આજે ગોવામાં મળશે જીએસટી કાઉન્સિલની બેઠક
નિર્મલા સીતારમણ
જીએસટી કાઉન્સિલની આગામી બેઠક આજે ૨૦ સપ્ટેમ્બરે ગોવામાં યોજાશે. આ બેઠકમાં કારથી લઈને બિસ્કિટ જેવાં ઉત્પાદનોનાં બજારમાં આવેલી મંદીને ધ્યાનમાં રાખીને ગુડ્ઝ ઍન્ડ સર્વિસ ટૅક્સ (જીએસટી)નો ભાર ઘટાડવા પર વિચારણા કરશે. આ બેઠક સાથે મહેસૂલની સ્થિતિ પણ ધ્યાનમાં રાખવામાં આવશે, કારણ કે જીએસટી દરમાં ઘટાડાની સીધી અસર રાજ્યોની આવક પર પડશે.
નાણાપ્રધાન નિર્મલા સીતારમણની અધ્યક્ષતાવાળી જીએસટી કાઉન્સિલની બેઠક ૨૦ સપ્ટેમ્બરે ગોવામાં યોજાશે. તેમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિઓ સામેલ હશે. આ બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે વિવિધ ઉદ્યોગો અર્થતંત્રમાં આવેલી મંદી દૂર કરવા જીએસટીમાં ઘટાડો કરવાની માગણી કરી રહ્યા છે.
ADVERTISEMENT
અધિકારીએ જણાવ્યું હતું કે આર્થિક મંદીને ધ્યાનમાં રાખીને, બિસ્કિટથી લઈને ઑટો ઉદ્યોગ અને એફએમસીજી અને હોટેલ ક્ષેત્રે જીએસટી દર ઘટાડવાની માગણી કરી છે. તેમણે દલીલ કરી છે કે ઘરેલું માગ અને વપરાશ વધારવા માટે જીએસટી દર ઘટાડવો જોઈએ.
આ સાથે સંકળાયેલા એક અધિકારીએ જણાવ્યું હતું કે જો કોઈ ક્ષેત્ર માટે કર ઘટાડવાનો પ્રસ્તાવ જીએસટી કાઉન્સિલ સમક્ષ આવે છે તો તેઓ પહેલાં મહેસૂલની સ્થિતિની સમીક્ષા કરશે અને એ પછી જ કોઈ નિર્ણય લેશે.
ઉલ્લેખનીય છે કે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં આર્થિક વિકાસદર ૬ વર્ષના તળિયે પહોંચી ગયો છે. જોકે સરકારે આર્થિક વિકાસને વેગ આપવા માટે અનેક પગલાં લેવાની જાહેરાત કરી છે.