હવે જેફ બેઝોસ અને નારાયણ મૂર્તિ ઑનલાઇન ફૂડ બજારમાં ઝંપલાવશે
જેફ બેઝોસ અને નારાયણ મૂર્તિ
દેશમાં ઑનલાઇન ફૂડ ડિલિવરી બજાર સસ્તી થઈ શકે છે. કારણ કે વિશ્વની અગ્રણી ઈ-કૉમર્સ કંપની ઍમેઝૉનના જેફ બેઝોસ અને ઇન્ફોસિસના એનઆર નારાયણમૂર્તિ સંયુક્તપણે ઑનલાઇન ફૂડ ડિલિવરી માર્કેટમાં આવતા મહિને પ્રવેશ કરવા જઈ રહ્યા છે. ઍમેઝૉન પ્રાઇમ અથવા ઍમેઝૉન ફ્રેશ પ્લૅટફૉર્મ દ્વારા શરૂ કરાયેલી આ યોજના છેલ્લા ત્રણ મહિનાથી કામ કરી રહી છે. હાલમાં બૅન્ગલોરમાં પાઇલોટ પ્રોજેક્ટ તરીકે પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. ઍમેઝૉન સ્વિગી અને ઝોમૅટો સાથે મુકાબલો કરશે. હમણાં બજારમાં આ ફક્ત બે મોટી કંપનીઓ છે. ઉબર ફૂડ ડિલિવરીના વ્યવસાયમાંથી બહાર નીકળી ગઈ અને ગયા મહિને એનો વ્યવસાય ઝોમૅટોને વેચી દીધો. ઝોમૅટોનો બજારહિસ્સો ૫૫ ટકા સુધી વધ્યો છે. આવક દ્વારા સ્વિગીનો બજારહિસ્સો ૬૦ ટકાની નજીક છે.
મીડિયા રિપોટ્ર્સ અનુસાર ઍમેઝૉન એવા સમયે ફૂડ ડિલિવરી બિઝનેસમાં પ્રવેશ કરી રહ્યો છે જ્યારે સ્વિગી અને ઝોમૅટોએ ગ્રાહકો માટેનું ડિસ્કાઉન્ટ ઘટાડ્યું છે એથી આક્રમક માર્કેટિંગ સાથે ઍમેઝૉન આ વ્યવસાયમાં પ્રવેશ કરશે. કેટલાક બૅન્ગલોરના રેસ્ટોરાં સંચાલકો કહે છે કે પ્રિવેન બિઝનેસ સર્વિસિસ ઍમેઝૉનને સૂચિબદ્ધ કરવા માટે બ્રૅન્ડ સાથે કરાર કરી રહી છે એ ૧૦થી ૧૫ ટકા કમિશન આપી રહી છે. જોકે પરિવર્તનનો અવકાશ છે. પ્રિવેન બિઝનેસ સર્વિસ એ ઇન્ફોસિસના નારાયણ મૂર્તિના કેટમેરન વેન્ચર
અને ઍમેઝૉન ભારત વચ્ચેનું સંયુક્ત સાહસ છે.
ADVERTISEMENT
બૅન્ગલોરની એક રેસ્ટોરાં ચેઇનના માલિક કહે છે કે જે કંપનીઓ ઑનલાઇન ઑર્ડર લઈને ગ્રાહકોની સેવા કરે છે તેઓ પહેલાં કમિશન લેતી નથી પછી કમિશન વધારવામાં આવે છે. આ રેસ્ટોરાં ફાયદો કરતું નથી.