ટેલિકૉમ સ્પર્ધા વધુ તીવ્ર બની, વોડાફોન-આઇડિયાનું મર્જર થાય એ પહેલાં ઍરટેલની છલાંગ
રિલાયન્સ જીઓને કારણે તીવ્ર બનેલી સ્પર્ધામાં વોડાફોન અને આઇડિયાનું મર્જર થાય એ પહેલાં ટેલિનૉર ઇન્ડિયાનો બિઝનેસ ઍરટેલ હસ્તગત કરી લેશે. આ બિઝનેસ સાતેસાત સર્કલમાં ફેલાયેલો છે એ ઍરટેલ પ્રાપ્ત કરી લેવા ધારે છે. આ બાબતમાં ઍરટેલે ટેલિનૉર સાઉથ એશિયા ઇન્વેસ્ટમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ સાથે ચોક્કસ કરાર કર્યા છે.
આ હસ્તગત માટે ઍરટેલ કેટલી રકમ ચૂકવશે એ જાહેર કરવામાં નથી આવ્યું, નથી, પણ આ સમગ્ર સોદો ૧૨ મહિનામાં પાર પડશે એવું વ્યક્ત કરવામાં આવ્યું છે.
ઍરટેલ ભારતની વિશાળ વાયરલેસ ટેલિકૉમ કંપની છે, જે ૨૬ કરોડથી વધુ સબ્સક્રાઇબર્સ ધરાવે છે.
ભારતીય બજારમાં એનો હિસ્સો ૩૩ ટકા ગણાય છે. ટેલિનૉર ઇન્ડિયાને હસ્તગત કરી ઍરટેલ એના કર્મચારીઓને પણ લઈ લેશે અને એના ૪.૪૦ કરોડ ગ્રાહકો પણ મેળવી લેશે.
ટેલિનૉર ઇન્ડિયા વર્તમાનમાં જે સાત સર્કલમાં બિઝનેસ ધરાવે છે એમાં મહારાષ્ટ્ર, ગુજરાત, આંધ્ર પ્રદેશ, બિહાર, ઉત્તર પ્રદેશ (ઈસ્ટ અને વેસ્ટ) અને આસામનો સમાવેશ થાય છે. જ્યાં સુધી ઍરટેલ સાથેનો આ સોદો પૂર્ણ ન થઈ જાય ત્યાં સુધી ટેલિનૉર ઇન્ડિયાની સર્વિસ રાબેતા મુજબ ચાલુ રહેશે.