સરકારની ચિંતા વધી, રિઝર્વ બૅન્કે માત્ર 57,128 કરોડની રકમ ટ્રાન્સફર કરી
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા
નાણાકીય વર્ષ ૨૦૧૮-’૧૯માં રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ પોતાની પાસેથી વધારાની રકમ કેન્દ્ર સરકારને ટ્રાન્સફર કરવાનો નિર્ણય ગઈ કાલે બોર્ડ મીટિંગમાં લીધો હતો. સતત ઘટી રહેલી કરવેરાની આવક અને મંદીમાં સરકી પડેલા અર્થતંત્રને ઉગારવા સરકાર પર વધી ગયેલા નાણાબોજના કારણે વિકરાળ નાણાખાધનો પડકાર ઊભો છે, ત્યારે રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ ૫૭,૧૨૮ કરોડ રૂપિયાની રકમ જ ટ્રાન્સફર કરવાનો ગઈ કાલે નિર્ણય લીધો છે.
એપ્રિલથી જૂન વચ્ચે કેન્દ્ર સરકારની નાણાખાધ બજેટના ૮૩ ટકા જેટલી પહોંચી ગઈ છે. કેન્દ્ર સરકારની કરની આવક ૧૫.૨ ટકા ઘટી છે. બજેટમાં કેન્દ્ર સરકારે ૬૦,૦૦૦ કરોડ રૂપિયાની રકમ રિઝર્વ બૅન્ક પાસેથી અપેક્ષિત રાખી હતી એટલે ગઈ કાલે જાહેર થયેલા નિર્ણયની સરકારની તિજોરી પર સામાન્ય સંજોગોમાં અસર પડે નહીં પણ, કરની આવક દેશનો આર્થિક વિકાસદર નેગેટિવ રહેવાનો છે ત્યારે, કોરોનાની મહામારીના કારણે સરકાર પર નાણાબોજ વધી ગયો છે ત્યારે આ રકમ અપૂરતી રહે એવી શક્યતા નકારી શકાય નહીં.
અહીં નોંધવું જોઈએ કે ગત ૨૦૧૮-’૧૯માં કેન્દ્ર સરકારની નાણાખાધ, રિઝર્વ બૅન્કે કરેલી ૧,૭૫,૯૮૭ કરોડ રૂપિયાની જંગી ટ્રાન્સફર પછી પણ કરની ઘટતી આવકથી વધીને ૩.૮ ટકા રહી હતી. સામાન્ય વર્ષમાં જો આટલી જંગી ટ્રાન્સફર પછી પણ નાણાખાધ વધી હોય તો આ વર્ષે ચોક્કસ વધી શકે છે. અહીં નોંધવું જરૂરી છે કે કેન્દ્ર સરકારે ૨૦૨૦-’૨૧માં ખાધ ૩.૫ ટકા રહે એવો અંદાજ મૂક્યો છે.