તુવેરની આયાત માટે આફ્રિકન દેશો સાથે ભારત સરકારના ફરી કરાર
તુવેરની આયાત માટે આફ્રિકન દેશો સાથે ભારત સરકારના ફરી કરાર
ભારત સરકારે તુવેરની આયાત માટે આફ્રિકન દેશો સાથે આયાતનો કરાર ફરી રિન્યુ કર્યો છે. આફ્રિકન દેશોમાં તુવેરનો ટોચનો નિકાસકાર દેશ મોઝામ્બિકે ભારત સરકારને તુવેરની આયાત માટેના કરાર ફરી રિન્યુ કરવા માટે દરખાસ્ત મોકલી હતી, જેનો ભારત સરકારે સ્વીકાર કર્યો છે અને આ નવો કરાર પણ પાંચ વર્ષ માટે જ થયો છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૧૬માં આફ્રિકન દેશોની મુલાકાત સમયે મોઝામ્બિક સાથે તુવેરની આયાત માટે પાંચ વર્ષના કરાર કર્યા હતા, જેની મુદત પૂરી થતાં ફરી નવા કરાર થાય છે. ૨૦૧૬માં ભારત તુવેરની મોટી ખાધ ભોગવતું હતું અને ભાવ પણ ઊંચા હતા, પંરતુ હવે પરિસ્થિતિ બદલાઈ છે અને દેશમાં કઠોળનું ઉત્પાદન વધ્યું છે ત્યારે સરકારના નવા કરારને પગલે ભારતીય ખેડૂતોને એની અસર થાય એવી પણ સંભાવના જાણકારો વ્યક્ત કરી રહ્યા છે.
જોકે ભારત સરકારે કરેલા કરારમાં કેટલી માત્રામાં વાર્ષિક આયાત કરાશે એનો કોઈ ચોક્કસ ઉલ્લેખ નથી જેને પગલે બજારમાં હજી અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. સરકાર બહુ મોટી માત્રામાં આફ્રિકાથી તુવેરની આયાત કરે એવા કોઈ સંજોગો નથી. ચાલુ વર્ષે પણ આશરે ૪૦થી ૫૦ હજાર ટનની આયાત કરી હોવાનો અંદાજ છે. હાલમાં ભારતમાં તુવેરની આયાત પર જથ્થાકીય નિયંત્રણ લાદેલું છે.