Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > મૂડીઝે ભારતનો 2019-2020નો આર્થિક વિકાસદર ઘટાડી 5.8% રહેશે એવી આગાહી કરી

મૂડીઝે ભારતનો 2019-2020નો આર્થિક વિકાસદર ઘટાડી 5.8% રહેશે એવી આગાહી કરી

11 October, 2019 11:46 AM IST | મુંબઈ

મૂડીઝે ભારતનો 2019-2020નો આર્થિક વિકાસદર ઘટાડી 5.8% રહેશે એવી આગાહી કરી

મૂડીઝ

મૂડીઝ


છેલ્લા થોડા દિવસોમાં ભારતના આર્થિક વિકાસ માટે ત્રીજા માઠા સમાચાર મળી રહ્યા છે. રિઝર્વ બૅન્કે પોતાની ધિરાણનીતિની સમીક્ષામાં દેશનો આર્થિક વિકાસ ૬.૯ ટકાથી ઘટાડી ૬.૧ ટકા કર્યા બાદ બુધવારે ઇન્ટરનૅશનલ મૉનિટરી ફંડે એવી આગાહી કરી હતી કે વિશ્વના ૯૦ ટકા દેશોમાં વિકાસ ધીમો પડ્યો છે અને ભારત જેવા વિકાસશીલ દેશમાં એની અસરો વધારે જોવા મળી રહી છે. આજે મૂડીઝે ભારતનો વર્ષ ૨૦૧૯-’૨૦નો આર્થિક વિકાસનો દર ૬.૨ ટકાના અગાઉના અંદાજથી ઘટાડી ૫.૮ ટકા રહેવાની આગાહી કરી છે.

આ પહેલાં, એશિયન ડેવલપમેન્ટ બૅન્ક અને ઓઈસીડીડીએ પણ ભારતનો આર્થિક વિકાસદર ઘટી રહ્યો હોવાના અંદાજ રજૂ કર્યા હતા.



મૂડીઝે વિકાસદર ઘટવા માટે વધુ જણાવ્યું છે કે ભારતમાં અનુભવી શકાય એટલી હદે અર્થતંત્ર ધીમું પડી રહ્યું છે જે ટકાઉ પરિબળોને આધારિત છે. ભારતમાં મૂડીરોકાણ ઘટવાથી વિકાસદર ઘટ્યો હતો જેની અસર ગ્રાહકોની ખરીદી ઉપર પડી જેમાં ગ્રામ્ય ભારતમાં નાણાંની તીવ્ર અછત અને નબળી રોજગારીનું સર્જન જેવાં પરિબળો પણ હવે ઉમેરાયાં છે. ભારતમાં આર્થિક વિકાસ ઘટવા માટેનાં કારણો ઘણાં છે અને મહદ અંશે એ સ્થાનિક અને ટકાઉ પરિબળોના કારણે છે એમ મૂડીઝે જણાવ્યું હતું. આ પછીના વર્ષે એટલે કે ૨૦૨૦-’૨૧માં આર્થિક વિકાસદર જોકે વધી ૬.૬ ટકા અને પછી ૭ ટકા આસપાસ રહે એવું સંસ્થા માને છે.


મૂડીઝે વધુમાં જણાવ્યું છે કે અમે માનીએ છીએ કે ભારતનો આર્થિક વિકાસદર અને ફુગાવો આગામી બે વર્ષમાં વધી શકે છે, પણ બન્ને રીતે ભારતના અમારા અગાઉના અંદાજો અમે ઘટાડ્યા છે. આર્થિક વિકાસદર આઠ ટકાથી વધારે થાય અને એ ટકી શકે એવી સંભાવનાઓ હવે મહદ અંશે નથી એમ મૂડીઝે જણાવ્યું છે.

ભારતને મંદીની વધારે અસર થશે: આઇએમએફ


ઇન્ટરનૅશનલ મૉનિટરી ફંડ (આઇએમએફ)ના વડા ક્રિસ્ટાલિના જ્યોર્જિએવાએ આર્થિક મંદી અંગે ચેતવણી આપી છે. તેમણે જણાવ્યું છે કે વૈશ્વિક અર્થતંત્રમાં મંદી જોવા મળી રહી છે જેના કારણે વિશ્વના ૯૦ ટકા દેશોનો આર્થિક વિકાસ ધીમો રહેશે. આઇએમએફે વધુમાં જણાવ્યું હતું કે ભારત ઝડપથી વિકાસ પામતું અર્થતંત્ર હોવાથી વૈશ્વિક મંદીની સૌથી વધુ અસર ભારતમાં જોવા મળશે.

બલ્ગેરિયાના અર્થશાસ્ત્રી ક્રિસ્ટાલિનાને તાજેતરમાં જ આઇએમએફના મૅનેજિંગ ડાયરેક્ટર તરીકે ક્રિસ્ટીન લગાર્ડના સ્થાને નિમણૂક કરવામાં આવી છે. આઇએમએફ અને વર્લ્ડ બૅન્કની એક સપ્તાહ પછી સંયુક્ત વાર્ષિક બેઠક થનારી છે જેમાં બન્ને સંસ્થાઓ વૈશ્વિક અર્થતંત્ર અંગે પોતાના અંદાજ રજૂ કરશે.

આઇએમએફ વડાએ ચેતવણી આપી છે કે ૨૦૧૯ અને ૨૦૨૦ માટે વૈશ્વિક આર્થિક વ્યવસ્થાનો વરતારો એક જટિલ સ્થિતિ રજૂ કરે છે. જ્યોર્જિએવાએ જણાવ્યું છે કે અમેરિકા, જપાન જેવા વિકસિત દેશોમાં આર્થિક પ્રવૃત્તિઓ મંદ પડી ગઈ છે. યુરોપમાં પણ આવી જ સ્થિતિ છે. બીજી તરફ ભારત અને બ્રાઝિલ જેવા દેશોમાં ચાલુ વર્ષે આર્થિક મંદી વધુ જોવા મળી રહી છે. ચીનનું અર્થતંત્ર પણ મંદી તરફ ધકેલાઈ ગયું છે.

આવી સ્થિતિમાં એ દેશોને વધુ મુશ્કેલી પડશે કે જે અગાઉથી જ મંદીમાં સપડાયેલા છે. આઇએમએફના નવા મૅનેજિંગ ડાયરેક્ટરે જણાવ્યું છે કે ચાલુ વર્ષનો આર્થિક વિકાસ છેલ્લાં દસ વર્ષમાં સૌથી ઓછો રહેશે. આ કપરી પરિસ્થિતિમાં પણ ૪૦ ઊભરતા દેશોનો જીડીપી પાંચ ટકાથી વધુ રહેવાનો અંદાજ છે જેમાં સબ સહારા આફ્રિકાના ૧૯ દેશો પણ સામેલ છે.

Whatsapp-channel Whatsapp-channel

11 October, 2019 11:46 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK