નોટબંધીના કારણે આ વર્ષે IT રિટર્નમાં 50%નો વધારો: સીબીડીટી ચેરમેન
નોટબંધીના કારણે થયો આઇટી રિટર્નના ફાઇલિંગમાં વધારો. (ફાઇલ ફોટો)
એસેસમેન્ટ યર 2018-19માં ફાઈલ થનારા ઇન્કમટેક્સ રિટર્ન (આઇટીઆર)માં પાછલા વર્ષની સરખામણીએ અત્યાર સુધી 50 ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે. નાણા મંત્રાલયના એક ટોચના અધિકારીએ મંગળવારે આ બાબતની જાણકારી આપી. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (સીબીડીટી)ના ચેરમેન સુશીલ ચંદ્રાએ સીઆઇઆઇના એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું કે, "આ નોટબંધીની અસર છે." નોટબંધીથી દેશમાં ટેક્સ ભરતા લોકોમાં વધારો થયો છે.
તેમણે કહ્યું કે આ વર્ષે અમને અત્યાર સુધીમાં આશરે 6.08 કરોડ આઇટીઆર મળી ચૂક્યા છે, જે ગયા વર્ષના આ સમયગાળા દરમિયાન મળેલા આઇટીઆર કરતા 50 ટકા વધુ છે. સુશીલ ચંદ્રાએ કહ્યું કે રેવેન્યુ ડિપાર્ટમેન્ટ ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન 11.5 લાખ કરોડ રૂપિયાના ડાયરેક્ટ ટેક્સીસ કલેક્શનનું લક્ષ્ય હાંસલ કરી લેશે.
ADVERTISEMENT
તેમણે કહ્યું, "ગ્રોસ ડાયરેક્ટ ટેક્સમાં 16.5 ટકા અને નેટ ડાયરેક્ટ ટેક્સમાં 14.5 ટકાનો વધારો થયો છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે નોટબંધીથી કરવેરો વધારવામાં અમને મદદ મળી છે. નોટિફિકેશનના ઓટોમેટિક શેરિંગ હેઠળ 70 દેશો ભારત સાથે સૂચનાઓ શેર કરી રહ્યા છે." સીબીડીટી પ્રમુખે ભાર આપીને કહ્યું, "આજ સુધી, કુલ ડાયરેક્ટ ટેક્સ એમઓપી બજેટ અનુમાનના 48 ટકા પર હતો."
સુશીલ ચંદ્રાએ કહ્યું કે નોટબંધીના કારણે કોર્પોરેટ ટેક્સપેયર્સની સંખ્યા છેલ્લા સાત વર્ષની સરખામણીએ વધીને આઠ લાખ થઈ ગઈ છે. તેમણે જણાવ્યું કે સીબીડીટી ટુંક સમયમાં ચાર કલાકની અંદર ઈ-પાન આપવાની શરૂઆત કરશે.
ચંદ્રાએ કહ્યું કે વિભાગે રિટર્ન ફાઇલ નહીં કરનારાઓ તથા આવકના રિટર્ન નહીં મળવાને લઈને લોકોને 2 કરોડ એસએમએસ મોકલ્યા છે. અત્યાર સુધી વિભાગે 2.27 કરોડ રૂપિયાનું રિફંડ આપ્યું છે, જે ગત વર્ષની સરખામણીએ 50 ટકા વધુ છે. તેમણે કહ્યું કે છેલ્લા ચાર વર્ષોમાં ભારતનો ટેક્સ આધાર 80 ટકા વધી ગયો છે.