બીજા ક્વૉર્ટરમાં જીડીપી 8.6 ટકા ઘટવાનું આરબીઆઇનું અનુમાન
ભારતીય રિઝર્વ બૅન્ક
ભારતીય રિઝર્વ બૅન્કના એક અધિકારીએ જણાવ્યું છે કે ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વૉર્ટરમાં દેશની જીડીપી એક વર્ષ અગાઉની સરખામણીએ ૮.૬ ટકા ઘટવાનું અનુમાન છે. આ રીતે સતત બે ક્વૉર્ટરમાં જીડીપી ઘટવાની સાથે દેશ પ્રથમ વખત મંદીમાં સપડાયો છે.
કોરોના રોગચાળા અને લૉકડાઉનની અસરને કારણે પ્રથમ ક્વૉર્ટરમાં ૨૩.૯ ટકાનો ઘટાડો નોંધાયો હતો. બીજા ક્વૉર્ટરમાં જીડીપીના સત્તાવાર આંકડા જાહેર થયા નથી, પરંતુ આરબીઆઇના રિસર્ચરોએ તાત્કાલિક પૂર્વાનુમાન રીતના ઉપયોગ થકી અનુમાન લગાવ્યું છે કે સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં ૮.૬ ટકા સુધીનો ઘટાડો રહી શકે છે. આ વાત આરબીઆઇના માસિક બુલેટિનમાં પ્રકાશિત થઈ છે.
ADVERTISEMENT
આરબીઆઇએ અગાઉથી જ પૂર્વાનુમાન વ્યક્ત કર્યું છે કે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન જીડીપીમાં ૯.૫ ટકાનો ઘટાડો થઈ શકે છે. આરબીઆઇના રિસર્ચર પંકજ કુમાર દ્વારા તૈયાર કરવામાં આવેલ અધ્યયન નોંધમાં કહેવામાં આવ્યું છે કે ભારત ટેક્નિકલ રૂપથી ૨૦૨૦-૨૧ના પ્રથમ ક્વૉર્ટર દરમિયાન પોતાના ઇતિહાસમાં પ્રથમ વખત આર્થિક મંદીમાં સપડાઈ ગયું છે. ઇકૉનૉમિક ઍક્ટિવિટી ઇન્ડેક્સ એટલે કે આર્થિક કામકાજનો સૂચકાંક શીર્ષક હેઠળ લખવામાં આવેલ લેખમાં કહેવામાં આવ્યું છે કે સતત બીજા ક્વૉર્ટરમાં આર્થિક ઘટાડો થવાનું અનુમાન છે. જોકે એમાં એ પણ કહેવામાં આવ્યું છે કે પ્રવૃત્તિઓ ધીમે-ધીમે સામાન્ય થવાની સાથે-સાથે ઘટાડાનો દર પણ ઓછો થઈ રહ્યો છે અને સ્થિતિ સારી થવાની આશા છે.