કટોકટી આવે તો બૅન્કોને 3.50 લાખ કરોડની મૂડીની અછત પડશે
ભારતીય કરન્સી
નૉન-બૅન્કિંગ ફાઇનૅન્સ કંપનીઓની વર્તમાન સ્થિતિમાં નાણાકીય કટોકટી જેવી સ્થિતિ ઊભી થાય તો ભારતની બૅન્કોને લગભગ ૫૦ અબજ ડૉલર કે ૩.૫૦ લાખ કરોડ રૂપિયા જેટલી મૂડીની અછત પડે શકે છે એવી ચેતવણી ગ્લોબલ ક્રેડિટ રેટિંગ એજન્સી ફિચે ઉચ્ચારી છે.
સરકારી માલિકીની બૅન્કોની ધિરાણક્ષમતા ઉપર ભારે દબાણ આવી શકે છે. બી શ્રેણી (ક્રેડિટ રેટિંગનો એક સ્કેલ)ની બૅન્કો સૌથી નબળી છે અને સરકાર જો મૂડી ઊમેરશે નહીં તો તેમની ક્ષમતા પર જોખમ ઊભાં થઈ શકે છે એમ એજન્સીએ પોતાના સ્ટ્રેસ ટેસ્ટ બાદના એક અહેવાલમાં જણાવ્યું છે.
ADVERTISEMENT
એનબીએફસી ક્ષેત્રમાં અત્યારે નાણાંની અછત છે અને આ સ્ટ્રેસ ટેસ્ટ આધારે જો એનબીએફસીને બૅન્કોએ આપેલું ધિરાણ પરત આવતું બંધ થઈ જાય એવી ધારણાના આધારે કરવામાં આવ્યો છે. બૅન્કોએ એનબીએફસીને આપેલા ધિરાણમાંથી ૩૦ ટકા જો નબળું પડે તો બૅન્કોની હાલત કફોડી બની શકે છે. આ સૌથી ખરાબ સ્થિતિ હોવાનું અમારું અનુમાન છે. આવી જ રીતે પ્રૉપર્ટી ક્ષેત્રનું ૩૦ ટકા ધિરાણ પણ નબળું પડી શકે એવી ધારણા સાથે આ સ્ટ્રેસ ટેસ્ટ કરવામાં આવ્યો છે એમ ફિચે જણાવ્યું હતું.
આ પણ વાંચો : ઇન્ફોસિસ ઇફેક્ટ: 355 કરોડનો ડખો ને 53451 કરોડનું ધોવાણ
બૅન્કોનો એનપીએ રેશિયો ૨૦૧૮-’૧૯ના અંતે ૯.૩ ટકા હતો. જો એનબીએફસી આધારિત પ્રૉપર્ટી ક્ષેત્રની હાલત કફોડી રહે અને એનબીએફસીની નાણાકીય ખેંચ ચાલુ રહે તો એનપીનું પ્રમાણ ૨૦૨૦-’૨૧માં વધી ૧૧.૬ ટકા થઈ શકે છે. ધિરાણનો ખર્ચ વધતાં અને દેશના નબળા આર્થિક વિકાસદરના કારણે આગામી દિવસોમાં ભારે ખોટ સહન કરવાનો વારો આવી પડે એમ છે એમ ફિચે ઉમેર્યું હતું.