જો તમે દરરોજ એક પર્સન્ટ જ ચેન્જ લાવવાનું શરૂ કરો તો પણ સો દિવસમાં તમે પર્ફેક્ટ બની શકો છો પણ એ કરવાની તમારી તૈયારી હોવી જોઈએ
માણસ જો પોતે એક ટકો જ બદલવાની પેરવી કરે તો એનું રિઝલ્ટ ઉમદા અને કાયમી હોય. આ થિયરીએ અંગત જ નહીં, બિઝનેસની દૃષ્ટિએ પણ લોકોના જીવનમાં બહુ મોટો ચેન્જ આપ્યો છે.
ન્યૂનતમ સુધારા સાથે હન્ડ્રેડ પર્સન્ટ ચેન્જ થવાની દિશા દેખાડતી બુક ‘ધ વન પર્સન્ટ સોલ્યુશન’માં મોટિવેશનલ સ્પીકર ટૉમ કોનેલન કહે છે કે જો તમે દરરોજ એક પર્સન્ટ જ ચેન્જ લાવવાનું શરૂ કરો તો પણ સો દિવસમાં તમે પર્ફેક્ટ બની શકો છો પણ એ કરવાની તમારી તૈયારી હોવી જોઈએ
બૅન્ક ઑફ અમેરિકા, ફેડએક્સ, જીઈ ઇલેક્ટ્રૉનિક્સ, આઇબીએમ, મૅરિયટ ગ્રુપ, સોની જેવા જાયન્ટ જ નહીં પણ અમેરિકન ઍરફોર્સ સુધ્ધાં જેને મોટિવેશનલ સ્પીકર તરીકે આમંત્રણ આપી ચૂક્યું છે અને જેની પાસે મોટિવેશનલ સેમિનાર કરાવે છે એ ટૉમ કોનેલનની વાત સાંભળવામાં સહેલી એટલે છે; કારણ કે એ અમલમાં મૂકવાનું કામ આસાન છે. ટૉમ કહે છે, ‘આપણી ભૂલ એ છે કે આપણે મૅક્સિમમ સુધારાની અપેક્ષા એકસાથે રાખીએ છીએ પણ એ અઘરું છે. પ્રકૃતિને ચેન્જ કરવાની પ્રક્રિયા ધીમી જ હોય એટલે માણસમાં ઓછામાં ઓછો સુધારો થાય એની તૈયારી રાખવી જોઈએ.’
આ ઓછામાં ઓછો સુધારો એટલે કેટલા ટકા?
એક પર્સન્ટ. માણસ જો પોતે એક ટકો જ બદલવાની પેરવી કરે તો એનું રિઝલ્ટ ઉમદા જ આવે અને એ રિઝલ્ટ કાયમી હોય. ટૉમ કહે છે, ‘જો માણસ દરરોજ એક ટકો ચેન્જ થાય તો એ સો દિવસમાં સો પર્સન્ટ ચેન્જ દેખાડી શકે. અહીં પણ આપણે ઝડપ વધારે રાખી છે. હવે ધારો કે માણસ દર વીકે એક પર્સન્ટ ચેન્જ થાય તો પણ સો વીકમાં એટલે કે બે વર્ષમાં પોતાનું ટ્રાન્સફૉર્મેશન કરી શકે.’
ટૉમે આ જ વાત તેની બેસ્ટસેલર બુક ‘ધ વન પર્સન્ટ સોલ્યુશન’માં કરી છે. તમારે કશું કરવાનું નથી, તમારે સમૂળગા ચેન્જ પણ થવાનું નથી. તમારે જ તમારી જાતને ચેન્જ થવાની સમયમર્યાદા નક્કી કરવાની છે અને નક્કી કરેલી સમયમર્યાદા મુજબ તમારે એકેક પર્સન્ટ ચેન્જ થતા જવાનું છે. ટૉમનું માનવું છે કે આ જે એક પર્સન્ટ ચેન્જની વાત છે એ હ્યુમન સાઇકોલૉજીમાં બિલકુલ બંધબેસતી છે. આપણે સામેની વ્યક્તિ પાસેથી મોટો ચેન્જ ઇચ્છીએ છીએ પણ જાત પાસે ચેન્જ કરાવવા રાજી નથી.
ટૉમની આ થિયરીએ માત્ર અંગત રીતે જ નહીં, બિઝનેસની દૃષ્ટિએ પણ બહુ મોટો ચેન્જ આપ્યો છે.
ટર્નઓવરમાં ગંજાવર ફરક
જે-જે કંપનીઓએ ટૉમ કોનેલનને મોટિવેશનલ સ્પીકર તરીકે બોલાવ્યો અને તેની સાથે જોડાઈને કામ કર્યું એ કંપનીઓના ટર્નઓવરમાં ટૂંકા સમયમાં જ બહુ મોટો ચેન્જ દેખાયો અને એક વર્ષમાં તો એ કંપનીઓના ટર્નઓવર પણ ડબલને ક્રૉસ થઈ ગયાં. આનું કારણ સમજાવતાં ટૉમે એ જ કહ્યું છે કે કબૂતરનું બચ્ચું ઊડવા માટે જ જન્મે છે પણ એમ છતાં એ જન્મ્યા પછી તરત જ ઊડવા નથી માંડતું. જો એ એવી ભૂલ કરે તો મરી જાય. કબૂતરની મા પોતાના બચ્ચાને એકેક પર્સન્ટ ઊડતાં શીખવે છે અને આમ એ બે મહિનામાં ઊડતું કરી દે છે. સેલ્સ ટીમ હોય કે પછી રાઇટિંગ ટીમ, જો દરેક પોતાની એક પર્સન્ટ ભૂલ સુધારવાનું ચાલુ કરી દે તો ટૂંક સમયમાં જ પ્રોડક્ટ હન્ડ્રેડ પર્સન્ટની થઈ જાય.
કંપની જ નહીં, અંગત લાઇફમાં અને સંબંધોમાં પણ આ વન પર્સન્ટ થિયરીએ બહુ પૉઝિટિવ રિઝલ્ટ આપ્યું છે અને એ જ કારણે ટૉમ કોનેલનની ‘ધ વન પર્સન્ટ સોલ્યુશન’ દુનિયાના છવ્વીસ દેશોની પ૪ લૅન્ગ્વેજમાં પબ્લિશ થઈ છે. ટૉમે જ્યારે આ થિયરી પર કામ કર્યું ત્યારે તેણે એનો અમલ પહેલાં પોતાની જાત પર કર્યો હતો. ટૉમે કહ્યું હતું, ‘મને બુક લખવી હતી પણ કોઈ ને કોઈ કારણોસર એ વાત પાછળ ઠેલાતી હતી. એ જ દરમ્યાન વિન્ટર ઑલિમ્પિક્સ થઈ, જેમાં ગોલ્ડ મેડલ અને મેડલ ન મળ્યો હોય એ લોકો વચ્ચે ૧.૧ પર્સન્ટથી ૦.૯ પર્સન્ટનો જ ફરક હતો. જો એક પર્સન્ટનું રિઝલ્ટ આટલું મોટું હોય તો આપણે એક પર્સન્ટ તો ચેન્જ કરવો જ રહ્યો. મેં એ ચેન્જ અપનાવ્યો.’
ટૉમે નક્કી કર્યું કે કંઈ પણ થઈ જાય, એ પોતાની બુકનું દરરોજ એક પેજ તો લખશે જ લખશે અને આ રીતે પોતાનામાં એક પર્સન્ટનો ચેન્જ લાવશે. ટૉમનું રિઝલ્ટ ફળ્યું અને જે બુક બે વર્ષથી લખાતી નહોતી એ બુક તેણે સો દિવસમાં પૂરી કરી.
બીજી બુક્સ પણ છે ડિમાન્ડમાં ટૉમ કોનેલનને લખેલી આ બુક પછી તેણે જે કોઈ બુક્સ લખી એ તમામ બુક્સની ડિમાન્ડ આજે પણ દુનિયાભરમાં છે. જોકે એ બુક્સ કૉર્પોરેટ હાઉસ અને ઑન્ટ્રપ્રનરમાં વધારે પૉપ્યુલર છે એ પણ એટલું જ સાચું છે તો એ પણ એટલું જ સાચું કે ટૉમ કોનેલને લખેલી ‘ધ વન પર્સન્ટ સોલ્યુશન’ લખવાનો ઇરાદો તો બિઝનેસના દૃષ્ટિકોણથી જ હતો પણ એ લખાતાં-લખાતાં સામાન્ય જીવનની સાથે પણ અનાયાસે જ ટૉમે જોડી દીધી અને એને જબરજસ્ત પ્રતિસાદ મળ્યો. લોકોમાં નાનકડો બદલાવ આવતો થાય એ માટેનું હકારાત્મક પરિબળ બન્યો. ટૉમ કહે છે, ‘માણસ ઇચ્છતો હોય છે કે તેનામાં સુધારા થાય, એ સુધારાને કઈ રીતે વધારે તકલીફ વિના અમલમાં મૂકી શકાય એ વાત આ બુકથી ખબર પડે છે.’
ADVERTISEMENT
માણસ જો પોતે એક ટકો જ બદલવાની પેરવી કરે તો એનું રિઝલ્ટ ઉમદા અને કાયમી હોય. આ થિયરીએ અંગત જ નહીં, બિઝનેસની દૃષ્ટિએ પણ લોકોના જીવનમાં બહુ મોટો ચેન્જ આપ્યો છે.
સ્ટોરી શૉર્ટકટ
ટૉમ કોનેલનની ‘ધ વન પર્સન્ટ સોલ્યુશન’માં એક ટકાનું કેટલું મહત્ત્વ છે એ દરેકેદરેક પેજ પર પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે. બુકની શરૂઆત એક સ્ટોરીથી થાય છે. કૅન નામનો એક માણસ છે જે રસ વિના ફુટબૉલ મૅચ જોતો હોય છે. કૅનનો દીકરો એ મૅચમાં પ્લેયર છે પણ કૅનને ખબર છે કે એની ટીમ જીતવાની નથી. હરીફ ટીમ અગાઉ પણ કૅનના દીકરાની ટીમને હરાવી ચૂકી છે પણ થોડી વાર પછી દેકારો થાય છે અને કૅન જુએ છે કે તેના દીકરાની ટીમ મૅચ જીતી ગઈ. કૅન આશ્ચર્ય વચ્ચે ટીમના કોચને મળે છે અને કોચ તેને સમજાવે છે કે અમે માત્ર એક પર્સન્ટ સુધારો કર્યો અને એને કારણે અમે જીત્યા. આ સ્ટોરી સાથે બુક મોટિવેશનની દુનિયામાં એન્ટર થાય છે.
ટૉમનું કહેવું છે કે એક પર્સન્ટ બહુ મહત્ત્વનો છે અને આપણે એ જ એક પર્સન્ટને અગવણીએ છીએ. ‘ધ વન પર્સન્ટ સોલ્યુશન’ થકી ટૉમ કહે છે કે આ એક જ પર્સન્ટનું ફાઇન-ટ્યુન કરવાનું છે. પછી એ સ્વભાવની વાત હોય કે પછી વાત હોય વર્તણૂક, આદત કે બેદરકારીની. જો તમે એક પર્સન્ટ ચેન્જ લાવી શકો તો તમે દુનિયામાં ક્યાંય પણ બિઝનેસથી માંડીને પર્સનલ લાઇફમાં સફળતા હાંસિલ કરી શકો.
એક પર્સન્ટ જે ચેન્જ કરવાનો છે એ કેવી રીતે કરવો એની સરળ રીત સમજવા જેવી છે. તમારે તમારી જ જાતનું મૂલ્યાંકન કરીને તમારી નબળાઈઓ લખવાની છે અને એ લખ્યા પછી તમારે સૌથી મોટી એક નબળાઈ પકડીને એના પર કામ કરવાનું છે. દાખલા તરીકે તમે ઑફિસમાં આવીને બે કલાક ટહેલ્યા પછી કામ શરૂ કરો છો અને એ તમારી સૌથી મોટી નબળાઈ છે તો બીજું કશું કરવાનું નથી, તમારે એ એક જ વીકનેસને દૂર કરવા માટે કામ કરવાનું છે. ટૉમના કહેવા મુજબ માણસમાં પાંચથી વધારે નબળાઈઓ હોતી નથી જેને ચેન્જ કરવી પડે. આ તમામ વીકનેસને માત્ર પાંચથી સાત દિવસ આપવામાં આવે તો એ તરત જ બદલાવા માંડે છે અને તમે તમારી જાત પાસેથી બેસ્ટ રિઝલ્ટ લઈ શકો છો.
‘ધ વન પર્સન્ટ સોલ્યુશન’ સમજાવે છે કે માણસ રાતોરાત મહાન નથી બનતો પણ દરરોજ કરેલા નાના-નાના ચેન્જ તેને એક દિવસ મહાન ચોક્કસ બનાવે છે.