રતન તાતા વિરુદ્ધ નસલી વાડિયાએ કરેલા બદનક્ષીના કેસમાં વડી અદાલતનો સ્ટે
રતન તાતા
રતન તાતા અને તાતા સન્સના કેટલાક ડિરેક્ટર્સ વિરુદ્ધ નસલી વાડિયાએ દાખલ કરેલા ગુનાહિત બદનક્ષીના કેસમાં મુંબઈ વડી અદાલતે મૅજિસ્ટ્રેટ અદાલતમાં કાર્યવાહી કરવા પર ૨૭ માર્ચ સુધીનો સ્ટે આપ્યો છે.
ન્યાયમૂર્તિ મૃદુલા ભાટકરની એક જ ન્યાયમૂર્તિની પીઠે સોમવારે વચગાળાનો આ આદેશ આપ્યો હતો.
ADVERTISEMENT
ન્યાયમૂર્તિ ભાટકર હવે તાતા તથા તાતા સન્સના અન્ય ડિરેક્ટર્સે બદનક્ષીનો કેસ કાઢી નાખવા માટે કરેલી અરજી સંબંધે ૨૭ માર્ચે સુનાવણી કરશે. આથી તેમણે મૅજિસ્ટ્રેટ અદાલતને આ કેસમાં ૨૭ સુધી સુનાવણી કરવાની ના પાડી છે.
મૅજિસ્ટ્રેટે ગત ડિસેમ્બરમાં રતન તાતા તથા ડિરેક્ટર્સને નોટિસો મોકલી હતી અને વધુ સુનાવણી આગામી ૨૫ માર્ચે રાખી હતી.
વાડિયાએ ૨૦૧૬માં આ ખટલો માંડ્યો હતો, કારણ કે તેમને તાતા ગ્રુપની કેટલીક કંપનીઓનાં બોર્ડ ઑફ ડિરેક્ટર્સમાંથી કાઢી નાખવામાં આવ્યા હતા.
નસલી વાડિયાએ કહ્યું હતું કે સાયરસ મિસ્ત્રીને ૨૪ ઑક્ટોબર, ૨૦૧૬ના રોજ તાતા સન્સના ચૅરમૅનપદેથી દૂર કરાયા બાદ તાતા તથા અન્યોએ તેમની બદનામી થાય એવાં નિવેદનો કર્યાં હતાં. એ વખતે વાડિયા ગ્રુપની અમુક કંપનીઓમાં ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર હતા.
આ પણ વાંચો : આજની GST કાઉન્સિલની બેઠકમાં રિયલ્ટી ક્ષેત્રના GST રેટ પર થશે ચર્ચા
ડિસેમ્બર, ૨૦૧૬ અને ફેબ્રુઆરી, ૨૦૧૭ વચ્ચેના ગાળામાં બોલાવાયેલી વિશેષ સામાન્ય સભામાં શૅરધારકોએ વાડિયાને પદ પરથી દૂર કર્યા હતા. તેમને આપવામાં આવેલા ખુલાસાથી તેમને સંતોષ ન થતાં તેમણે મૅજિસ્ટ્રેટ અદાલતમાં ધા નાખી હતી.