2008-09ની મંદીથી પણ ખતરનાક હશે કોરોનાથી આવેલ મંદી: રઘુરામ રાજન
રઘુરામ રાજન
હાલમાં આખો દેશ કોરોના વાઇરસ સામે લડી રહ્યો છે અને દેશમાં ૨૧ દિવસનું લૉકડાઉન છે જેના કારણે જનજીવન થંભી ગયું છે. આઇએમએફએ પણ કહ્યું કે મંદીની શરૂઆત થઈ ચૂકી છે. આવી સ્થિતિમાં રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને જણાવ્યું છે કે કેવી રીતે લૉકડાઉન સમાપ્ત થયા બાદ ઇકૉનૉમીને ફરી શરૂ કરી શકાય છે અને કેવી રીતે ભારત પડકારોથી લડી શકે છે.
મીડિયા રિપોર્ટ મુજબ રઘુરામ રાજને કહ્યું કે આ પહેલાં ૨૦૦૮-’૦૯માં પણ મંદી આવી હતી, પરંતુ આ મંદી એની સરખામણીએ વધુ ખતરનાક હશે, કારણ કે એ સમય બધુ ચાલુ હતું. કંપનીઓ ચાલી રહી હતી. દેશ ચાલી રહ્યો હતો, ફાઇનૅન્શિયલ સિસ્ટમ મજબૂત હતી, પરંતુ હાલ બધુ ઠપ્પ છે. ઉપરાંત તેમણે કહ્યું કે જો ૨૧ દિવસ પછી વાઇરસની અસર સમાપ્ત ન થઈ તો પછી શું? તેમણે કહ્યું કે લાંબા સમય સુધી બધુ બંધ રાખી ન શકાય. એવી સ્થિતિમાં કંપનીઓએ પોતાના વર્કર્સને વધુ સુરક્ષા આપતાં ઑફિસ આવવા પહેલાં સ્ક્રીનિંગ કરવું અને ઑફિસમાં સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરી કામ કરાવવું પડશે.