નાયુઓ. આપણા શરીરની તમામ મૂવમેન્ટ્સમાં આ કોર મસલ્સ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સાથે જ તમારી સ્ટેબિલિટીનો આધાર પણ આ કોર મસલ્સ જ છે. તમે તમારી સોસાયટીના કૅમ્પસમાં ટેબલ-ટેનિસ રમતા હો કે ઘરમાં ટેબલ પર ચડીને અભરાઈ પર મૂકેલો સામાન ઉતારતા હો કે પછી ઊભા-ઊભા મૉપથી પોતું મારતા હો, નાહવા-ધોવાની રૂટીન ઍક્ટિવિટી કરતા હો કે પછી નીચે પડેલી વસ્તુ ઝૂકીને ઉપાડતા હો, દોડતા હો, કોઈ પણ સ્પોર્ટ્સ રમતા હો, ખુરશી પર બેઠા હો કે માત્ર ટટ્ટાર ઊભા હો. દરેક વખતે તમારા કોર મસલ્સનો ઉપયોગ થતો હોય છે. કોર મસલ્સ કેટલા મહત્ત્વપૂર્ણ છે એની ખરી કિંમત જ્યાં સુધી આ સ્નાયુઓના માળખામાં નબળાઈ ન આવવા માંડે કે એ ડૅમેજ ન થાય ત્યાં સુધી સમજાતી નથી. તમારા જીવનની સામાન્યમાં સામાન્ય ઍક્ટિવિટીમાં પણ આ સ્નાયુઓનું જોરદાર કૉન્ટ્રિબ્યુશન છે. તમને જો બૅકપેઇન હોય તો તમારા કોરના સ્નાયુઓ નબળા હોઈ શકે છે. 
શરીરમાં આવેલા ૬૦૦ કરતાં વધુ સ્નાયુઓમાંથી પેટ, બૅક અને પેલ્વિક રીજનમાં આવેલા સ્નાયુઓ શું કામ વિશેષ છે એ સમજીએ અને એને મજબૂત કરવાની રીત વિશે પણ વાત કરીએ.


વ્યવહારિક દૃષ્ટિએ આપણા શરીરમાં કંઈ જ અકારણ નથી. શરીરના કોઈક હિસ્સામાં રુવાંટી છે અને કોઈ હિસ્સામાં નથી. કોઈક હિસ્સામાં હાડકું છે તો કોઈક હિસ્સામાં સૉફ્ટ લિગામેન્ટ, એ બધા જ પાછળ તર્કબદ્ધ કારણો છે. એટલે જ દુનિયાના શ્રેષ્ઠતમ મશીનમાં માનવ શરીરનો કોઈ પર્યાય નથી. હવે આટલા સુંદર મેકૅનિઝમવાળા શરીરમાં લગભગ સાડાછસા જેટલા મસલ્સ હોય તો એકેય એમાં અકારણ ન જ હોય એ દેખીતી વાત છે. પરંતુ એ પછી પણ કોર મસલ્સને શું કામ આટલું મહત્ત્વ અપાયું છે એનું કારણ આપે છે છેલ્લાં ૩૩ વર્ષથી યોગમાં ટીચિંગ ફીલ્ડ સાથે સંકળાયેલા અને અત્યારે પણ ચાર અગ્રણી યુનિવર્સિટીમાં યોગમાં ઍનેટમી અને ફિઝિયોલૉજી ભણાવતા ડૉ. દીપક બઘડિયા. તેઓ કહે છે, ‘એક સરળ ઉદાહરણથી વાત સમજીએ. જેમ આપણા દેશની ધરતીનો દરેકે દરેક ખૂણો મહત્ત્વપૂર્ણ છે પરંતુ દેશમાં શાંતિ અને સ્થિરતા અકબંધ રહે એ માટે દેશની બૉર્ડર મજબૂત અને સુરક્ષિત હોય એ જરૂરી છેને? એ જ રીતે આપણા શરીરમાં રહેલા કોર મસલ્સ શરીરની કાર્યપ્રણાલીમાં સ્મૂધનેસ અકબંધ રાખવા માટે પ્રાઇમ ભૂમિકામાં છે. એ જો બરાબર સક્રિય હશે તો શરીરની સ્થિરતા અકબંધ રહેશે. તમે કોઈ પણ ઍક્ટિવિટી કરો તો એમાં જે મોશન છે એની શરૂઆત કાં તો કોર મસલ્સમાંથી જનરેટ થાય અથવા તો એમાંથી જ એ ગતિ પસાર થાય. સાદી ભાષામાં કહું તો જેમ જંક્શન સ્ટેશન પરથી કાં તો ટ્રેન ઊપડે કાં તો પસાર થાય એમ કોર મસલ્સ તમારી સંપૂર્ણ મસ્ક્યુલર સિસ્ટમનું જંક્શન પૉઇન્ટ છે એમ કહી શકાય. એટલે જો સ્નાયુઓનો આ ગુચ્છો જો બરાબર કામ ન કરતો હોય તો તમારા રૂટીનમાં તો વિક્ષેપ ઊભો થાય જ પરંતુ સાથે પડી જવાના, વાગી જવાના બનાવ વધુ બની શકે; 

કારણ કે તમારા શરીરને સંતુલિત અને સ્થિર રાખવામાં પણ એ અનિવાર્ય છે. જો કોર મસલ્સ વીક હોય તો એની અસર તમારા સંતુલન પર તો પડશે પણ સાથે ધીમે-ધીમે સ્નાયુઓને લગતો પગ, કમર, ઘૂંટણ વગેરે એરિયામાં દુખાવો, ટિંગલિંગ સેન્સેશન્સ, બૅલૅન્સનો અભાવ વગેરે થતું હોય છે. સૂર્યનમસ્કાર, દરેક પ્રકારના સૂક્ષ્મ વ્યાયાયામ, ભસ્ત્રિકા, કપાલભાતિ, અગ્નિસાર, નૌલી જેવી ક્રિયાઓથી એને મજબૂતી પ્રદાન કરી શકાય.’
 

શાનો સમાવેશ થાય?

બૅચલર્સ ઇન ફિઝિયોથરપી કરનારી અને અમેરિકન ઇન્સ્ટિટ્યૂટમાં કિનિસિઓલૉજીમાં માસ્ટર્સ કરનારી અને યોગ ટીચર સ્તુતિ આશર કહે છે, ‘બૅકનો, પગનો, હાથનો અમે લગભગ શરીરના દરેક હિસ્સાનો કોર સાથે સીધો સંબંધ છે. એટલે જો તમે આ સ્નાયુઓ પર ધ્યાન આપી દો તો નૅચરલી ઘણી સમસ્યાને ટાળી શકો છો. આખા શરીરની સપોર્ટ સિસ્ટમ ગણી શકો છો તમે કોરને. પેટના નીચેના ભાગના સ્નાયુઓ, પેલ્વિક ફ્લોર એટલે કે નિતંબ અને સાથળ પાસેના કેટલાક સ્નાયુઓ, કમર પાસેના કેટલાક સ્નાયુઓનો કોર મસલ્સમાં સમાવેશ છે. પ્રેગ્નન્સી દરમ્યાન પણ જો કોર મસલ્સ સ્ટ્રૉન્ગ હોય તો રિકવરી જલદી થાય છે. સિમ્પલ એક્સરસાઇઝથી પણ જો કોરના મસલ્સને એન્ગેજ રાખો તો એનો લાભ થશે. જેમ કે તમે વીરભદ્રાસન કે વૃક્ષાસન પણ કરો તો સહેજ પેટને અંદરની તરફ ખેંચો અને કમરના હિસ્સાને પણ સહેજ પાછળ ખેંચો તો તમારા એ એરિયાના તમામ સ્નાયુઓ ઍક્ટિવ થઈ જશે. એ દરમ્યાન શ્વસન ચાલુ રાખો. જોકે આ અભ્યાસ શીખવામાં લોકોને સમય લાગતો હોય છે. કોઈ પણ બૅલૅન્સિંગ આસનો કરો તો એનાથી તમારા કોર મસલ્સ સ્ટ્રૉન્ગ બનતા હોય છે. સેતુબંધાસન નામનું આસન કરો ત્યારે આ પેલ્વિક ટિલ્ટ આપોઆપ થતું હોય છે.’

આવા ફાયદા થાય!

 જો તમારા કોર મસલ્સ સ્ટ્રૉન્ગ હોય તો ગમેતેવી ઊબડખાબડ જગ્યાએ પણ જશો તો પણ તમારું બૅલૅન્સ જળવાયેલું રહેશે. સંતુલન ગુમાવવાને કારણે પડી જવાના ચાન્સ બહુ જ ઘટી જશે.
 તમારું ખોટું પૉશ્ચર તમને અનેક પ્રકારના દુખાવાથી ગ્રસ્ત કરે છે જ્યારે કોર સ્ટ્રૉન્ગ હોય ત્યારે આપમેળે જ વ્યક્તિનું પૉશ્ચર સુધરે એટલું જ નહીં, ખોટા પૉશ્ચરને કારણે શારીરિક અને માનસિક સ્તર પર જે હેલ્થ ઇશ્યુઝ થતા હોય એને પણ અવૉઇડ કરી શકાય. 
 શ્વસન સુધરે એ પણ એક મહત્ત્વપૂર્ણ લાભ છે કોર મસલ્સ સ્ટ્રૉન્ગ હોવાનો. 
ઉચિત પૉશ્ચરને કારણે તમારી બૅક પર બિનજરૂરી દબાણ ન આવે, કરોડરજ્જુને ઓછો ઘસારો લાગે, સરળતાથી ઊંડા શ્વાસ લઈ શકો તો શરીરને પૂરતી માત્રામાં ઑક્સિજન મળે.  

આનાથી કરો શરૂઆત

પેલ્વિક ટિલ્ટનો અભ્યાસ કોર મસલ્સને સ્ટ્રૉન્ગ કરવાની દિશામાં પહેલું પગથિયું બની શકે જેમાં તમારે જમીન પર પીઠના બળે સૂઈને બન્ને પગને ઘૂંટણથી વાળીને પગની એડીને એકબીજાની નજીક જમીન પર રાખવાની અને પછી ધીમે-ધીમે શ્વાસ લેતી વખતે પેટ બહાર આવે અને શ્વાસ છોડતી વખતે પેટ અંદર જાય અને એ જ સમયે કમરના ભાગમાં જે નૅચરલ કર્વ છે એને ઓછો કરીને કમરના ભાગને પણ જમીનથી સ્પર્શ કરાવવાનો પ્રયત્ન કરવાનો હોય છે.

મદદ કરશે આ પાંચ આસનો
 નૌકાસન
 માર્જરાસન
 સેતુબંધાસન
 શલભાસન
 હલાસન 

Whatsapp-channel Whatsapp-channel

11 May, 2022 12:09 PM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK