આધાર કાર્ડ સાથે લિન્ક ન કરાયેલાં 17 કરોડ પૅન કાર્ડ રદ થશે
પ્રતીકાત્મક તસવીર
પૅનને આધાર સાથે લિન્ક કરવાનું ફરજિયાત છે. આના માટે આવકવેરા વિભાગ દ્વારા વારંવાર પૅન-આધાર લિન્ક કરવાની મુદત વધાર્યા પછી પણ ૧૭ કરોડથી વધારે લોકો એવા છે જેમણે હજી સુધી પૅન-આધાર લિન્ક નથી કરાવ્યા. આવા લોકોના પૅન કાર્ડ હવે રદ થઈ શકે છે.
લોકસભામાં નાણાં રાજ્યપ્રધાન અનુરાગસિંહ ઠાકુરે માહિતી આપી કે જાન્યુઆરી સુધીમાં ૩૦.૭૫ કરોડ પૅન કાર્ડને આધાર સાથે લિન્ક કરી ચુકાયા છે, જ્યારે ૧૭.૫૮ કરોડ લોકોએ હજી પૅન-આધાર લિન્ક નથી કર્યા. તેમણે કહ્યું કે મુદત વધાર્યા પછી જેમણે હજી સુધી પૅન-આધાર લિન્ક નથી કર્યા તેમણે સુવિધા થશે. આવકવેરા વિભાગ અનુસાર હવે રીટર્ન ફાઇલ કરવા માટે આ બન્નેમાંથી કોઈ એક નંબરનો ઉપયોગ કરી શકાય છે, પણ એના માટે પૅન-આધાર લિન્ક હોવા જરૂરી છે.
ADVERTISEMENT
નાણાં ખરડા ૨૦૧૯માં સુધારા પછી હવે આવકવેરા વિભાગને અધિકાર મળી ગયો છે કે મુદત પૂરી થવા સુધીમાં જો કોઈ પોતાના પૅન અને આધારને લિન્ક ન કરાવે તો તેનું પૅન કાર્ડ રદ કરી દેવાશે. આના માટેની છેલ્લી તારીખ ૩૧ ડિસેમ્બર ૨૦૧૯ હતી જે વધારીને ૩૧ માર્ચ ૨૦૨૦ કરવામાં આવી છે. આવકવેરા કાયદાની કલમ ૧૩૯-એ એ હેઠળ નક્કી કરાયેલ તારીખ પછી આધાર કાર્ડ ધરાવતા લોકોના પૅન જો લિન્ક નહીં હોય તો રદ થઈ જશે. આ સુધારો ૧ સપ્ટેમ્બર ૨૦૧૯થી અમલી બની ગયો છે.