કેન્દ્રીય બજેટ આત્મનિર્ભરતાની દૃષ્ટિવાળું, ખેડૂતો અને ગ્રામવાસીઓને વિશેષપણે કેન્દ્રમાં રાખીને સમાજના તમામ વર્ગોને સ્પર્શતું બજેટ છે. કૃષિ ક્ષેત્રને મજબૂત બનાવતું તેમ જ ખેડૂતોની આવક વધારતું નિર્મલા સીતારમણે સંસદમાં પ્રસ્તુત કરેલું આ બજેટ વ્યક્તિગત રીતે, રોકાણકારો માટે, ઉદ્યોગો અને માળખાકીય ક્ષેત્રે સકારાત્મક ફેરફાર લાવશે. વાસ્તવિકતા અને વિકાસના વિશ્વાસ સાથેનું આ બજેટ ખૂબ જ અસામાન્ય સંજોગોમાં રજૂ કરાયું છે. આ બજેટમાં વિકાસની નવી તક વિકસાવવા સાથે યુવાનો માટે નવી તક ઊભી કરવા, માનવ સંસાધનને નવા આયામ આપવા, માળખાકીય વિકાસનાં નવાં ક્ષેત્રો વિકસાવવા તેમ જ ટેક્નૉલૉજીમાં પ્રગતિ કરવા સાથે નવા સુધારાઓ કરવામાં આવ્યા છે. આ એક સક્રિય બજેટ છે, જે આરોગ્ય અને સંપત્તિને વેગ આપે છે. બજેટમાં દેશના સર્વાંગી વિકાસની વાત કરવામાં આવી છે તથા માળખાકીય બાંધકામ માટે વિક્રમી ફાળવણી કરાઈ છે.
- વડા પ્રધાન નરેન્દ્ર મોદી
મોદી સરકાર દેશની અસ્કયામતો તેમના ઘનિષ્ઠ મૂડીવાદી મિત્રોને સોંપવાની યોજના ઘડી રહી છે. આગામી નાણાકીય વર્ષમાં બે પીએસયુ બૅન્ક અને વીમા કંપની સહિત જાહેર ક્ષેત્રની કંપનીઓ અને નાણાકીય સંસ્થાનોના હિસ્સાના વેચાણ દ્વારા ૧.૭૫ લાખ કરોડ રૂપિયા ઊભા કરવાની સરકારની યોજના છે. બજેટમાં નાના અને મધ્યમ ઉદ્યોગ સાહસો, ખેડૂતો અને કામદારોને ટેકો આપવા તથા રોજગારનું સર્જન કરવાની આવશ્યકતા હતી, એના બદલે મોદી સરકાર જાહેર જનતાના હાથમાં રોકડ રકમ રાખવાને સ્થાને તેના ઘનિષ્ઠ મૂડીવાદી મિત્રોને દેશની અસ્કયામતો સોંપવાની યોજના ધરાવે છે.
- રાહુલ ગાંધી
ગયું નાણાકીય વર્ષ કટોકટીપૂર્ણ રહ્યું તેમ છતાં આ બજેટ વિશાળ વિઝન સાથે રજૂ થયું છે. કોઈ નવા વેરાઓ કે લેવીઓ નથી એટલે બજેટને હું દસમાંથી સાડા નવ માર્ક આપું છું. એફપીઆઇ, એનઆરઆઇ, આઇઆઇટી (ઇન્ફ્રાસ્ટ્રકચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ) અને આરઈઆઇટી (રિઅલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ)ના વેરાના માળખાને વધુ તર્કસંગત બનાવાયું હોવાથી ભારતમાં વધુને વધુ મૂડી આકર્ષાશે. કૉન્સોલિડેટેડ સિક્યૉરિટીઝ માર્કેટ અૅક્ટ, ડોમેસ્ટિક ગોલ્ડ એક્સચેન્જ રેગ્યુલેટર, એલઆઇસી આઇપીઓ, અન્ય પીએસયુ ડિસઇન્વેસ્ટમેન્ટ વિકાસને વેગ આપવા માટેનો અને મૂડીસર્જન માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવા માટેનો સુસ્પષ્ટ માર્ગ દર્શાવવામાં આવ્યો છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ધિરાણ માટે ઝીરો કૂપન બૉન્ડ્સ મૂડીના પ્રવાહને વધારશે અને રાષ્ટ્ર ઘડતરમાં મૂડીબજારની ભૂમિકાને વિસ્તારશે.
- આશિષકુમાર ચૌહાણ, એમડી અને સીઈઓ, બીએસઈ
વીમા ક્ષેત્રે હવે માત્ર બે શબ્દ સાંભળવા મળશે, એફડીઆઇ અને આઇપીઓ. એફડીઆઇને પગલે સારી સર્વિસિંગ અને પ્રોસિજર્સ સરળ થશે. એલઆઇસીનો આઇપીઓ આવશે. આ આઇપીઓ દેશનો સૌથી જંગી આઇપીઓ બની રહેશે જેને પગલે એલઆઇસીની બ્રૅન્ડ વેલ્યુ સુધરશે. હવે ઇન્સ્યુરન્સ પ્રતિનો આખો માઇન્ડ સેટ બદલાઈ જશે. ઇન્સ્યુરન્સ માત્ર વેચવાની ચીજ નહીં, કુટુંબોનું રક્ષાકવચ છે. હવે ઇન્સ્યુરન્સ નાણાકીય સુરક્ષા માટેનો મુખ્ય વિષય બની રહેશે.
- પ્રિયંકા આચાર્ય -ઇશ્યૉરન્સ એક્સપર્ટ
એફપીઆઇ દ્વારા આરઈઆઇટી અને આઇઆઇટીના ડેટ ફાઇનૅન્સિંગની છૂટ આપવાની જાહેરાતનું ઇન્ડિયા આઇએનએક્સ સ્વાગત કરે છે. આના પગલે તેના લિસ્ટિંગ અને ટ્રેડિંગને વેગ મળશે અને ઇઝ ઑફ બિઝનેસમાં સુધારો થશે. એ ઉપરાંત આરઈઆઇટીઝ અને આઇઆઇટી પરના ડિવિડન્ડને કરમુક્તિ જાહેર કરાઈ હોવાથી તે વધુ આકર્ષક બનશે. અૅરક્રાફ્ટ લીઝિંગ કંપનીઓને અને આઇએફએસસી-ગિફ્ટમાં શિફ્ટ થનારી કંપનીઓને વધુ એક વર્ષ માટે ટૅક્સ હોલિડે રોકાણકારોના વિશ્વાસમાં વધારો કરશે અને ગિફ્ટ સિટી પ્રોજેક્ટને વેગવાન બનાવશે.
- વી. બાલાસુબ્રમણ્યમ, એમડી એન્ડ સીઈઓ, ઇન્ડિયા આઇએનએક્સ
બજેટમાં ધારણા પ્રમાણે જ માળખાકીય વિકાસ માટેનો મજબૂત સંકેત આપવામાં આવ્યો છે. ૧૧૧ લાખ કરોડ રૂપિયા આગામી પાંચ વર્ષમાં મહત્ત્વાકાંક્ષી રાષ્ટ્રીય પાઇપલાઇન પ્રોજેક્ટ્સના વિકાસ પાછળ ખર્ચવામાં આવશે. માળખાકીય વિકાસ માટે કેન્દ્રીય ફાળવણી ૫.૫૪ લાખ કરોડ રૂપિયા, સ્ટેટ ફાળવણી બે લાખ કરોડ રૂપિયા, પીએસયુનાં અંદાજપત્રીય સંસાધનો અને આઇઆઇટી (ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ), હાઇવેઝ, પાવર ટાન્સમિશન, ગૅસ પાઇપલાઇન્સ, ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર્સ અને ઍરપોર્ટ્સની અસ્કયામતોના મૉનેટાઇઝિંગ દ્વારા નાણાં એકત્ર કરાશે. આ જાહેરાતોને એએમસી પ્રકારની બૅડ બૅન્કની સ્થાપનાની જાહેરાત દ્વારા મજબૂત કરવામાં આવી છે.
- અમિત કપૂર, જૉઇન્ટ મૅનેજિંગ પાર્ટનર, જે સાગર અસોસિએટ્સ
આ વર્ષે કરદાતાઓને ધાસ્તી હતી કે સંપત્તિ વેરો અને એસ્ટેટ ડ્યૂટી કદાચ સીધી નહીં તો આડકતરી રીતે પુનરાગમન પામશે. સદ્દભાગ્યે એ ધારણા ખોટી પડી છે. એટલું જ નહીં પણ કરવેરાના દરોમાં પણ કશા ફેરફાર કરવામાં આવ્યા નથી અને આમજનતાના આવકવેરામાં વધારો કરતી જોગવાઇઓ લાવવામાં આવી નથી. કરવેરાના કાયદામાં સ્થિરતા એ આપણે માટે આનંદાશ્ચર્યનો વિષય છે. અલબત્ત નાણાં ખરડામાં કેટલાક મહત્વના ફેરફાર સૂચવવામાં આવ્યા છે પણ સામાન્ય કરદાતાને એ સ્પર્શતા નથી. ક્ષણે ક્ષણે નવતા ધરે એ રૂપ સાચું કરવેરાનું એ વ્યાખ્યા, ફેર અ ચેઈન્જ, ખોટી પડી છે.
- સીએ સ્નેહલ ન. મુઝુમદાર
બજેટ ચોક્કસ વિકાસલક્ષી છે. બજેટમાં આ સારી જોગવાઈઓ છે : ૭૫ કે એથી વધુ વયના કરદાતાઓને આવકવેરા રિટર્ન ફાઇલ કરવામાંથી મુક્તિ, જો તેઓ માત્ર પેન્શન અને વ્યાજની આવક ધરાવતા હોય. ત્રણથી અધિક વર્ષ જૂના કેસ ખોલવામાં નહીં આવે. અફૉર્ડેબલ હાઉસિંગ માટેની લોન પરના વ્યાજની ચુકવણીમાં કરરાહત, એનઆરઆઇઓને અબ્રૉડમાં નિવૃત્તિ માટેના કૉન્ટ્રિબ્યુશનમાં કરરાહત, ડિપોઝિટ ઇન્શ્યુરન્સ લિમિટમાં વધારો, ડિવિડન્ડ પરના ટીડીએસની નાબૂદી, સિક્યૉરિટી માર્કેટ કોડ અને યુલિપને વેરાની બાબતમાં મ્યુચ્યુઅલ ફન્ડ સમકક્ષ બનાવાઈ. બજારે તો બજેટને આવકાર્યું છે. હવે પ્રાર્થના કરીએ કે સાર્વત્રિક આર્થિક વિકાસ થાય.
- ગૌરવ મશરૂવાલા, ફાઇનૅન્શિયલ પ્લાનર
સિક્યૉરિટીઝ માર્કેટના કાયદાઓને કડક બનાવાયા છે, કંપની એક્ટ હેઠળના ગુનાઓનું ડિક્રિમિનલાઇઝેશન અને એલએલપી એક્ટ હેઠળ ડિક્રિમિનલાઇઝેશનની સૂચિત દરખાસ્ત ભારતીય કૉર્પોરેટ ક્ષેત્રના કાનૂની માળખાને સરળ, વેપારતરફી બનાવશે અને અંતે તેને પગલે અનુપાલન ખર્ચમાં ઘટાડો થશે. સિક્યૉરિટી માર્કેટ કોડ એનએફઆરએમાંની અગાઉની ચર્ચાને સુસંગત છે. બહુવિધ કાનૂનો, માર્ગદર્શિકાઓ અને નિયમનોને સ્ટ્રીમલાઇન કરવાની દિશામાં આ એક પગલું છે. જો આનો મુસદ્દો યોગ્ય રીતે ઘડાશે અને અમલ સારી રીતે થશે તો તેનાથી બજારના સહભાગીઓને લાભ થશે અને નિયમન માળખામાંના સંભવતઃ સંઘર્ષો નાબૂદ થશે. પરિણામે રોકાણકારો અને હિતધારકો માટે નીતિ સ્પષ્ટ બનશે.
- અર્કા મુકરજી, પાર્ટનર, જે. સાગર અસોસિએટ્સ
ઘર ખરીદનારાઓને અને રિયલ એસ્ટેટ ડેવલપર્સને આકર્ષવાના હેતુથી રહેણાક વિસ્તારોના પ્રાથમિક વેચાણ માટે સલામત બંદરોની મર્યાદા ૧૦ ટકાથી વધારીને ૨૦ ટકા કરવામાં આવી છે. અફોર્ડેબલ ઘર ખરીદવા માટે લીધેલી લોનના વ્યાજમાં ૧.૫ લાખ જેટલી કપાત આપવામાં આવી હતી, નાણાપ્રધાને આ કપાતને વધુ એક વર્ષ માટે એટલે કે ૩૧ માર્ચ, ૨૦૨૨ સુધી લંબાવી છે. વિદેશી પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ દ્વારા રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ્સ (રેઇટ્સ) અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ્સ (ઇનવીટ્સ)ના કાયદાઓમાં યોગ્ય ફેરફાર કરી તેને ધિરાણ સક્ષમ બનાવાશે. જેના કારણે માળખાકીય અને રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં રોકાણ આકર્ષિત કરાશે.
- જિતેન્દ્ર મહેતા, એમસીએચઆઇના થાણે યુનિટના પ્રમુખ
આ બજેટ વિકાસ અને સુધારાલક્ષી છે. વિશિષ્ટ પરિસ્થિતિ માટે આવા જ બજેટની આવશ્યકતા હતી. ખાધને હેન્ડલ કરવાનો રોડમેપ સ્પષ્ટ છે. નાણાકીય ક્ષેત્રે કરાયેલી સીમાચિહનરૂપ જાહેરાતો (ડીએફઆઇ, એએમસી અને એઆરસીનું સર્જન, બે બૅન્કોનું ખાનગીકરણ, એફડીઆઇના વીમા ક્ષેત્રમાં રોકાણની સીમામાં વધારો, વિદેશી બૅન્કો માટે આઇએફએસસીમાં ટૅક્સ હોલિડે)થી આર્થિક વિકાસને વેગ મળશે. વિદેશી મૂડીને આકર્ષવા માટે લેવાયેલાં પગલાં યોગ્ય છે. હું દૃઢપણે માનું છું કે ખાનગીકરણ, ડિસઇન્વેસ્ટમેન્ટ, ઇન્ફ્રા બૉન્ડ્સ મારફત એસેટ્સનું રિસાઇકલિંગ આદિ પગલાંથી અર્થતંત્ર વધશે.
- ઝરીન દારૂવાલા, ક્લસ્ટ સીઈઓ, ઇન્ડિયા એન્ડ સાઉથ એશિયા માર્કેટ્સ, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બૅન્ક
નાણાકીય વર્ષ ૨૦૨૧-’૨૨નું બજેટ બજારની અપેક્ષા કરતાં અધિક સારું રહ્યું છે. ધારણા હતી એ મુજબ ગેઇન ટૅક્સ કે સંપત્તિ વેરામાં વધારો ન કરાયો કે નવો કોવિડ ટૅક્સ લાદવામાં આવ્યો. આનાથી બજારને અને અર્થતંત્રને બહુ રાહત થશે. સરકારે પાંચ મુખ્ય પગલાં દ્વારા મૂડીખર્ચ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. મૂડીખર્ચમાં ૨૬ ટકાનો વધારો કરાશે. ડેવલપમેન્ટ ફાઇનૅન્શિયલ ઇન્સ્ટિટ્યૂશનની સ્થાપના, બૅડ લોન માટે એઆરસી કે એએમસીની રચના, ઍસેટ મૉનેટાઇઝેશન અને સીપીએસઈના ડિસઇન્વેસ્ટમેન્ટ. આરોગ્ય ક્ષેત્રને કરાયેલી નોંધપાત્ર ફાળવણી અર્થતંત્રના આરોગ્યને પણ સુધારશે.
- મોતીલાલ ઓસવાલ, એમડી અને સીઈઓ, મોતીલાલ ઓસવાલ ફાઇનૅન્શિયલ સર્વિસિસ
આ રોગચાળાના સમયમાં બજેટમાં ખર્ચ વધારવાનો અને નાણાકીય ખાધ વધવા દઈને આર્થિક વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું નક્કી કરવામાં આવ્યું છે તે યોગ્ય છે. ગયા વર્ષે જીડીપીના ૧.૭ ટકાના સ્થાને આગામી વર્ષમાં જીડીપીના ૨.૫ ટકા મૂડીખર્ચ કરવાનું ઠરાવાયું છે જે બહુ મોટો આંકડો છે. સ્થાનિક મૅન્યુફૅક્ચરિંગ ક્ષેત્રની ભારે વૃદ્ધિ થશે, કારણ કે કૉર્પોરેટ વેરામાં અગાઉ કરાયેલો ઘટાડો ચાલુ રાખવામાં આવ્યો છે અને ડ્યુટી માળખાને સ્થાનિક ઉદ્યોગોતરફી બનાવવામાં આવ્યું છે. શૅરબજારને સૌથી વધુ એ ગમ્યું કે સંપત્તિવેરા અથવા ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટ પરના એલટીસીમાં વધારા જેવી જોગવાઈઓ નથી. પ્રિન્ટમાં કોઈ ગરબડ ન હોય તો આ બજેટ સરળ અને યોગ્ય પગલાં ધરાવતું છે.
- અમર અંબાણી, સિનિયર પ્રેસિડેન્ટ ઍન્ડ ઇન્સ્ટિટ્યુશનલ હેડ, યસ સિક્યૉરિટીઝ
બૅન્કિંગ સેક્ટર માટે બજેટ ફેન્ટાસ્ટિક છે. બૅડ લોન્સ બૅન્ક પબ્લિક સેકટર બૅન્કોને તેમની બેલેન્સશીટ્સમાંથી ત્રણ લાખ કરોડથી અધિક બૅડ લોન્સમાંથી છુટકારો અપાવી શકે. ડીએફઆઇ, આઇડીબીઆઇ હોઈ શકે છે, જે એલઆઇસીને સૂચિત લિસ્ટિંગ પૂર્વે મદદ કરે. બે પીએસબીનું ખાનગીકરણ બૅન્ક ઑફ બરોડા અને પંજાબ નૅશનલ બૅન્કના કૉન્સોર્ટિયમની આગેવાનીમાં હોઈ શકે છે. વીમા કંપનીના ખાનગીકરણની જે દરખાસ્ત છે તે એલઆઇસી માટેની હોઈ શકે. લિસ્ટેડ થશે ત્યારે એલઆઇસીનું માર્કેટ કેપિટલાઇઝેશન પાંચ લાખ કરોડ રૂપિયાથી અધિકનું હશે. મારા મતે હવે ભારતના સોવેરિન રેટિંગમાં હકારાત્મક બદલાવ આવશે, કારણ કે ઇન્સ્યુરન્સ ક્ષેત્રમાં આશરે ૨ લાખ અને એઆરસી, એએમસી, એઆઇએફમાં આશરે ૩ લાખ કરોડનું વિદેશી ભંડોળ આવશે.
- દેવેન ચોક્સી
કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે સોમવારે સાંસદમાં નાણાકીય વર્ષ ૨૧-’૨૨નું બજેટ રજુ કર્યું હતું. બજેટ રજુ થયા બાદ નિષ્ણાતોનો આ બાબતે શું મત છે તે જાણીએ...